કૃષિ અને સહકાર વિભાગનો નિર્ણય, 09 APMCમાં ચૂંટણીની જાહેરાત, 15 APMCની મુદતમાં 6 મહિનાનો વધારો | Gujarat APMC Elections Agriculture and Cooperation Department Jeetu Vaghani on APMC Elections

![]()
APMC Elections: ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા રાજ્યની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ (APMC) માટે બે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે રાજ્યની 09 APMCમાં ચૂંટણી યોજવા માટેની સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. જ્યારે, વહીવટી કારણોસર અન્ય 15 APMCની મુદત લંબાવવામાં આવી છે.
નીચે દર્શાવેલ 09 બજાર સમિતિઓમાં ટૂંક સમયમાં ચૂંટણી યોજાશે
1: ભાણવડ (દેવભૂમિ દ્વારકા)
2: ધોલેરા (અમદાવાદ)
3: તલોદ (સાબરકાંઠા)
4: સાગબારા (નર્મદા)
5: કુકરમુંડા (તાપી)
6: સુરેન્દ્રનગર
7: કામરેજ (સુરત)
8: રાણપુર (બોટાદ)
9: બરવાળા (બોટાદ)
15 APMCની મુદત કેમ લંબાવાઇ?
આ અંગે માહિતી આપતા કૃષિ અને સહકાર મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે, ‘રાજ્યમાં હાલ ચાલી રહેલી મતદારયાદી સુધારણા (SIR)ની કામગીરીમાં રાજ્ય ચૂંટણી પંચના આદેશથી જિલ્લા રજિસ્ટ્રાર અને કચેરીનો સ્ટાફ વ્યસ્ત છે. આથી જે બજાર સમિતિઓની મુદત પૂર્ણ થઈ છે અથવા પૂર્ણ થવામાં છે, તેવી સમિતિઓમાં ચૂંટણીનું તાત્કાલિક આયોજન કરવું શક્ય ન હોવાથી 15 APMCને 06 મહિનાનો મુદત વધારો આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ખેડા જિલ્લાની ઠાસરા અને ગળતેશ્વર, બનાસકાંઠાની દિયોદર, ભાભર અને ધાનેરા, જૂનાગઢ, અમદાવાદની ધોળકા અને બાવળા, મહેસાણાની બેચરાજી, પંચમહાલની શહેરા, છોટાઉદેપુરની નસવાડી અને છોટાઉદેપુર, સાબરકાંઠાની પ્રાંતિજ, બોટાદની ગઢડા તથા અમરેલીની ખાંભા બજાર સમિતિને જાહેરનામાની તારીખથી 06 મહિનાનો મુદત વધારો આપવામાં આવ્યો છે. સાથે કૃષિ વિભાગે એ પણ સ્પષ્ટતા કરી છે કે રાજ્યની જે બજાર સમિતિઓની ચૂંટણી પ્રક્રિયા ન્યાયિક હુકમો કે અદાલતી ચુકાદાના આધારે હાથ ધરાયેલ હોય, તેવી સમિતિઓને આ મુદત વધારાનો લાભ મળશે નહીં.


