વિશ્વમાં પેટ્રોલ-ડીઝલનું સંકટ, આપણે એક થઈને પડકારોનો સામનો કરીશું: ‘મન કી બાત’માં PM મોદીની અપીલ | pm modi mann ki baat 132 petrol diesel crisis iran israel war updates

![]()
Mann ki baat : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત કાર્યક્રમના 132મા એપિસોડ દ્વારા દેશને સંબોધન કર્યું હતું. વર્તમાનમાં અમેરિકા, ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની વૈશ્વિક અસરો પર ચિંતા વ્યક્ત કરતા PM મોદીએ સ્પષ્ટ કર્યું હતું કે, ભારત આ પડકારજનક સ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે.
યુદ્ધના કારણે ઉર્જા સંકટની ચેતવણી
વડાપ્રધાને જણાવ્યું હતું કે, જે વિસ્તારમાં અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે, તે વિશ્વની ઉર્જા જરૂરિયાતોનું મુખ્ય કેન્દ્ર છે. આ સંઘર્ષના કારણે વિશ્વભરમાં પેટ્રોલ અને ડીઝલના પુરવઠા પર અસર પડી રહી છે અને સંકટ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. તેમણે ઉમેર્યું કે, “છેલ્લા એક દાયકામાં ભારતે જે સામર્થ્ય કેળવ્યું છે અને આપણા જે વૈશ્વિક સંબંધો છે, તેના કારણે આપણે આ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ મક્કમતાથી ટકી રહ્યા છીએ.”
અફવાઓથી સાવધાન રહેવા અપીલ
PM મોદીએ દેશવાસીઓને ખાસ વિનંતી કરતા કહ્યું કે, “ચોક્કસપણે આ સમય પડકારજનક છે, પરંતુ આપણે એકજૂથ થઈને આમાંથી બહાર નીકળવાનું છે.” તેમણે અફવા ફેલાવનારાઓ સામે આકરા પ્રહારો કરતા કહ્યું કે,જે લોકો આ ગંભીર વિષય પર રાજનીતિ કરી રહ્યા છે, તેમણે સમજવું જોઈએ કે આ ૧૪૦ કરોડ ભારતીયોના હિતનો વિષય છે.
આ પણ વાંચો : યુદ્ધને લીધે ગુજરાત સહિત દેશભરમાં દાણાના ભાવ 50થી 70% વધી જતાં પ્લાસ્ટિક ઉદ્યોગ ICUમાં
અફવાઓ ફેલાવવી એ દેશનું મોટું નુકસાન છે.
નાગરિકોએ માત્ર સરકાર દ્વારા આપવામાં આવતી સત્તાવાર માહિતી પર જ ભરોસો રાખવો જોઈએ. અફવાઓને કારણે દેશના નાગરિકોને ન માત્ર સમસ્યાઓનો સામનો વકરો પડે છે પરંતુ સ્થિતિ પણ વિપરિત બની જતી હોય છે.
ખાડી દેશોમાં વસતા ભારતીયોની ચિંતા
યુદ્ધની સ્થિતિ વચ્ચે ખાડી દેશોમાં વસતા 1 કરોડથી વધુ ભારતીયો અંગે વડાપ્રધાને આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, “વર્તમાનમાં આપણા પડોશમાં એક મહિનાથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. આપણા લાખો પરિવારોના સગા-સંબંધીઓ ત્યાં રહે છે. હું ખાડી દેશોનો આભારી છું કે તેઓ ત્યાં વસતા ભારતીયોને દરેક પ્રકારે મદદ કરી રહ્યા છે.”
કોરોના બાદ ફરી યુદ્ધનો પડકાર
વડાપ્રધાને 2026 ના માર્ચ મહિનાની હલચલનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આખી દુનિયા એવી અપેક્ષા રાખતી હતી કે કોરોના સંકટ બાદ પ્રગતિ થશે, પરંતુ સતત યુદ્ધ અને સંઘર્ષની પરિસ્થિતિઓ સર્જાતી રહી છે. જોકે, તેમણે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, જેમ ભારતે ભૂતકાળમાં મોટા સંકટોને હરાવ્યા છે, તેમ આ ઉર્જા સંકટમાંથી પણ આપણે સુરક્ષિત રીતે બહાર આવીશું.



