પશ્ચિમ એશિયાના યુદ્ધને કારણે હાલ સ્થિતિ પડકારજનક છે : પીએમ મોદી | Current situation is challenging due to war in West Asia: PM Modi

![]()
– આપણે એક થઇને પડકારોનો સામનો કરીશું : મન કી બાતમાં મોદી
– વિપક્ષ હાલની સ્થિતિને રાજકીય સ્વરૂપ આપી ગલ્ફ દેશોમાં રહેતા ભારતીયોનો જીવ જોખમમાં મુકી રહ્યો છે
નવી દિલ્હી/તિરુવનંતપુરમ: ઇઝરાયેલ અને ઇરાનના સામસામે હુમલાને પગલે હાલ પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ ઉભી થઇ છે, જેની અસરો ભારતમાં પણ જોવા મળી રહી છે. એવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે પશ્ચિમ એશિયાના યુદ્ધને કારણે સ્થિતિ પડકારજનક છે. જેને પહોંચી વળવા માટે લોકોએ એકબીજાને મદદરૂપ થવું જોઇએ તેવી અપીલ પણ વડાપ્રધાને પોતાના રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં કરી હતી.
અફવાઓથી દૂર રહો, સરકાર દ્વારા અપાયેલી માહિતી પર જ વિશ્વાસ કરો અને તે મુજબ પગલા લો ઃ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં જનતાને સંબોધતા કહ્યું હતું કે આપણા પાડોશી દેશોમાં એક મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. હાલમાં ખરેખર પડકારજનક સમય ચાલી રહ્યો છે, હું મન કી બાતના માધ્યમથી ફરી એક વખત દેશની જનતાને વિનંતી કરવા માગું છું કે આપણે ખરેખર આ પરિસ્થિતિમાંથી એક બનીને બહાર આવવાનું છે.
આ સાથે જ લોકોને વિનંતી કરવા માગું છું કે તેઓ અફવાઓથી દૂર રહે અને સતર્ક રહે.
માત્ર સરકાર દ્વારા જે માહિતી પુરી પાડવામાં આવે તેના પર વિશ્વાસ રાખો અને તે મુજબ જ પગલા લો.
દરમિયાન મોદીએ ચૂંટણી રાજ્ય કેરળમાં પલક્કડમાં એક રેલીને સંબોધતા વિપક્ષ કોંગ્રેસ પર પણ આકરા પ્રહારો કર્યા હતા, મોદીએ કહ્યું હતું કે હાલ પશ્ચિમ એશિયામાં યુદ્ધની જે સ્થિતિ છે તેની ભારત પર થઇ રહેલી અસરોને પહોંચી વળવા માટે સરકાર દ્વારા તમામ પગલા લેવામાં આવી રહ્યા છે, અને આ અસર બહુ જ ઓછી થાય તે દિશામાં સરકાર નિર્ણયો લઇ રહી છે.
એનડીએની રેલીમાં મોદીએ કહ્યું હતું કે કેરળના અનેક લોકો ગલ્ફ દેશોમાં કામ કરી રહ્યા છે કે જ્યાં સ્થિતિ હાલ તંગદીલ છે, તેમની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. આ પરિસ્થિતિ વચ્ચે પણ કોંગ્રેસ જે પ્રકારના નિવેદનો આપી રહી છે તે બહુ જ ખતરનાક છે, કોંગ્રેસ ઇચ્છે છે કે ગલ્ફ દેશોમાં કામ કરી રહેલા એક કરોડ ભારતીયોનું જીવન જોખમમાં મુકાય.



