‘RSS પ્રમુખ કોઈ જાતિના નહીં, માત્ર હિન્દુ હશે’, મુંબઈમાં મોહન ભાગવતનું મોટું નિવેદન | RSS Chief Mohan Bhagwat Says Sangh Head Is Chosen as Hindu Not by Caste

![]()
RSS Chief Mohan Bhagwat Statement: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, ‘સંઘમાં સર્વોચ્ચ પદ માટેની પસંદગી જાતિના આધારે નહીં, પરંતુ માત્ર હિન્દુ હોવાના આધારે કરવામાં આવે છે. આ નિવેદન દ્વારા તેમણે જાતિવાદની વ્યૂહનીતિથી ઉપર ઉઠીને સંગઠનની વિચારધારાને સ્પષ્ટ કરી છે.’
જાતિવાદ નહીં, માત્ર હિન્દુત્વ લાયકાત
મુંબઈમાં આયોજિત કાર્યક્રમમાં સંબોધન કરતા મોહન ભાગવતે જણાવ્યું હતું કે, ‘આરએસએસ વડા કોઈપણ જાતિમાંથી હોઈ શકે છે. આ પદ જાતિના આધારે પસંદ કરવામાં આવતું નથી. એકમાત્ર અને મુખ્ય શરત એ છે કે તે વ્યક્તિ હિન્દુ હોવી જોઈએ. સંઘમાં લાયકાત જાતિ દ્વારા નહીં, પણ હિન્દુત્ત્વની ભાવના દ્વારા નક્કી થાય છે.’
નિવૃત્તિ અને પદ છોડવા અંગેની સ્પષ્ટતા
આરએસએસના વડા મોહન ભાગવતે પોતાના પદ અને સંગઠનની પ્રણાલી વિશે પણ કેટલીક પાયાની વાતો શેર કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે 75 વર્ષ પછી વ્યક્તિએ પદ વિના કામ કરવું જોઈએ. મારી ઉંમર અંગે સંઘને જાણ કરી હતી, પરંતુ સંગઠને મને કામ ચાલુ રાખવા કહ્યું છે. હું પદ છોડી શકું છું, પરંતુ કામ પરથી ક્યારેય નિવૃત્ત થઈશ નહીં. આરએસએસ જ્યારે પણ કહેશે ત્યારે હું પદ છોડી દઈશ, કારણ કે અહીં નિર્ણયો વ્યક્તિ નહીં પણ સંગઠન લે છે. સંઘ પ્રમુખની પસંદગી ચૂંટણી દ્વારા નહીં, પરંતુ પ્રાદેશિક અને પ્રાંતીય વડાઓની સર્વસંમતિથી થાય છે.ટ
સંઘના કાર્યકર્તાઓ માટે સંદેશ
આરએસએસના સ્વયંસેવકોને સંબોધતા મોહન ભાગવતે કહ્યું કે, ‘જીવનમાં પડકારો અને અનુકૂળતા આવતી-જતી રહેશે, પરંતુ આપણે સમસ્યાને બદલે ઉકેલ શોધવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. સંઘના ઇતિહાસમાં ક્યારેય કોઈને બળજબરીથી નિવૃત્ત કરવામાં આવતા નથી, પરંતુ હૃદયપૂર્વક કામ કરવાની પ્રેરણા આપવામાં આવે છે.’


