રેલવેમાં ટિકિટ વિના પ્રવાસ કરનારાને દંડની રકમ બમણી કરી રૂ. 500 કરાઈ | Railways doubles fine for travelling without ticket to Rs 500

![]()
– રેલવે કાયદામાં દંડની જોગવાઈનો અમલ શરૂ
– રેલવે પરિસરમાં ગેરકાયદે પ્રવેશ, ગેરકાયદે ફેરી, મહિલાઓના ડબામાં પુરુષોના પ્રવેશ સહિતના મુદ્દે પણ દંડમાં વધારો કરાયો
નવી દિલ્હી : ભારતીય રેલવેમાં હવે ટિકિટ વિના પ્રવાસ વધુ મોંઘો થઈ ગયો છે. રેલવે મંત્રાલયના નવા નિયમો હેઠળ હવે ટિકિટ વિના પ્રવાસ કરવા પર અથવા યાત્રાનો પ્રવાસ કરવા પર લઘુત્તમ વધારાના દંડન રકમ બમણ કરી દેવાઈ છે, જે હવે રૂ. ૨૫૦થી વધારીને રૂ. ૫૦૦ કરવામાં આવી છે.
રેલવેમાં પ્રવાસીઓની સુવિધા અને રેલવે સેવાઓના સુરક્ષિત સંચાલનને સુનિશ્ચિત કરવાના આશયથી રેલવે કાયદા હેઠળ દંડ અને દંડ સંબંધિત સુધારેલી જોગવાઈઓ લાગુ કરી દેવાઈ છે. આ જોગવાઈ મુજબ અનિયમિત પ્રવાસ સંબંધિત કેસોમાં પણ હવે રૂ. ૨૫૦ના બદલે રૂ. ૫૦૦નો લઘુત્તમ વધારાનો દંડ વસૂલવામાં આવશે.
રેલવે અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે માત્ર ટિકિટ જ નહીં પરંતુ રેલવે પરિસરમાં ગેરકાયદે પ્રવેશ, ગેરકાયદે ફેરી, મહિલાઓ માટે અનામત ડબ્બામાં પુરુષોના બળજબરી પ્રવેશ અને રેલવે કર્મચારીઓના નિર્દેશોની અવગણના કરવા જેવા અન્ય વિવિધ ભંગો સંબંધિત દંડની જોગવાઈ તથા દંડની રકમમાં પણ સુધારા કરવામાં આવ્યા છે.
રેલવે મંત્રાલયના નોટિફિકેશન મુજબ જન વિશ્વાસ (જોગવાઈઓમાં સુધારા) કાયદા, ૨૦૨૬ હેઠળ રેલવે કાયદા ૧૯૮૯ની વિવિધ કલમોમાં કરાયેલા આ મહત્વપૂર્ણ ફેરફાર ૧૯ જૂનથી અમલમાં આવી ગયા છે. લાંબા સમયથી દંડની રકમમાં કોઈ ફેરફાર કરાયો નહોતો, જેને વર્તમાન પરિસ્થિતિઓને અનુરૂપ અને વ્યાવહારિક બનાવવા માટે આ પગલું લેવાયું છે. સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સૌરભ જૈને કહ્યું કે આ સંશોધિત જોગવાઈઓનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રવાસીઓમાં નિયમો પ્રત્યે જાગૃતિ વધારવા અને ટિકિટ વિના તથા અનિયમિત પ્રવાસ પર સંપૂર્ણપણે અસરકારક નિયંત્રણ સ્થિત કરવાનો છે. સાથે જ રેલવે પરિસરોમાં પહેલા કરતાં વધુ સારી વ્યવસ્થા સુનિશ્ચિત કરી શકાશે.



