પેટ્રોલમાં 20 નહીં 30 ટકા ઈથેનોલ ભેળવવું જોઈએ, ડિઝલમાં પણ શરૂ કરો બ્લેન્ડિંગ: AIDAનો ગડકરીને પત્ર | ethanol blending petrol india e30 target nitin gadkari energy security

![]()
Ethanol Blending : દુનિયામાં વધી રહેલા તણાવ અને મોંઘા થઈ રહેલા તેલ વચ્ચે ભારત પોતાની ઉર્જા સુરક્ષા (Energy Security) મજબૂત કરવા માટે એથેનોલ પર મોટું ફોકસ કરી રહ્યું છે. ઓલ ઈન્ડિયા ડિસ્ટિલર્સ એસોસિએશન (AIDA) એ કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીને પત્ર લખીને પેટ્રોલમાં એથેનોલનું પ્રમાણ 20% થી વધારીને 30% (E30) કરવાની અને ફ્લેક્સ ફ્યુઅલ વાહનો પર ભાર મૂકવાની માંગ કરી છે.
PM મોદીએ ગણાવ્યા એથેનોલના ફાયદા
ગઈકાલે લોકસભામાં સંબોધન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારત હવે 27 ને બદલે 41 દેશો પાસેથી એનર્જી ઈમ્પોર્ટ કરે છે. એથેનોલ વિશે તેમણે કહ્યું, “છેલ્લા 10-11 વર્ષમાં એથેનોલ બ્લૅન્ડિંગ પર શાનદાર કામ થયું છે. એક દાયકા પહેલા પેટ્રોલમાં માત્ર 1-2% એથેનોલ ભળતું હતું, જે હવે 20% સુધી પહોંચી ગયું છે. આના કારણે દર વર્ષે લગભગ સાડા 4 કરોડ બેરલ પેટ્રોલ ઓછું ઈમ્પોર્ટ કરવું પડે છે.”
E20 પછી હવે E30નો લક્ષ્યાંક
ભારતે નિર્ધારિત સમય પહેલા 20% એથેનોલ બ્લૅન્ડિંગનું લક્ષ્ય હાંસલ કરી લીધું છે. હવે AIDA ઈચ્છે છે કે આ સ્તર વધારીને 30% કરવામાં આવે. પશ્ચિમ એશિયાના તણાવને કારણે જો તેલના ભાવ વધે, તો એથેનોલ દેશની અર્થવ્યવસ્થા માટે સુરક્ષા કવચ તરીકે કામ કરી શકે છે. આનાથી વિદેશી મુદ્રાની બચત થશે અને ખેડૂતોને શેરડી જેવા પાકના વધુ સારા ભાવ મળશે.
ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો અને નવા વિકલ્પો
બ્રાઝિલની જેમ ભારતમાં પણ ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોને પ્રોત્સાહન આપવાની જરૂર છે, જે 100% એથેનોલ પર પણ ચાલી શકે. એસોસિએશને એવો પણ સુઝાવ આપ્યો છે કે એથેનોલનો ઉપયોગ માત્ર વાહનો સુધી સીમિત ન રાખીને રસોડામાં એથેનોલ બેઝ્ડ બર્નર તરીકે પણ કરવો જોઈએ.
ડીઝલમાં પણ એથેનોલની એન્ટ્રી?
એથેનોલ બાદ હવે આઈસોબ્યુટેનોલ પર પણ કામ શરૂ થઈ ગયું છે. નિતિન ગડકરીએ અગાઉ સંકેત આપ્યા હતા કે ડીઝલમાં 10% આઈસોબ્યુટેનોલ ભેળવવાના પ્રયોગો ચાલી રહ્યા છે. કિર્લોસ્કર સાથે મળીને 100% આઈસોબ્યુટેનોલ પર ચાલતું એન્જિન પણ તૈયાર કરવામાં આવ્યું છે.



