ભારતમાં યુરિયા એકમો અડધી ક્ષમતાથી ચાલે છે, ઉત્પાદન ઘટયું | Urea units in India are running at half capacity production has declined

![]()
એલપીજીનો ગેસ પૂરવઠો ખોરવાતા અસર
ભારત પાસે હાલ કુલ 61.14 લાખ ટન યુરિયાનો ભંડાર, આગામી સમયમાં ખાતરની અછતની આશંકા
નવી દિલ્હી: મધ્ય-પૂર્વમાં અમેરિકા અને ઈઝરાયેલના આક્રમણના પગલે ઈરાને હોર્મુઝની ખાડીની નાકાબંધી કરતા આખી દુનિયા ઊર્જા કટોકટીનો સામનો કરી રહી છે. આ સંકટ વચ્ચે ભારતમાં એલપીજી ગેસનો પુરવઠો ખોરવાયો હોવાથી ભારતમાં યુરિયા પ્લાન્ટ તેમની અડધી ક્ષમતા પર કામ કરી રહ્યા છે, જેને પગલે ઉત્પાદન પણ ઘટયું છે. આથી આગામી સમયમાં પેટ્રોલ-ડીઝલ, ગેસ પછી હવે ખાતરની તંગી સર્જાવાનું જોખમ છે.
મધ્ય-પૂર્વમાં યુદ્ધના પગલે પેટ્રોનેટ એલએનજીએ ઈમર્જન્સી સ્થિતિની જાહેરાત કરી છે, જે દેશનો સૌથી મોટું એલએનજી મેળવતું ટર્મિનલ ઓપરેટ કરે છે. સપ્લાયરોએ હોર્મુઝની ખાડીમાંથી સપ્લાય અવરોધાવાના કારણે ગેસનો સપ્લાય કરવામાં અસમર્થતા વ્યક્ત કરી છે. આ પગલાંથી સરકારી ગેસ વિતરક કંપનીઓ ગેલ, ઈન્ડિયન ઓઈલ અને ભારત પેટ્રોલિયમે સપ્લાયમાં કાપ શરૂ કર્યો છે. ગેસનો પુરવઠો સામાન્ય સ્તરથી ઘટાડીને ૬૦-૬૫ ટકા કરી દેવાયો છે, જેથી કેટલાક પ્લાન્ટમાં અસરકારક સપ્લાય ૫૦ ટકાથી નીચે આવી ગયો છે. આ કારણે જે પ્લાન્ટ્સ પર અસર થઈ છે ત્યાં યુરિયાનું ઉત્પાદન પણ ઘટીને લગભગ અડધું થઈ ગયું છે.
સૂત્રો મુજબ ભારત દુનિયામાં સૌથી મોટા યુરિયા ગ્રાહકોમાંનો એક છે અને સતત ઘરેલુ અછત આગામી ખરીફ સીઝન પહેલા ખાતરની ઉપલબ્ધ પર અસર કરી શકે છે. ભારત પાસે ૧૯ માર્ચ સુધીમાં કુલ ૬૧.૧૪ લાખ ટન યુરિયાનો ભંડાર હતો, જે એક વર્ષ પહેલા આ જ સમયના ૫૫.૨૨ લાખ ટનથી વધુ છે.



