राष्ट्रीय

NEET-UG રિ-એક્ઝામ પહેલા NTAએ વિદ્યાર્થીઓ માટે જાહેર કર્યો ‘ડ્રેસ કોડ’, 21 જૂને પરીક્ષા | NTA Releases NEET UG Exam Dress Code Guidelines Rules And Security Measures



NTA Releases NEET UG Exam Dress Code : 21 જૂન રવિવારના રોજ યોજાનારી NEET-UGની પુનઃપરીક્ષા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ ડ્રેસ કોડ અને સુરક્ષા વ્યવસ્થા અંગે મહત્વની માર્ગદર્શિકા જાહેર કરી છે. એજન્સીએ સ્પષ્ટ કર્યું છે કે, પાઘડી, હિજાબ, સિંદૂર, મંગળસૂત્ર કે અન્ય ધાર્મિક પ્રતિકો સાથે જોડાયેલી વસ્તુઓ પર કોઈ પ્રતિબંધ નથી. જો કે, આવા ઉમેદવારોને વધારાની સુરક્ષા તપાસને ધ્યાનમાં રાખીને નિર્ધારિત સમય કરતાં વહેલા પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાની સલાહ આપવામાં આવી છે.

NTAના જણાવ્યા અનુસાર, તમામ ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશતા પહેલા ફરજિયાત સુરક્ષા તપાસમાંથી પસાર થવું પડશે. એજન્સીએ વિદ્યાર્થીઓને હળવા રંગના કપડાં પહેરવા અને અડધી બાંયના શર્ટ, ટી-શર્ટ કે કુર્તા પહેરીને આવવાની સલાહ આપી છે. તે જ સમયે, ચપ્પલ અથવા ઓછી હીલવાળા સેન્ડલ પહેરવાને પ્રાધાન્ય આપવાનું કહેવામાં આવ્યું છે.

NTAએ જણાવ્યું કે ફૂલ બાંયના કપડાં કે, શિયાળાના વસ્ત્રો પહેરવા પર કોઈ પ્રતિબંધ નથી, પરંતુ આવા કપડાંની તપાસમાં વધુ સમય લાગી શકે છે. બીજી તરફ, હાઈ હીલ્સ, મોટા બકલવાળા બેલ્ટ, ભારે ઘરેણાં, સ્માર્ટ વોચ, બ્લૂટૂથ ઉપકરણો, મોબાઈલ ફોન અને અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણો પરીક્ષા કેન્દ્રમાં લઈ જવાની મંજૂરી રહેશે નહીં.

પરીક્ષા કેન્દ્રો પર બે સ્તરની સુરક્ષા તપાસ

પરીક્ષા કેન્દ્રો પર બે સ્તરની સુરક્ષા તપાસની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં ઉમેદવારોના એડમિટ કાર્ડ અને સરકારી ફોટો ઓળખપત્રની તપાસ કરવામાં આવશે. આ પછી બાયોમેટ્રિક ઓળખ દ્વારા ફોટો વેરિફિકેશન કરવામાં આવશે. જરૂર જણાયે પરીક્ષા દરમિયાન પણ ઓનલાઈન ફોટો સરખામણી કરી શકાય છે. NTA એ સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે તમામ કેન્દ્રો પર સીસીટીવી કેમેરા દ્વારા લાઈવ મોનિટરિંગની વ્યવસ્થા કરી છે. તેની દેખરેખ NTA હેડક્વાર્ટર સિવાય જિલ્લા પ્રશાસન અને પોલીસ પણ કરશે. ઉમેદવારોની સુવિધાને ધ્યાનમાં રાખીને તમામ પરીક્ષા કેન્દ્રો પર સ્વચ્છ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ વિદ્યાર્થીઓને પારદર્શક બોટલમાં પાણી લાવવાની છૂટ પણ આપવામાં આવી છે.

NTAએ એક નિવેદનમાં જણાવ્યું કે, ગુપ્ત પરીક્ષા સામગ્રીના સુરક્ષિત પરિવહનની જવાબદારી જિલ્લા પ્રશાસન, પોલીસ દળો અને ‘એસ્કોર્ટ’ ટીમને સોંપવામાં આવી છે. નિવેદન અનુસાર, પુનઃપરીક્ષા બપોરે 2:00 વાગ્યાથી સાંજના 5:15 વાગ્યા સુધી ‘પેન-પેપર’ માધ્યમથી આયોજિત કરવામાં આવશે. આ પરીક્ષા માટે દેશના 551 શહેરો અને વિદેશના 14 શહેરોમાં 22.79 લાખથી વધુ ઉમેદવારો નોંધાયેલા છે. NTAએ જણાવ્યું કે, વધારાના સમય માટે પાત્ર દિવ્યાંગ ઉમેદવારો માટે સાંજના 6:20 વાગ્યા સુધીનો સમય રહેશે.

NTA અનુસાર, પુનઃપરીક્ષાના આયોજન માટે વિવિધ એજન્સીઓ અને વહીવટીતંત્ર વચ્ચે સંકલન સ્થાપિત કરવામાં આવ્યું છે. શહેર સ્તરે વ્યવસ્થાઓની દેખરેખ માટે 674 સિટી કોઓર્ડિનેટરની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે પરીક્ષા કેન્દ્રો પર સ્વતંત્ર દેખરેખ માટે 6,669 ઓબ્ઝર્વર્સ તૈનાત કરવામાં આવ્યા છે. દરેક પરીક્ષા કેન્દ્ર પર સુપરિન્ટેન્ડેન્ટ અને ઈન્વિજિલેટરની નિમણૂક કરવામાં આવી છે.



Source link

Related Articles

Back to top button