શહેરોની કાયાકલ્પ માટે રૂ. 1 લાખ કરોડના ભંડોળને કેબિનેટની મંજૂરી | Cabinet approves Rs 1 lakh crore fund for urban rejuvenation

![]()
ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગણામાં રોડ માટે રૂ. 11,000 કરોડ મંજૂર
સ્ટાર્ટઅપ ઈન્ડિયા ફંડ ૨.૦ હેઠળ રૂ. ૧૦૦૦૦ કરોડના ભંડોળથી સરકાર ડીપ ટેક કંપનીઓને સહાય કરશે
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે કેન્દ્રીય કેબિનેટને શનિવારે શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક અને વધુ સારા બનાવવા માટે રૂ. ૧ લાખ કરોડના ફંડને મંજૂરી આપી છે. આ સાથે કેબિનેટ બેઠકમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને તેલંગણામાં રસ્તા બનાવવા રૂ. ૧૧,૦૦૦ કરોડના ભંડોળને મંજૂરી, સ્ટાર્ટઅપ માટે નવા ફંડ અને નોઈડામાં મેટ્રોના એક્સટેન્શન સહિત અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા. કેબિનેટની આર્થિક બાબતોની સમિતિએ રૂ. ૧૮,૫૦૯ કરોડના ખર્ચે રેલવે મંત્રાલયની ત્રણ મલ્ટી-ટ્રેકિંગ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે શનિવારે જણાવ્યું હતું કે, પીએમ મોદીના અધ્યક્ષપદે કેન્દ્રીય કેબિનેટે રૂ. ૧ લાખ કરોડના અર્બન ચેલેન્જ ફંડને મંજૂરી આપી છે, જેના હેઠળ શહેરોમાં ઉચ્ચ ગુણવત્તાવાળા ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ માટે કેન્દ્રીય સહાય પૂરી પડાશે. આ ફંડનો આશય શહેરોને આધુનિક અને વધુ સારા બનાવવાનો છે. તેના હેઠળ ખાનગી રોકાણને આકર્ષિત કરવા, સ્માર્ટ સિટી, ટ્રાન્સપોર્ટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવો અને માર્કેટ-ડ્રીવન શહેરી વિકાસને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે. આ ફંડ મારફત શહેરોમાં મોટાપાયે વિકાસ પ્રોજેક્ટ શરૂ કરાશે.
અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર પ્રોજેક્ટ ખર્ચનો ૨૫ ટકા હિસ્સો વહન કરશે જ્યારે ઓછામાં ઓછું ૫૦ ટકા ભંડોળ બજારમાંથી એકત્ર કરાશે. આ પહેલથી આગામી પાંચ વર્ષમાં શહેરી ક્ષેત્રમાં કુલ રૂ. ૪ લાખ કરોડનું રોકાણ થવાની આશા છે. સરકારે કહ્યું કે, તેનું આ પગલું ભારતના શહેરી વિકાસના દૃષ્ટિકોણમાં ધરમૂળથી પરિવર્તનનું પ્રતીક છે. તેના હેઠળ ગ્રાન્ટ આધારિત ધિરાણના બદલે બજાર સાથે સંકળાયેલા, સુધારા આધારિત અને પરિણામ લક્ષી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ પર ભાર અપાશે.
આ સિવાય સ્ટાર્ટઅપ ઈન્ડિયા માટે ફંડ ૨.૦ લોન્ચ કરાયું છે, જેના હેઠળ કુલ કોર્પસ રૂ. ૧૦૦૦૦ કરોડ રખાયું છે. ડીપ ટેક, એઆઈ, ટેક ડ્રીવન મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટઅપ્સ માટે સરકાર સહયોગ કરશે. સરકારનું ફોકસ વેન્ચર કેપિટલ રોકાણને વધારવાનું છે. તેનો અર્થ એ છે કે ફન્ડિંગના કારણે નવી ટેક્નોલોજી કંપનીઓનું કામ અટકી નહીં જાય.
કેબિનેટે ગુજરાત, મહારાષ્ટ્ર અને તેલંગણામાં રૂ. ૧૧,૦૦૦ કરોડથી વધુના રોડ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ ગુજરાતમાં રૂ. ૪,૫૮૩.૬૪ કરોડના ખર્ચે ધમસિયા-બિટાડા-મોવી અને નાસરપોરે-મલોઠાના હાઈવેને ચાર લેનનો કરવાની મંજૂરી આપી છે. નેશનલ હાઈવે-૫૬ના ભાગરૂપે આ સેક્શનને ફોર લેનનો કરવાથી પ્રવાસનો સમય ૨.૫ કલાકથી ઘટીને ૧.૫ કલાક થઈ જશે. આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ મહારાષ્ટ્રમાં રૂ. ૩,૩૨૦.૩૮ કરોડના કુલ મૂડી ખર્ચથી એનએચ-૧૬૦એના ઘોટી-ટ્રમ્બાક (મોખડા)-જવાહર-મનોર-પાલઘર વિભાગના પુનર્વસન અને અપગ્રેડેશનને મંજૂરી આપી છે. ઉપરાંત તેલંગણામાં એનએચ-૧૬૭ને પહોળો કરાશે, જેના હેઠળ હૈદરાબાદ-પનાજી ઈકોનોમિક કોરિડોર પર ૮૦ કિ.મી. રસ્તાને ફોર લેનમાં કરાશે.



