મહાશિવરાત્રિએ શિવ નહીં શક્તિની આરાધના, નર્મદાના દેવમોગરામાં પાંચ દિવસનો અનોખો ધાર્મિક મેળો શરૂ | Narmada News Mahashivratri Devamogra Pandori Mata Temple Tribal Society

![]()
Narmada News: નર્મદા જિલ્લામાં દેવમોગરા ખાતે આવેલું પાંડોરી માતાનું મંદિર આદિવાસીઓમાં અનોખી આસ્થા ધરાવે છે. પાંડોરી માતા આદિવાસીઓની કુળદેવી ગણાય છે પરંતુ આ દેવી પૂજાની વિશેષતા એ છે કે આજના પવિત્ર મહા શિવરાત્રિના દિવસે આ વિસ્તારમાં શિવ નહીં પણ શક્તિની પૂજા થાય છે. આદિવાસી સમાજમાં અનાદિકાળથી યોજાતો અહીંનો ધાર્મિક મેળો અલગ રીતે ઐતિહાસિક મહત્વ ધરાવે છે.
રાજપીપળાથી આશરે 60 કિમીનું અંતર
નર્મદા જિલ્લાના સાગબારાના ગીચ જંગલોમાં, સાતપુડાની તળેટીમાં આવેલું દેવમોગરા ધામ આજે લાખો આદિવાસીઓની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. અનાદિકાળથી ચાલી આવતી પરંપરા મુજબ, અહીં શિવરાત્રીએ કુળદેવી પાંડોરી માતાનો ભવ્ય મેળો ભરાય છે. આ સ્થળ નર્મદા જિલ્લાના મુખ્યમથક રાજપીપળાથી આશરે 60 કિલોમીટરના અંતરે આવેલું છે.
આદિવાસી સંસ્કૃતિના દર્શન
જ્યાં ગુજરાત જ નહીં, પણ મહારાષ્ટ્ર, એમપી અને રાજસ્થાનથી લાખો શ્રદ્ધાળુઓ અહીં પોતાની બાધા પૂરી કરવા આવે છે. અનોખી વાત એ છે કે, અહીં નૈવેદ્યમાં વાંસની ટોપલીમાં નવું અનાજ, દેશી દારૂ અને મરઘા-બકરા ચઢાવવાની પરંપરા છે. પાંચ દિવસ સુધી ચાલતા આ મેળામાં આદિવાસી સંસ્કૃતિના સાક્ષાત્ દર્શન થાય છે.
આ પણ વાંચો: VIDEO | IND vs PAK: મેચ પહેલા પાકિસ્તાની છાવણીમાં ફફડાટ, ડગઆઉટમાં સાપ નીકળતા હડકંપ!
આસ્થા અને માન્યતા
શ્રદ્ધાળુઓ માને છે કે અહીં પ્રસાદમાં મળેલું ધાન્ય જો અનાજના કોઠારમાં રાખવામાં આવે, તો આખું વર્ષ અનાજ ક્યારેય ખૂટતું નથી. શ્રદ્ધા અને સંસ્કૃતિના આ અદભુત સંગમ સમાન દેવમોગરાનો મેળો આજે સાચા અર્થમાં લોકસંસ્કૃતિને ઉજાગર કરી રહ્યો છે.



