પદ્મ એવોર્ડ 2026ની જાહેરાત, 3 ગુજરાતી સહિત 45 હસ્તીને અપાશે પદ્મ શ્રી, જુઓ સંપૂર્ણ યાદી | Padma Awards 2026: Gujarat’s Mir Hajibhai Kasambhai to be Honored with Padma Shri

![]()
Padma Awards 2026: ભારતના 77માં પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2026ના પ્રતિષ્ઠિત ‘પદ્મ પુરસ્કારો’ની જાહેરાત કરાઈ છે. શિક્ષણ, ચિકિત્સા, કલા અને સમાજસેવા જેવા ક્ષેત્રોમાં અપ્રતિમ યોગદાન આપનારા મહાનુભાવોને પદ્મ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. આ યાદીમાં 3 ગુજરાતીઓના પણ નામ છે.
મીર હાજીભાઈ કાસમભાઈ: પદ્મશ્રી
મીર હાજીભાઈ કાસમભાઈને કળા ક્ષેત્રે તેમના યોગદાન માટે તેમને પદ્મશ્રીથી સન્માનિત કરાશે. તેમને લોકો ‘હાજી રમકડું’ના નામથી પણ બોલાવે છે. ભજન, સંતવાણી, ગઝલ અને કવ્વાલીમાં તેઓ પોતાની આગવી છટાથી ઢોલક વગાડવા માટે જાણીતા છે. તેમણે ગાયો માટે 3 હજારથી વધુ પ્રોગ્રામમાં ઢોલક વગાડ્યું છે. તેમણે 1 હજારથી વધુ સ્ટેજ પ્રોગ્રામ પણ કર્યા છે. તેઓ કોમી એકતા અને ભાઈચારાના પ્રતિક માનવામાં આવે છે. કચ્છની ધરા પર માનવતાની મહેક ફેલાવનારા મીર હાજીભાઈ કાસમભાઈ સાચા અર્થમાં કર્મયોગી છે. પશુધન અને ગૌસેવા માટેનું તેમનું સમર્પણ ધર્મની સીમાઓ ઓળંગીને એકતાનો સંદેશ આપે છે.
નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલા: પદ્મશ્રી
સુરતના નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલાને સામાજિક કાર્ય માટે પદ્મ શ્રી એવોર્ડનું સન્માન આપવામાં આવ્યું છે. તેઓ ગુજરાતમાં અંગદાનની પ્રવૃત્તિના પ્રણેતા તરીકે ઓળખાય છે અને ડોનેટ લાઈફ સંસ્થાના સ્થાપક છે. વર્ષ 1997માં નિલેશભાઈના પિતાની કિડની નિષ્ફળ થઈ હતી. વર્ષ 2004થી તેમને નિયમિત ડાયાલિસિસ કરાવવું પડતું હતું. આ દરમિયાન દર્દી અને પરિવારને પડતી અસહ્ય તકલીફો જોઈને નિલેશભાઈએ આ ક્ષેત્રમાં કાર્ય કરવાનો દ્રઢ નિશ્ચય કર્યો.વર્ષ 2006માં તેમણે સુરતથી કિડની દાનના માધ્યમથી અંગદાન સેવાનો પ્રારંભ કર્યો. શરૂઆતમાં માત્ર કિડની દાનથી શરૂ થયેલું આ અભિયાન આજે લિવર, સ્વાદુપિંડ (Pancreas), હૃદય, ફેફસાં, હાડકાં, નાનું આંતરડું, હાથ અને ગર્ભાશયના દાન સુધી વિસ્તર્યું છે. ‘ડોનેટ લાઈફ’ સંસ્થાના માધ્યમથી અત્યાર સુધીમાં કુલ 1300થી વધુ અંગો તેમજ ટિશ્યુઓનું (Tissues) સફળતાપૂર્વક દાન કરાવી અનેક જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન આપવામાં આવ્યું છે.
ધાર્મિકલાલ ચુનીનાલ પંડયા, (આખ્યાન, માણભટ્ટ): પદ્મ શ્રી
ધાર્મિકલાલ ચુનીનાલ પંડયાને પણ પદ્મ શ્રી એવોર્ડનું સન્માન મળશે. જન્મ, 11 ઑગસ્ટ 1932, વડોદરા, તેમણે ત્રણ હજારથી વધુ આખ્યાનના કાર્યક્રમો પ્રસ્તુત કર્યા છે. તેમણે દેશ અને વિદેશમાં આખ્યાન અને માણભટ્ટની કળાનો પ્રચાર અને પ્રસાર કર્યો છે. આરંભકાળે વડોદરાની પોળોમાં આખ્યાનકથાઓ કરી. વડોદરાના રેડિયોસ્ટેશન મારફતે ગુજરાતમાં પ્રસિદ્ધ થયા. તેઓ 1951-52થી આ વ્યવસાયમાં પ્રવૃત્ત છે. ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, રાજસ્થાન અને દિલ્હીમાં રાષ્ટ્રપતિભવન સુધી તેઓ કાર્યક્રમો આપી ચૂક્યા છે. આકાશવાણી અને દૂરદર્શન ઉપર તેઓ નિયમિત રીતે કાર્યક્રમો આપતા હતા. પ્રેમાનંદનાં લગભગ 30થી 40 આખ્યાનો તેમને કંઠસ્થ છે.
દિલ્હીની ભારતીય સંગીત નાટક અકાદમી તરફથી 1952થી આરંભાયેલી પુરસ્કારની પ્રણાલિકામાં 1987માં તેમનું સન્માન થયું. આવું માન પામનાર ગુજરાતમાં તેઓ માત્ર એક છે. પ્રેમાનંદની વિશિષ્ટ પરંપરાને જીવંત રાખવાનો તેમનો પુરુષાર્થ આજીવન રહ્યો. 1981માં શારદાપીઠના શંકરાચાર્યે ‘કીર્તનકેસરી’ અને ‘માણકલા-કૌશલ’ બિરુદોથી તેમને નવાજ્યા.
પદ્મ પુરસ્કાર વિજેતાઓની યાદી
પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ કરાય છે જાહેરાત
પદ્મ વિભૂષણ સાધારણ અને વિશેષ સેવા રૂપે, પદ્મ ભૂષણ ઉચ્ચ કક્ષાની વિશેષ સેવા માટે અને પદ્મ શ્રી કોઈપણ ક્ષેત્રમાં વિશેષ સેવા માટે આપવામાં આવે છે. પુરસ્કારોની જાહેરાત દર વર્ષે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યા પર કરવામાં આવે છે. દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંથી એક પદ્મ પુરસ્કાર ત્રણ શ્રેણીઓમાં આપવામાં આવે છે. જેમાં પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી સામેલ છે. આ પુરસ્કાર કલા, સામાજિક કાર્ય, સાર્વજનિક કિસ્સા, વિજ્ઞાન, એન્જિનિયરિંગ, વેપાર, ઉદ્યોગ, ચિકિત્સા, સાહિત્ય, શિક્ષણ, રમત અને સિવિલ સેવા જેવા વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કાર્ય કરનારાને માન્યતા આપે છે.


