‘ધુરંધર: ધ રિવેન્જ’ પહેલા ‘ધુરંધર’ 1,000 સ્ક્રીન્સ પર ફરીથી રિલીઝ થઈ, બોક્સ ઓફિસ પર કરશે ધમાકો | dhurandhar re release ranveer singh akshaye khanna film 1000 screens

Dhurandhar Re-Release: આદિત્ય ધર દ્વારા નિર્દેશિત સ્પાઇ થ્રિલર ફિલ્મ ‘ધુરંધર’ 5 ડિસેમ્બર, 2025ના રોજ રિલીઝ થયા બાદ બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચી ચૂકી છે. હવે આ સુપર બ્લોકબસ્ટર ફિલ્મનો બીજો ભાગ ‘ધુરંધર: ધ રિવેન્જ’ 19 માર્ચ, 2026ના રોજ રિલીઝ થવા જઈ રહ્યો છે. આ સિક્વલને લઈને ચાહકોમાં રહેલા જબરદસ્ત ઉત્સાહને ધ્યાનમાં રાખીને, મેકર્સે ‘ધુરંધર’ના પહેલા ભાગને સિનેમાઘરોમાં રિ-રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. રણવીર સિંહે સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, આજથી આ ફિલ્મ વિશ્વભરના થિયેટરોમાં વાપસી કરી રહી છે. આ સૌથી મોટી રિ-રિલીઝ હશે, જેમાં 1000થી વધુ સ્ક્રીન્સ પર 1250થી વધુ શૉ દર્શાવવામાં આવશે.
1,000 સ્ક્રીન્સ પર ફરીથી રિલીઝ થઈ ‘ધુરંધર’
રણવીર સિંહ ઉપરાંત સંજય દત્ત, અક્ષય ખન્ના, આર. માધવન અને અર્જુન રામપાલ જેવા દિગ્ગજ કલાકારોથી સજ્જ આ ફિલ્મ જોકે ઓટીટી પર ઉપલબ્ધ છે, પરંતુ મોટા પડદા પર તેનો એક્શન અનુભવ ફરીથી લેવાની ચાહકો માટે આ બેસ્ટ તક છે. અગાઉ જ્યારે ‘ધુરંધર’ રિલીઝ થઈ હતી, ત્યારે તેણે વર્લ્ડવાઈડ 1305.35 કરોડનું ગ્રોસ કલેક્શન કર્યું હતું, જેમાં ભારતમાંથી જ 1005.85 કરોડની કમાણી થઈ હતી. મેકર્સને આશા છે કે રિ-રિલીઝ બાદ આ ફિલ્મ ફરી એકવાર બોક્સ ઓફિસ પર કમાણીની સુનામી લાવશે.
ગ્લોબલ લોન્ચ: અમેરિકા-કેનેડામાં સ્પેશિયલ પ્રીમિયર
બીજી તરફ, ફ્રેન્ચાઇઝીના બીજા પ્રકરણ ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે ગ્લોબલ લોન્ચના એક દિવસ પહેલા એટલે કે 18 માર્ચના રોજ અમેરિકા અને કેનેડામાં સ્પેશિયલ પ્રીમિયર શૉ પણ યોજાશે. આદિત્ય ધર દ્વારા લેખિત અને નિર્દેશિત આ ફિલ્મ 19 માર્ચ, 2026ના રોજ હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ એમ કુલ 5 ભાષાઓમાં રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્માણ જ્યોતિ દેશપાંડે અને લોકેશ ધરે મળીને કર્યું છે.




