હિંમત હોય તો દિલ્હીમાં ફરી ચૂંટણી કરી બતાવો: કોર્ટે નિર્દોષ જાહેર કરતાં કેજરીવાલનો ભાજપને પડકાર | arvind kejriwal slams pm modi liquor scam court relief verdict

Kejriwal Slams BJP after Court Relief: કથિત દારૂ કૌભાંડ મામલે અદાલત તરફથી મોટી રાહત મળ્યા બાદ આમ આદમી પાર્ટી(AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પાર્ટી હેડક્વાર્ટર ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. કેજરીવાલે કોર્ટના આ નિર્ણયને ઐતિહાસિક ગણાવતા ન્યાયતંત્રનો આભાર માન્યો હતો. તેમણે ભાવુક થતા જણાવ્યું કે, ‘છેલ્લા ચાર વર્ષથી ભાજપે ‘દારૂ કૌભાંડ’ શબ્દનો રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરી અમને બદનામ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ આજે સત્યની જીત થઈ છે. જજે આજના ભયના માહોલમાં જે હિંમત બતાવીને ન્યાય આપ્યો છે, તે બદલ હું તેમનો આજીવન ઋણી રહીશ.’
600 પાનાની ચાર્જશીટમાં પૂરતા પુરાવા નથી
કેજરીવાલે તપાસ એજન્સીઓ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, ‘CBI અને EDએ જે 600 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી, તેને કોર્ટે અપૂરતી ગણાવી છે.’ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે કેસ ચલાવવા માટે પૂરતા પુરાવા નથી. જો આ કેસ ચાલ્યો હોત તો 15-20 વર્ષ નીકળી ગયા હોત, પરંતુ કોર્ટે તેને ફર્જી ગણાવીને ફગાવી દીધો છે. કેજરીવાલે સીધો આક્ષેપ કર્યો કે, ‘આ આખું ષડયંત્ર અમેરિકન પ્રમુખ સામે ઝૂકનારા નેતાઓએ ઘડ્યું હતું. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધતા કહ્યું કે, આ બંનેએ મળીને આમ આદમી પાર્ટીને ખતમ કરવાનું ષડયંત્ર રચ્યું હતું અને હવે તેમણે દેશની માફી માંગવી જોઈએ.’
મેં એક પણ નવો પૈસો નથી કમાયો – કેજરીવાલ
પોતાની ઈમાનદારી પર ભાર મૂકતા કેજરીવાલે કહ્યું, ‘મેં જીવનમાં માત્ર ઈજ્જત અને ઈમાનદારી કમાઈ છે, એક નવો પૈસો નથી કમાયો. આજે કોર્ટના આદેશથી સાબિત થઈ ગયું છે કે કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સંજય સિંહ કટ્ટર ઈમાનદાર છે. જે રીતે AAPના ટોચના પાંચ નેતાઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા, તેનાથી સ્પષ્ટ થાય છે કે સત્તાની ભૂખ માટે આ બધું કરવામાં આવ્યું હતું. જો મોદીજીમાં હિંમત હોય તો દિલ્હીમાં ફરીથી ચૂંટણી કરાવી જુએ, ભાજપ 10 બેઠકો પણ નહીં જીતી શકે.’
આ પણ વાંચો: સ્વામી અવિમુક્તેશ્વરાનંદની ધરપકડ પર હાઈકોર્ટે લગાવી રોક, તપાસમાં સહયોગ આપવા નિર્દેશ
શિક્ષણ અને સ્વાસ્થ્યનો પડકાર
અંતમાં કેજરીવાલે વડાપ્રધાનને સકારાત્મક રાજનીતિ કરવાની સલાહ આપતા કહ્યું કે, ‘જેલમાં મોકલવા કે હત્યાના કાવતરા રચવા કરતા કામ કરીને બતાવો. જો મેં દિલ્હીમાં 500 સ્કૂલ બનાવી હોય તો તમે દેશમાં 5000 બનાવો, જો મેં મોહલ્લા ક્લિનિક બનાવ્યા હોય તો તમે 20,000 બનાવો. દિલ્હીની જનતા આજે પ્રદૂષણ અને તૂટેલા રસ્તાઓથી પરેશાન છે, કારણ કે કેન્દ્રના ષડયંત્રોએ દિલ્હીનો વિકાસ રોકી દીધો છે. વડાપ્રધાન ઇઝરાયલ જેવા દેશો અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વાત કરે છે પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે ભારતની ટીકા કરે છે ત્યારે તેઓ મૌન રહે છે. હવે સમય આવી ગયો છે કે નેગેટિવ રાજનીતિ છોડીને દેશના વિકાસ પર ધ્યાન આપવામાં આવે.’



