હવે યામી ગૌતમને લઈ રાઝી ટુ બનાવવાની દરખાસ્ત | Now there is a proposal to make Raazi 2 with Yami Gautam

![]()
– ધુરંધરની સફળતા પછી ડિમાન્ડ થઈ
– મેઘના ગુલઝારે મૂળ વાર્તામાં ચેડાં કર્યાંનો લેખિકા હરિન્દર સિક્કાનો આરોપ
મુંબઈ : ‘ધુરંધર ટુ’માં ભારતના જાસૂસો પાકિસ્તાનમાં કેવી રીતે કામ કરે છે તેનો વધુ યથાર્થવાદી ચિતાર હોવાની ચર્ચાઓ વચ્ચે હવે ‘ધુરંધર’ના સર્જક આદિત્ય ધરની પત્ની તથા એકટ્રેસ યામી ગૌતમને મુખ્ય ભૂમિકામાં લઈ ‘રાઝી ટુ’ બનાવવાની દરખાસ્ત થઈ છે. ઉલ્લેખનીય છે કે યામી ‘ધુરંધર ટુ’માં કેમિયો કરી ચૂકી છે.
એક નેટ યૂઝરે મૂૂળ લેખિકા હરિન્દર સિક્કાને મેન્શન કરીને કહ્યું હતું કે હવે ‘રાઝી ટુ’ની તૈયારી કરવી જોઇએ. આ ફિલ્મમાં મુખ્ય રોલ માટે યામી ગૌતમ પરફેક્ટ અભિનેત્રી સાબિત થશે. જેનો જવાબમાં સિક્કાએ સ્વીકાર્યું હતું કે યામી એક ઉત્તમ અભિનેત્રી છે.
દરમિયાન હરિન્દરે અન્ય એક સોશિયલ મીડિયા પોસ્ટમાં પોતાના મૂળ પુસ્તક ‘કોલિંગ સહમત’ નો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે મેઘના ગુલઝારે આ પુસ્તકની મૂળ વાર્તામાં બહુ ચેડાં કર્યાં હતાં. તેમણે કહ્યું હતું કે લોકોએ પોતાને ચેતવણી આપી હતી કે મેઘના વામપંથી વિચારધારા ધરાવે છે તેમ છતાં પણ મેં તેમની ચેતવણી અવગણી હતી.
ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં આલિયા ભટ્ટે મુખ્ય ભૂમિકા ભજવી હતી.



