રેલવેની 10 રાજ્યોના 17 શહેરોને ભેટ, 20 નવી ટ્રેનો શરુ કરી, જુઓ તમામ રૂટની યાદી | Indian Railways Launches 20 New Trains Across 10 States: Check Full Route List

![]()
New Trains Launched : ભારતીય રેલવેએ મુસાફરોની વધતી જતી સંખ્યાને ધ્યાને રાખીને અને મુસાફરોની સુવિધા વધારવા માટે પહેલી ફેબ્રુઆરીથી 20 નવી ટ્રેનો શરુ કરી છે. રેલવેએ 10 રાજ્યોના 17 શહેરોને આવરી લઈને નવી ટ્રેનો શરુ કરી છે. આનાથી દિલ્હી, શામલી, પીલીભીત, શાહજહાંપુર, રાજેન્દ્ર નગર, નવી દિલ્હી, સાબરમતી, જોધપુર, કામાખ્યા, રોહતક, સંબલપુર, ઈરોડ, પુરી, રાઉરકેલા, ધુલિયા (ધુલ), વારાણસી, અયોધ્યા શહેરની સફર કરવા માગતા મુસાફરોને મોટી રાહત મળશે.
10 રાજ્યોમાં દોડશે નવી ટ્રેનો
નવી ટ્રેનોમાં અમૃત ભારત એક્સપ્રેસ, વંદે ભારત અને કેટલીક સ્પેશિયલ ટ્રેનો સામેલ છે. રેલવેના અધિકારીના જણાવ્યા મુજબ, IRCTCની વેબસાઇટ અને મોબાઇલ પર પર બુકિંગ શરુ થઈ ગયું છે. જે રાજ્યોમાં નવી ટ્રેનો શરુ કરવામાં આવી છે, તેમાં ગુજરાત, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઓડિશા, હરિયાણા, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, આસામ, દિલ્હીનો સમાવેશ થાય છે.
આ રૂટો પર દોડશે નવી ટ્રેનો
- ટ્રેન નંબર 64033 દિલ્હી – શામલી મેમૂ : આ ટ્રેન શામલી અને દિલ્હી વચ્ચે દરરોજ મુસાફરી કરતાં મુસાફરો માટે ફાયદાકારક રહેશે.
- પીલીભીત – શાહજહાંપુર પેસેન્જર : આ ટ્રેન સ્થાનિક સ્તરે કનેક્ટિવિટી વધારવા માટે શરુ કરવામાં આવી છે. આ દૈનિક પેસેન્જર ટ્રેન દ્વારા સ્થાનિક મુસાફરી સરળ બનશે.
- રાજેન્દ્ર નગર – નવી દિલ્હી અમૃત ભારત : જે લોકો બિહારથી દિલ્હી જાય છે, તેમના માટે આ ટ્રેન એક ઉત્તમ વિકલ્પ બનીને આવી છે.
- સાબરમતી – જોધપુર વંદે ભારત : આ રૂટ પર ચાલતી વંદે ભારત ટ્રેનના સમયમાં 1 ફેબ્રુઆરીથી ફેરફાર કરવામાં આવ્યો છે, જેથી મુસાફરોને વધુ અનુકૂળ સમય મળી શકે. ગુજરાત અને રાજસ્થાન વચ્ચે ઝડપી અને આરામદાયક મુસાફરી માટે આ એક શ્રેષ્ઠ વિકલ્પ બનશે.
- કામાખ્યા – રોહતક અમૃત ભારત : પૂર્વોત્તર ભારતને હરિયાણા સાથે જોડતી આ સાપ્તાહિક અમૃત ભારત ટ્રેન લાંબા અંતરના મુસાફરો માટે મહત્ત્વની સાબિત થશે. આ ટ્રેનથી બંને પ્રદેશો વચ્ચે સીધી અને સસ્તી કનેક્ટિવિટી મજબૂત થશે.
- સંબલપુર – ઈરોડ સ્પેશિયલ : દક્ષિણ ભારત તરફ મુસાફરી કરનારાઓ માટે આ સ્પેશિયલ ટ્રેનની સેવા લંબાવવામાં આવી છે. ઓડિશાથી તમિલનાડુ સુધીની સફર હવે વધુ સરળ અને સીધી થઈ શકશે, જેનાથી લાંબા અંતરની મુસાફરીમાં રાહત મળશે.
- પુરી – રાઉરકેલા વંદે ભારત : ઓડિશાના મુખ્ય શહેરોને જોડવા માટે આ સેમી હાઇ સ્પીડ વંદે ભારત ટ્રેન શરુ કરવામાં આવી રહી છે. તેનાથી રાજ્યની અંદર ઝડપી, આરામદાયક અને સમય બચાવનારી મુસાફરી શક્ય બનશે.
- ધૂલે – વારાણસી/અયોધ્યા : મહારાષ્ટ્રના ધૂલેથી વારાણસી અને અયોધ્યા જેવા ધાર્મિક સ્થળો માટે નવી ટ્રેનો પ્રસ્તાવિત છે. તીર્થયાત્રા કરનારાઓ માટે આ સીધી અને સુવિધાજનક રેલ સેવાનો વિકલ્પ આપશે.
આ પણ વાંચો : ટેસ્ટ ક્રિકેટના નિયમો બદલાયા, બેટર-વિકેટકીપરને રાહત, ‘બન્ની હોપ’ પર પ્રતિબંધ



