‘વિપક્ષને બોલતા અટકાવવા લોકશાહી પર કલંક’, લોકસભામાં હોબાળા બાદ રાહુલ ગાંધીનો અધ્યક્ષને પત્ર | Rahul Gandhi Writes to Om Birla: Blocking Opposition’s Voice a Stain on Democracy

![]()
Rahul Gandhi Letter to Om Birla : લોકસભામાં આજે બીજા દિવસે પણ ભારે હોબાળો થવાની, વિપક્ષના નેતા રાહુલ ગાંધીને બોલતા અટકાવવાની, વિપક્ષના સાંસદો દ્વારા સ્પીકર પર કાગળો ઉછાળવાની, વિપક્ષના આઠ સાંસદોને સસ્પેન્ડ કરવાની ઘટના બની હતી. આ તમામ ઘટનાક્રમ વચ્ચે રાહુલ ગાંધીએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખ્યો છે.
કોંગ્રેસે શેર કર્યો રાહુલ ગાંધીનો પત્ર
કોંગ્રેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર રાહુલ ગાંધીનો પત્ર શેર કરીને લખ્યું છે કે, સંસદમાં રાષ્ટ્રીય સુરક્ષાના મહત્ત્વના મુદ્દા ઉઠાવવા બદલ વિપક્ષના નેતાના અધિકારોથી વંચિત રાખવા મામલે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સ્પીકરને પત્ર લખ્યો છે. તેમણે પત્ર દ્વારા સ્પીકરને કહ્યું છે કે, ‘રાષ્ટ્રપતિના અભિભાષણ પ્રસ્તાવ પર બોલતી વખતે તમે મને એક મેગેઝિનને પ્રમાણિત કરવાનો નિર્દેશ આપ્યો હતો અને હું તેનો જ ઉલ્લેખ કરવા માંગતો હતો. મેં આજે ફરી ભાષણ શરૂ કરી તે દસ્તાવેજોને પ્રમાણિત કર્યા હતા.’
કોંગ્રેસે સ્પીકરને નિયમો યાદ કરાવ્યા
કોંગ્રેસના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર રાહુલ ગાંધીનો પત્ર શેર કરવામાં આવ્યો છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે, ‘સંસદમાં ચાલી રહેલી પરંપરા મુજબ સાંસદ દ્વારા ગૃહમાં દસ્તાવેજનો ઉલ્લેખ કરતી વખતે તેને પ્રમાણિત કરવું ફરજીયાત છે અને તેની જવાબદારી પણ લેવાની હોય છે. પ્રમાણિત થયા બાદ સ્પીકર તે દસ્તાવેજ સાથે ટાંકવાની મંજૂરી આપે છે અને પછી દસ્તાવેજનો જવાબ આપવાની જવાબદારી સરકારની હોય છે અને અધ્યક્ષની ભૂમિકા પુરી થઈ જાય છે.’
આ પણ વાંચો : 426 કિલોગ્રામ વજનની ગાંધીજીની પ્રતિમા ચોરાઈ
રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દે સંસદમાં ચર્ચા કરવી જરૂરી
રાહુલ ગાંધીએ પત્રમાં લખ્યું છે કે, ‘મને લોકસભામાં બોલતા અટકાવવો એ સંસદની પરંપરાનું ઉલ્લંધન છે. આવું કરવાથી ગંભીર ચિંતા ઉભી થઈ છે કે, વિપક્ષના નેતા તરીકે મને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાઓ પર બોલતા અટકાવવાનો જાણીજોઈને પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હું ફરી કહેવા માંગું છું કે, રાષ્ટ્રપતિના અભિભાષણમાં રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દે એક મહત્ત્વનો ભાગ હતો અને તેના પર સંસદમાં ચર્ચા કરવી જરૂરી છે.’
લોકશાહી પર ‘ધબ્બો’ ગણાવ્યો
પત્રમાં વધુમાં આક્ષેપ કરાયો છે કે, ‘સંસદીય ઈતિહાસમાં કદાચ આ પહેલીવાર બન્યું છે કે સરકારના દબાણમાં આવીને સ્પીકરે વિપક્ષના નેતાને રાષ્ટ્રપતિના અભિભાષણ પર બોલતા અટકાવ્યા હોય. આ સ્થિતિ ભારતીય લોકશાહી પર એક ‘ધબ્બો’ છે.’ પત્રના અંતે તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે રાષ્ટ્રીય સુરક્ષા રાષ્ટ્રપતિના અભિભાષણનો મુખ્ય ભાગ હતો અને તેના પર ચર્ચા થવી જરૂરી છે.
આ પણ વાંચો : ટેસ્ટ ક્રિકેટના નિયમો બદલાયા, ‘બન્ની હોપ’ પર પ્રતિબંધ



