મણિપુરમાં ફરી ભારેલો અગ્નિ: ઉખરૂલમાં હિંસા બાદ કરફ્યુનો આદેશ, 5 દિવસ માટે ઈન્ટરનેટ બંધ | Fresh Violence Erupts in Manipur’s Ukhrul Curfew Imposed Internet Suspended

![]()
Fresh Violence Erupts in Manipur’s Ukhrul : મણિપુરમાં ફરીથી હિંસા ભડકતા સુરક્ષા એજન્સીઓની ચિંતા વધી છે. મહિનાઓ સુધી હિંસાગ્રસ્ત રહ્યા બાદ થોડા દિવસથી મણિપુરમાં શાંતિ હતી. પરંતુ હવે ઉખરુલના એક ગામમાં અનેક ઘરો પર હુમલો કરી આગચંપી કરવામાં આવી છે.
લિટન સારેઈખોંગ ગામમાં આગચંપી અને હિંસા બાદ સમગ્ર ઉખરુલ જિલ્લામાં કરફ્યુ લગાવવાના આદેશ આપવામાં આવ્યા છે. ઈન્ટરનેટ સેવાઓ પણ પાંચ દિવસ માટે રદ કરી દેવામાં આવી છે.
5 દિવસ માટે ઈન્ટરનેટ બંધ કરવાના આદેશ
હિંસક તત્વોએ પર્વતીય વિસ્તારોમાં હવામાં ફાયરિંગ પણ કર્યું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. કેટલાક ગ્રામીણો ઘર છોડીને સુરક્ષિત સ્થાનો પર પલાયન કરી ગયા. ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાતાં તાત્કાલિક ધોરણે ઈન્ટરનેટ બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા.
કેવી રીતે શરૂ થઈ હિંસા?
સમગ્ર મામલે તંત્ર કહી રહ્યું છે કે શનિવારે રાત્રે ગામ પાસે સાત-આઠ લોકોએ એક વ્યક્તિને ઢોર માર માર્યો. જે બાદ સમાધાન કરાવવાના પ્રયાસ કરવામાં આવ્યા. રવિવારે બેઠક મળવાની હતી પણ એ પણ થઈ શકી નહીં. જે બાદ સોમવારે અડધી રાતે હથિયારો સાથે આવેલા હુમલાખોરોએ એક વિશેષ સમુદાયના લોકોના ઘરોમાં આગ લગાવી દીધી. પછી તે સમુદાયના લોકોએ પણ સામેપક્ષે આગચંપીના પ્રયાસો કર્યા.


