કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : 15 ફેબ્રુઆરીથી ટોલ ટેક્સના નિયમોમાં થશે ફેરફાર | NHAI Toll Rule Change: No 25% Extra Fee on Incomplete Expressways from Feb 15

![]()
Toll Tax Rule Change : દેશમાં એક્સપ્રેસવેના નિર્માણથી મુસાફરી ઝડપી બની છે, પરંતુ અત્યાર સુધી મુસાફરોની એક મોટી ફરિયાદ હતી કે, એક્સપ્રેસવે અધૂરો હોવા છતાં તેના પર પૂરો અથવા વધારાનો ટોલ વસૂલવામાં આવતો હતો. હવે સરકાર આ વ્યવસ્થામાં મોટો ફેરફાર કર્યો છે.
અધૂરા એક્સપ્રેસવે પર ટોલટેક્સમાં રાહત
કેન્દ્ર સરકારે નેશનલ હાઈવે ફી (દર નિર્ધારણ અને વસૂલાત) નિયમો-2008માં સુધારો કર્યો છે, જેમાં કહેવાયું છે કે, જે એક્સપ્રેસવે અત્યાર સુધી એન્ડ-ટુ-એન્ડ એટલે કે સંપૂર્ણ રીતે કાર્યરત થયા નથી, તેના પર હવે 25 ટકા વધારાનો ટોલ લેવામાં આવશે નહીં.
અધૂરો પ્રોજેક્ટ છતાં વધુ ટોલ લેવાતો હતો
અગાઉના નિયમો મુજબ, એક્સપ્રેસવેનો કોઈપણ ભાગ મુસાફરી માટે ખુલ્લો મુકતા જ તેના પર સામાન્ય હાઈવે કરતા 25 ટકા વધુ ટોલ વસૂલવામાં આવતો હતો, ભલે પ્રોજેક્ટ અધૂરો હોય. હવે નવા સુધારા મુજબ, જ્યાં સુધી એક્સપ્રેસવે તેની પૂરી લંબાઈમાં શરૂ ન થાય, ત્યાં સુધી તેના ખુલ્લા ભાગ પર સામાન્ય નેશનલ હાઈવેના દરો મુજબ જ ટોલ વસૂલવામાં આવશે.
ક્યારથી લાગુ થશે આ નિયમ?
સરકાર દ્વારા જારી કરવામાં આવેલો આ નવો નિયમ 15 ફેબ્રુઆરી 2026થી અમલમાં આવશે. આ જોગવાઈ એક વર્ષ સુધી અથવા તો એક્સપ્રેસવે સંપૂર્ણ રીતે કાર્યરત ન થાય ત્યાં સુધી, જે વહેલું હોય તે મુજબ લાગુ રહેશે.
આ પણ વાંચો : અમેરિકા સાથે ટ્રેડ ડીલ બાદ રશિયાએ પણ ભારતને આપી ખાસ ગિફ્ટ ! દુશ્મન દેશોનું ટેન્શન વધશે



