રાજપાલ યાદવ થયો જેલ મુક્ત, તિહાર જેલથી બહાર આવતા જ કહ્યું- ‘…તો હું સંપૂર્ણ રીતે તૈયાર છું’ | Rajpal Yadav released from TiharJail rajpal yadav cheque bounce case

![]()
Rajpal Yadav Case: વર્ષો જૂના ચેક બાઉન્સ કેસમાં જાણીતા અભિનેતા રાજપાલ યાદવને ગઈકાલે સોમવારે મળેલા વચગાળાના જામીન બાદ આજે તે તિહાડ જેલમાંથી બહાર આવ્યા છે. જેલમાંથી બહાર આવ્યા બાદ રાજપાલ યાદવે કહ્યું કે, ‘તમારે કોઈ પણ લીગલ જાણકારી જોઈતી હોય તો અમારા વકીલને પૂછી શકો છો, બૉલીવુડમાં કામ કર્યાને મારે 30 વર્ષ પૂર્ણ થશે. સમગ્ર દેશ દુનિયાના લોકો મારી સાથે છે તેથી જ હું 200-250 ફિલ્મમાં કામ કરી શક્યો, ભારતીય સિનેમા પણ મારી સાથે છે. હાઈકોર્ટે જ્યાં જ્યાં આદેશ આપ્યા ત્યાં હું હાજર રહ્યો, મારી સાથે સૌનું સમર્થન છે, મારી પર કોઈ આરોપ છે તો હું સંપૂર્ણ રીતે ગમે ત્યારે ઉપલબ્ધ છું’
13 દિવસ રહ્યા જેલમાં
ઉલ્લેખનીય છે કે ગત 5 ફેબ્રુઆરીના રોજ સાંજે 4 વાગ્યા આસપાસ તિહાર જેલમાં અધિકારીઓ સમક્ષ સરન્ડર કરી દીધું હતું, આજે કોર્ટના આદેશ બાદ 2.5 કરોડ રૂપિયા જમા કરી દેવાતા રાજપાલ યાદવને દિલ્હી હાઇકોર્ટે વચગાળાના જામીન આપ્યા છે. જણાવી દઈએ કે, રાજપાલ યાદવે 19 ફેબ્રુઆરીએ તેમની ભત્રીજીના લગ્નમાં હાજરી આપવા માટે જામીન અરજી દાખલ કરી હતી.
શું છે રાજપાલ યાદવ ચેક બાઉન્સ કેસ?
2012માં આવેલી ફિલ્મ ‘અતા પતા લાપતા’ રાજપાલની દિગ્દર્શક તરીકેની પહેલી ફિલ્મ હતી. રાજપાલે તેને બનાવવા માટે મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી 5 કરોડ રૂપિયા ઉધાર લીધા હતા. જો કે, ફિલ્મ નિષ્ફળ ગઈ અને રાજપાલને નોંધપાત્ર નુકસાન થયું. મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડે પૈસા પાછા માંગ્યા, જે રાજપાલ ચૂકવી શક્યા નહીં. મામલો કોર્ટ સુધી પહોંચ્યો. 2018 માં, મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડે કાનૂની કાર્યવાહી કરી. રાજપાલ અને તેની પત્ની સામે કેસ દાખલ કરવામાં આવ્યો. વ્યાજ સાથે 5 કરોડ રૂપિયાની આ રકમ વધીને 9 કરોડ રૂપિયા થઈ ગઈ. આ કેસમાં અભિનેતાને બે વાર જેલ થઈ ચૂકી છે. ઘણી વખત મુદત લંબાવ્યા પછી, જ્યારે તે પૈસા ચૂકવી શક્યો નહીં, ત્યારે તેને આત્મસમર્પણ કરવાની ફરજ પડી.
સેલિબ્રિટીઓ તરફથી ટેકો મળ્યો
મુશ્કેલીના આ સમયમાં બોલિવુડ સેલિબ્રિટી અને દિગ્ગજો રાજપાલની મદદે આવ્યા છે. સલમાન ખાન, અજય દેવગન, વરુણ ધવન, ડેવિડ ધવન, સોનુ સૂદ, તેજ પ્રતાપ યાદવ, રાવ ઇન્દરજીત સિંહ, ગુરુ રંધાવા, ગુરમીત ચૌધરી, કેઆરકે અને મીકા સિંહે મદદનો હાથ લંબાવ્યો છે. ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોયીઝ (FWICE) એ લોકોને રાજપાલને મદદ કરવા માટે આગળ આવવા અપીલ કરી છે. રાજપાલની પત્નીએ સેલિબ્રિટીઓ દ્વારા આપવામાં આવેલા સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો છે.



