‘હાલ દેશ ખૂબ જ ગંભીર સ્થિતિમાં…’, કેજરીવાલના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર | arvind kejriwal attack pm modi lpg crisis trump slavery allegation

![]()
India Foreign Policy Criticism AAP : દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે દેશમાં સર્જાયેલી LPG ગેસની અછત મુદ્દે કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. બુધવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેજરીવાલે ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, પીએમ મોદી અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના દબાણ હેઠળ કામ કરી રહ્યા છે અને દેશની વિદેશ નીતિને ધ્વસ્ત કરી દીધી છે.
ઈરાનને દુશ્મન બનાવી દીધું, હવે જનતા ભોગવશે
કેજરીવાલે ગેસની અછત માટે સરકારની વિદેશ નીતિને જવાબદાર ગણાવતાં કહ્યું કે, ‘ભારત હંમેશા બિન-જોડાણવાદી (Non-Aligned) રહ્યું છે, પરંતુ પીએમ મોદીએ યુદ્ધમાં અમેરિકા અને ઈઝરાયલનો પક્ષ લઈને આપણા જૂના મિત્ર ઈરાનને દુશ્મન બનાવી દીધું છે. આજે ઈરાન રશિયા અને ચીનને પોતાના જળ માર્ગો(સ્ટ્રેટ ઑફ હોર્મુઝ)માંથી પસાર થવા દે છે, પણ ભારતને રોકી રહ્યું છે. આ કારણે દેશમાં 50% ગેસનું ઉત્પાદન ઘટી ગયું છે અને અછત સર્જાઈ છે.’
બેરોજગારીનું સંકટ: 1 કરોડ લોકોની નોકરી જોખમમાં
કેજરીવાલે ચેતવણી આપી કે, ગેસની અછતને કારણે દેશમાં 1 કરોડથી વધુ લોકો બેરોજગાર થઈ શકે છે. તેમણે મોરબીના ટાઇલ્સ ઉદ્યોગનું ઉદાહરણ આપતાં કહ્યું કે, ત્યાં અગાઉથી જ 1 લાખ લોકો કામ વગરના થયા છે. મુંબઈ, દિલ્હી-NCR અને બિહાર જેવા રાજ્યોમાં હજારો હોટલો બંધ થઈ રહી છે.
પીએમ મોદી ટ્રમ્પના ગુલામ હોય તેમ વર્તે છે
વડાપ્રધાન પર વ્યક્તિગત પ્રહાર કરતાં કેજરીવાલે કહ્યું કે, ‘પીએમ મોદી ટ્રમ્પના ગુલામ બની ગયા હોય તેમ લાગે છે. ટ્રમ્પ જે આદેશ આપે છે તે પીએમ માની લે છે. રશિયા પાસેથી તેલ ન ખરીદવાનું કહીને દેશને 8 લાખ કરોડનું નુકસાન કરાવ્યું. મને ડર છે કે પીએમ મોદીનું કોઈ એવું રહસ્ય ટ્રમ્પ પાસે છે જેને જાહેર કરવાની ધમકી આપીને ટ્રમ્પ તેમને બ્લેકમેલ કરી રહ્યા છે.” “જો મોદીને પોતાનું રહસ્ય ખુલવાનો ડર હોય તો તેમણે રાજીનામું આપી દેવું જોઈએ, પરંતુ દેશને બરબાદ ન કરવો જોઈએ. 140 કરોડના આ મહાન દેશને પીએમએ અમેરિકાની કોલોની બનાવી દીધો છે.’



