ચાર ધામ યાત્રા માટે 10 લાખથી વધુ શ્રદ્ધાળુનું રજિસ્ટ્રેશન, જાણો કયા ધામના દ્વાર ક્યારે ખૂલશે | Char Dham Yatra 2026: Over 10 Lakh Pilgrims Register as Portals Prepare to Open

Char dham Yatra 2026: ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રા શરૂ થવા જઈ રહી છે. યાત્રાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચાર ધામ યાત્રા માટે ગત 6 માર્ચ, 2026થી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જેમાં અત્યાર સુધીમાં 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. નોંધનીય છે કે, ચાર ધામ યાત્રા 19 એપ્રિલથી શરૂ થવાની છે.
ચાર ધામની યાત્રા માટે 10 લાખથી વધુ શ્રદ્ધાળુનું રજિસ્ટ્રેશન
ચાર ધામ યાત્રાને લઈને ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ જણાવ્યું હતુ કે, દેશ અને વિદેશથી આવનારા તમામ શ્રદ્ધાળુઓ માટે સરળ અને સલામત યાત્રાનો અનુભવ સુનિશ્ચિત કરવાની જવાબદારી સરકારની છે. શ્રદ્ધાળુઓ સત્તાવાર વેબસાઇટ registrationandtouristcare.uk.gov.in અથવા ‘Tourist Care Uttarakhand’ એપ્લિકેશન દ્વારા રજિસ્ટ્રેશન કરી શકશે.

અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવાની સલાહ
રાહતની વાત એ છે કે, હજુ સુધી રજિસ્ટ્રેશન માટે કોઈ છેલ્લી તારીખ જાહેર કરાઈ નથી. કેદારનાથ અને બદ્રીનાથ દ્વાર ખુલતા પહેલા અથવા યાત્રા દરમિયાન, સ્લોટ ઉપલબ્ધ થવા સુધી રજિસ્ટ્રેશન થઈ શકે છે. જોકે, અપેક્ષિત ભારે ભીડને ધ્યાનમાં રાખીને અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવાની સલાહ આપવામાં આવી છે. ગંગોત્રી અને યમુનોત્રી ધામના દ્વાર 19 એપ્રિલે ખુલવાના છે. ત્યારબાદ કેદારનાથના દ્વાર 22 એપ્રિલે અને બદ્રીનાથ ધામના દ્વાર 23 એપ્રિલે ખુલશે.
તૈયારીઓ અંગે વાત કરતા સીએમ ધામીએ જણાવ્યું હતું કે, આ વખતે યાત્રાળુઓને સમયાંતરે આપત્તિ સંબંધિત આગાહીઓ અંગેની માહિતી પણ પૂરી પાડવામાં આવશે. યાત્રા શરૂ થાય તે પહેલાં, તેઓ પોતે યાત્રા માર્ગોનું નિરીક્ષણ કરશે અને વ્યવસ્થાઓની જાણકારી મેળવશે. સામાન્ય પરિસ્થિતિઓમાં યાત્રાળુઓની સંખ્યા પર કોઈપણ પ્રકારની મર્યાદા લાદવા માટે હાલમાં કોઈ સૂચનાઓ જાહેર કરવામાં આવી નથી.



