એડીએજીની કંપનીઓ સામે તપાસમાં વિલંબ બદલ સુપ્રીમ નારાજ | Supreme Court upset over delay in investigation against ADAG companies

![]()
– રૂ.40,000 કરોડની બેકિંગ અને કોર્પોરેટ છેતરપિંડીનો કેસ
– આરોપીઓ દેશ છોડીને ન જાય તે સુનિશ્ચિત કરવા લુકઆઉટ સર્ક્યુલર જારી કરાયા : સોલિસિટર જનરલ તુષાર મહેતા
નવી દિલ્હી : તપાસમાં અસમાન્ય વિલંબ બદલ નારાજગી વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે અનિલ ધીરૂભાઇ અંબાણી ગ્રુપ (એડીએજી), અનિલ અંબાણી અને ગ્રુપ કંપનીઓની સંડોવણીવાળા ૪૦,૦૦૦ કરોડ રૂપિયાની બેકિંગ અને કોર્પોરેટ છેતરપિંડીના કેસમાં સીબીઆઇ અને ઇડીને નિષ્પક્ષ અને ત્વરિત તપાસ કરવાનો આદેશ આપ્યા છે.
અનિલ અંબાણી વતી હાજર થયેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગી સુપ્રીમ કોર્ટને ખાતરી આપી હતી કે તેમના અસીલ પૂર્વ મંજૂરી વગર દેશ છોડીને જશે નહીં. જ્યારે જાહેર હિતની અરજી દાખલ કરનાર અને પૂર્વ અધિકારી ઇએએસ શર્માએ શંકા વ્યક્ત કરી હતી કે તે દેશ છોડીને ભાગી શકે છે.
મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વિપુલ એમ પંચોલીની બનેલી ખંડપીઠે અંબાણી અને એડીએજી કંપનીઓની વિરુદ્ધ ચાલી રહેલી તપાસ અંગે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) પાસે ચાર સપ્તાહની અંદર નવો સ્ટેટ્સ રિપોર્ટ માંગ્યો છે. ખંડપીઠે ઇડીને એડીએજી અને અન્યની તપાસ માટે વરિષ્ઠ અધિકારીઓવાળી એસઆઇટીની રચના કરવાનાં નિર્દેશ આપ્યા છે. ખંડપીઠે અનિલ અંબાણી અને એડીએજી તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગી અને શ્યામ દીવાનને જનહિત અરજી પર જવાબ આપવા માટે ચાર સપ્તાહનો સમય આપ્યો છે.
તપાસ એજન્સીઓ તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે આ કેસનાં આરોપીએો દેશ છોડીને બહાર ન જાય તે સુનિશ્ચિત કરવા માટે લુકઆઉટ સર્ક્યુલર જારી કરવામાં આવ્યા છે.



