राष्ट्रीय

દિલ્હી, ઇન્દોરમાં ભીષણ આગમાં પાંચ બાળકો સહિત 17નાં મોત | 17 people including five children die in massive fire in Delhi Indore



– ગરમી વચ્ચે દેશમાં આગ લાગવાની ઘટનાઓમાં વધારો

– કાર ચાર્જિંગમાં મુકી પરિવાર ઉંઘી ગયો, ચાર્જ પ્લગમાં ધડાકાથી આગ ઘર સુધી પહોંચી, 10 સિલિન્ડરમાંથી અનેક ફાટયા

નવી દિલ્હી : મધ્ય પ્રદેશના ઇન્દોરમાં આગ લાગવાની એક ગોઝારી ઘટના સામે આવી છે, ઇલેક્ટ્રિક વાહનના ચાર્જિંગ પોઇન્ટમાં મોટો ધડાકો થયો હતો જેને પગલે બાદમાં આગ લાગી જે ઘરમાં ફેલાઇ. આગ લાગી તે સમયે ઘરમાં ૧૦ જેટલા એલપીજી સિલિન્ડર હતા જે ધડાધડ બ્લાસ્ટ થવા લાગ્યા. આ સમગ્ર ઘટનામાં એક જ પરિવારના આઠ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. જ્યારે આગની અન્ય એક ઘટના દિલ્હીમાં સામે આવી છે જેમાં પણ એક જ પરિવારના નવ લોકો માર્યા ગયા હતા. આ બન્ને દુઃખદ ઘટનાઓમાં કુલ ૧૭ લોકોના મોત નિપજ્યા છે. 

ઇન્દોરમાં બેન્ગાલી સ્ક્વેરમાં ત્રણ માળના એક મકાનમાં રહેતા પરિવારે રાત્રે પોતાની ઇલેક્ટ્રિક કારને ચાર્જિંગમાં મુકી હતી, બાદમાં ચાર્જિંગ પોઇન્ટ બંધ કર્યા વગર જ તમામ લોકો ઉંઘી ગયા. જેથી વહેલી સવારે ચાર વાગ્યે ચાર્જિંગ પોઇન્ટમાં મોટો ધડાકો થયો અને આગ લાગી, આગની જ્વાળાઓ બાદમાં ઘરમાં અંદર સુધી પહોંચી ગઇ, ઘરમાં ૧૦ જેટલા એલપીજી સિલિન્ડર સ્ટોર કરીને રાખ્યા હતા જ્યાં આગ પહોંચતા જ સિલિન્ડર ફાટવા લાગ્યા. રાત્રે ઇલેક્ટ્રિક વાહનને ચાર્જિંગમાં મુકીને ઉંઘી જવું, ઘરમાં અનેક એલપીજી સિલિન્ડર સ્ટોર કરીને રાખવા આ બે સિવાય પરિવારને ત્રીજી ભુલ લોકિંગ સિસ્ટમની કરી હતી, તમામ દરવાજે ઇલેક્ટ્રિક લોકિંગ સિસ્ટમ લગાવેલી હતી, ચાર્જિંગ પોઇન્ટમાં આગ લાગવાથી ઇલેક્ટ્રિક સિસ્ટમ જ ઠપ થઇ ગઇ તેથી પરિવાર ઘરમાંથી બહાર ના નીકળી શક્યો અને અંદર જ ગુંગળાઇને માર્યો ગયો. જે આઠ લોકોના મોત નિપજ્યા છે તેમાં બે બાળકો અને ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે. 

સ્થાનિક પોલીસ કમિશનર સંતોષ કુમારસિંહે પીટીઆઇ સાથે વાતચીતમાં કહ્યું હતું કે ૧૦ એલપીજી સિલિન્ડર હતા, અમે બેથી ત્રણ સિલિન્ડર ફાટતા જોયા, આ વિસ્ફોટોને કારણે જ સ્થિતિ વધુ ખરાબ થઇ ગઇ. ગણતરીની મિનિટોમાં જ ફાયર ટેન્ડર્સ અને ઇમર્જન્સી સહાય ટીમો સ્થળે પહોંચી ગઇ હતી, જોકે સિલિન્ડર બ્લાસ્ટ થવા લાગ્યા તેથી કોઇ કઇ ના કરી શક્યું, એટલુ જ નહીં આખુ ઘર ઇલેક્ટ્રિક લોકથી બંધ હતું જે પણ આગ લાગવાને કારણે ના ખુલ્યા. જે પણ લોકો માર્યા ગયા તેમાં ૬ અને ૧૨ વર્ષના બે બાળક, એક વૃદ્ધા સહિત ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે. આ સમગ્ર ઘટના દરમિયાન બે લોકોને રેસ્ક્યૂ કરી લેવાયા છે જેમની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઘટનાને પગલે બાદમાં રાજ્ય સરકારે ઇલેક્ટ્રિક વાહનોના ચાર્જિંગ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર એસઓપીનો અમલ કરવાની જાહેરાત કરી છે.

દિલ્હીમાં બાળકીને નીચે ફેંકી પોતે પણ કુદ્યો, ત્રણના જીવ બચ્યા 

પાડોશીઓએ જણાવ્યું હતું કે આગ પ્રથમ માળે લાગી હતી જે પરફ્યુમ અને અન્ય કોસ્મેટિક વસ્તુઓને કારણે ઝડપથી અન્ય માળ સુધી પહોંચી ગઇ હતી. આ ઘટના દરમિયાન રાજેન્દરના પુત્ર અનીલે પોતાની બે વર્ષની બાળકીને ત્રીજા માળેથી નીચેના માળે ફેંકી અને ત્યાંથી લેડરની મદદથી નીચે ઉતારવામાં આવી. અનીલે પણ કુદકો મારી જીવ બચાવ્યો, હાલ બન્ને ગંભીર રીતે ઘાયલ છે અને સારવાર અપાઇ રહી છે. અન્ય એક યુવક સચીને પણ કુદકો મારીને પોતાનો જીવ બચાવ્યો પણ ઘાયલ થઇ ગયો હતો. 



Source link

Related Articles

Back to top button