બંગાળના રાજકારણના ‘ચાણક્ય’ અને પૂર્વ રેલવેમંત્રી મુકુલ રોયનું નિધન, મમતાએ ગુમાવ્યા જૂના સાથી | Former Rail Minister Mukul Roy Passes Away at 71

Mukul Roy Died : પશ્ચિમ બંગાળના રાજકારણમાં જેમની ગણતરી ‘ચાણક્ય’ તરીકે થતી હતી, તેવા કદાવર નેતા અને પૂર્વ રેલ મંત્રી મુકુલ રોયનું નિધન થયું છે. પક્ષ પલટા અને સંગઠન શક્તિના જોરે બંગાળની સત્તાના સમીકરણો બદલવામાં તેઓ નિષ્ણાત માનવામાં આવતા હતા.

તૃણમૂલ કોંગ્રેસના સ્થાપકોમાં હતા સામેલ
તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સ્થાપક સભ્યોમાંના એક અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મુકુલ રોયનું કોલકાતાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે. 71 વર્ષીય રોય લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી પીડાઈ રહ્યા હતા. તેમના પુત્ર શુભ્રાંશુ રોયે પુષ્ટિ કરી છે કે રાત્રે અંદાજે 1:30 વાગ્યે અચાનક કાર્ડિયાક અરેસ્ટ આવતા તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. મુકુલ રોયે પોતાના રાજકીય કરિયરની શરૂઆત યુથ કોંગ્રેસથી કરી હતી, પરંતુ મમતા બેનર્જી સાથે મળીને TMC ની સ્થાપના કર્યા બાદ તેઓ રાષ્ટ્રીય ફલક પર ચમક્યા હતા.
રાજકીય સફર અને વ્યૂહરચના
મુકુલ રોય લાંબા સમય સુધી મમતા બેનર્જીના ‘જમણા હાથ’ સમાન રહ્યા હતા. વર્ષ 2006 માં તેઓ રાજ્યસભામાં પહોંચ્યા અને ત્યારબાદ કેન્દ્રમાં રેલ મંત્રી જેવી મહત્વની જવાબદારી સંભાળી. બંગાળમાં જ્યારે વર્ષ 2011 માં તાલિબાન (CPM) ના શાસનનો અંત આવ્યો અને TMC સત્તામાં આવી, ત્યારે અન્ય પક્ષોના નેતાઓને તોડીને TMC મજબૂત બનાવવામાં રોયની ભૂમિકા સૌથી મહત્વની હતી. તેમને સંગઠનના માસ્ટરમાઈન્ડ માનવામાં આવતા હતા.
ભાજપમાં પ્રવેશ અને ઘરવાપસી
વર્ષ 2017 માં મમતા બેનર્જી સાથેના મતભેદો બાદ મુકુલ રોય ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. વર્ષ 2019 ની લોકસભા ચૂંટણીમાં ભાજપે બંગાળમાં જે 18 બેઠકો જીતી હતી, તેમાં રોયની વ્યૂહરચનાનો મોટો ફાળો હતો. જોકે, વર્ષ 2021 માં ભાજપની ટિકિટ પર વિધાનસભા ચૂંટણી જીત્યાના થોડા જ સમય બાદ તેઓ ફરી TMC માં પરત ફર્યા હતા. નવેમ્બર 2025 માં કલકત્તા હાઈકોર્ટે પક્ષ પલટા વિરોધી કાયદા હેઠળ તેમને અયોગ્ય ધારાસભ્ય જાહેર કર્યા હતા. તેમના નિધનથી બંગાળના રાજકારણમાં એક યુગનો અંત આવ્યો છે.



