મારા ભાઈને ફોન કરવાની હિંમત કેવી રીતે થઈ…’, કોર્ટમાં સૌની વચ્ચે કેમ ભડક્યાં CJI સૂર્યકાંત | How dare you call my brother why did CJI Suryakant get angry in front of everyone in the court

![]()
CJI Surya Kant Get Angry: ચીફ જસ્ટિસ સૂર્યકાંત બુધવારે એક વ્યક્તિ પર સુપ્રીમ કોર્ટમાં ભડકી ગયા અને તેને ફટકાર લગાવી. ગુસ્સે ભરાયેલા સ્વરમાં CJIએ અરજદારના પિતાને કહ્યું કે, તમારી મારા આદેશ માટે મારા ભાઈને ફોન કરીને એ કહેવાની હિંમત કેવી રીતે કરી કે ચીફ જસ્ટિસે આ આદેશ કેવી રીતે આપ્યો. મારે શું કરવું એ મને અરજદાર નહીં જણાવશે.
એક અહેવાલ પ્રમાણે CJI સૂર્યકાંત એ કેસની સુનાવણી કરી રહ્યા હતા, જેમાં બે જનરલ કેટેગરીના ઉમેદવારોએ બૌદ્ધ કોલેજમાં લઘુમતી ક્વોટા હેઠળ અનામતની માગ કરી છે. તેમનું કહેવું છે કે, તેઓ બૌદ્ધ ધર્મમાં કન્વર્ટ થઈ ચૂક્યા છે. જોકે, કોર્ટે જાન્યુઆરીમાં સુનાવણી દરમિયાન તેમના બૌદ્ધ ધર્મ અપનાવવા અંગે આશંકા વ્યક્ત કરી હતી અને તેમના માઈનોરિટી સર્ટિફિકેટની તપાસનો પણ આદેશ આપ્યો હતો.
મારા ભાઈને ફોન કરવાની હિંમત કેવી રીતે થઈ
CJI સૂર્યકાંતે અરજદારના વકીલને કહ્યું કે, ‘તમારા અસીલ સામે અવમાનનો કેસ કેમ ન ચલાવવો જોઈએ? તેમની મારા ભાઈને ફોન કરીને એ કહેવાની હિંમત કેવી રીતે થઈ કે CJI એ આ આદેશ કેવી રીતે આપી દીધો? શું તે મને જણાવશે કે મારે શું કરવાનું છે? જો તમારા અસીલ ગેરવર્તન કરે છે, તો પહેલા તો તમારે કેસમાંથી પાછળ હટી જવું જોઈએ. ભલે તે ભારતની બહાર છુપાઈ જાય, તો પણ મને ખબર છે કે આવા લોકોને કેવી રીતે ઠીક કરી શકાય. તમે (અરજદારના પિતા) મને ધમકી આપી રહ્યા છે? મારી સાથે બીજી વાર આવું ક્યારેય ન કરતા. હું 23 વર્ષથી આવા લોકોનો સામનો કરી રહ્યો છે.’
વકીલે માફી માગી
વકીલે CJI સૂર્યકાંતને જણાવ્યું કે, ‘મને આ વિશે કંઈ ખબર નથી અને હું તેના માટે માફી માગુ છું.’ હરિયાણાના બે યુવાનો ઉત્તર પ્રદેશની સુભાર્તી મેડિકલ કોલેજમાં પોસ્ટ ગ્રેજ્યુએશન માટે એડમિશન મેળવવા માગે છે. તેમણે બૌદ્ધ માઈનોરિટી ક્વોટા હેઠળ એડમિશનની માગ કરી છે. આ કોલેજ એક બૌદ્ધ માઈનોરિટી કોલેજ છે.
સુપ્રીમ કોર્ટને આશંકા
અરજદારોનું કહેવું છે કે, અમે બોદ્ધ ધર્મમાં કન્વર્ટ થઈ ચૂક્યા છીએ અને અમારી પાસે સબ-ડિવિઝનલ ઓફિસર દ્વારા જારી કરાયેલ માઈનોરિટી સર્ટિફિકેટ પણ છે. જાન્યુઆરીમાં તેમની અરજીની સુનાવણી કરતી વખતે કોર્ટે તેમના બૌદ્ધ ધર્મ અપનાવવા અંગે આશંકા વ્યક્ત કરી હતી. કોર્ટને શંકા છે કે તેમણે માત્ર કોલેજમાં એડમિશન મેળવવા માટે આવું કર્યું છે. સુનાવણી દરમિયાન કોર્ટે એ પણ કહ્યું હતું કે તે બંને પુનિયા કાસ્ટના છે.


