‘ઈરાન-રશિયા પાસેથી ઓઈલ ખરીદવા માટે ટ્રમ્પ પાસેથી લેવી પડે છે મંજૂરી’, રાહુલ ગાંધીના PM મોદી પર પ્રહાર | Rahul Gandhi Slams PM Modi Over Energy Security and Rubber Prices at Kottayam Election Rally

![]()
Rahul Gandhi in Kerala : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેરલમના કોટ્ટાયમમાં એક ચૂંટણી રેલીને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે ઈરાન-રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી, અમેરિકાના રાષ્ટ્ર્પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ઉલ્લેખ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા હતા. આ ઉપરાંત તેમણે સબરીમાલા મંદિરમાંથી સોનું ચોરી મામલે કેરલમના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન પર પણ ગંભીર આક્ષેપ કર્યો હતો.
PM મોદીએ દેશની ઉર્જા સુરક્ષાને જોખમમાં મૂકી : રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે ‘મોદી સરકારને કારણે ભારતની પોતાની મરજીથી તેલ ખરીદવાની શક્તિ ખતમ થઈ ગઈ છે અને અત્યારે ભારતને ઈરાન કે રશિયા જેવા દેશો પાસેથી તેલ ખરીદવા માટે પણ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump)ની પરવાનગી લેવી પડે છે. પીએમ મોદી આધુનિક ભારતના એવા પહેલા વડાપ્રધાન છે જેમણે દેશની ઉર્જા સુરક્ષાને જોખમમાં મૂકી દીધી છે અને આજે ભારત પોતાની મરજીથી પેટ્રોલ કે ડીઝલ ખરીદી શકતું નથી.’
‘અમેરિકા સાથે સમજૂતી કરી ખેડૂતોના અધિકારો છીનવી લીધા’
કોંગ્રેસ સાંસદે વધુમાં કહ્યું કે ‘મધ્ય પૂર્વની સ્થિતિના કારણે આર્થિક સંકટ આવવાનું છે, પરંતુ 140 કરોડ લોકોનો દેશ પોતાની મરજીથી તેલ ખરીદી શકતો નથી. વડાપ્રધાને અમેરિકા સાથે સમજૂતી કરીને આપણા ખેડૂતોના અધિકારો છીનવી લીધા છે. જ્યારે હું સંસદમાં અદાણી અને અન્ય મુદ્દાઓ પર બોલી રહ્યો હતો, ત્યારે મને બોલવા દેવામાં આવ્યો નહોતો અને વડાપ્રધાન સંસદ છોડીને ચાલ્યા ગયા હતા.’
રાહુલે કેરલમની LDF સરકાર પર પણ કર્યા પ્રહાર
કેરલમની LDF સરકાર પર આકરા પ્રહારો કરતા રાહુલ ગાંધીએ રબરના ખેડૂતો માટે મોટા વાયદા કર્યા હતા. તેમણે કહ્યું કે ‘એલડીએફ સરકારે 2016માં રબરની કિંમત 250 રૂપિયા કરવાનું વચન આપ્યું હતું જે 10 વર્ષમાં પૂરું થયું નથી, પરંતુ રાજ્યમાં UDFની સરકાર બનતા જ પહેલી કેબિનેટ બેઠકમાં રબરની કિંમત 250 રૂપિયા નક્કી કરાશે અને બાદમાં તેને 300 રૂપિયા સુધી લઈ જવામાં આવશે.’
કેરલમના CM પર કર્યા ગંભીર આક્ષેપ
રાહુલે મુખ્યમંત્રી પિનરાઈ વિજયન (Kerala CM Pinarayi Vijayan) લાગેલા ભ્રષ્ટાચારના આક્ષેપ પર કહ્યું કે, ‘કેરલમના મુખ્યમંત્રીની કેટલા કલાક પૂછપરછ થઈ? શું તેઓ જામીન પર બહાર છે? શું તેમના બાળકો અને પરિવારની પૂછપરછ કરવામાં આવી છે? જ્યારે એલડીએફ નેતૃત્વએ સબરીમાલા મંદિરથી સોનું ચોરીને તેની જગ્યાએ પીતળ લગાવી દીધું, તો વડાપ્રધાન આના પર કંઈ કેમ નથી કહેતા? તેઓ આ ચોરી પર મૌન છે.’



