‘મહારાષ્ટ્ર-બંગાળ છોડો, સપાના અનેક નેતા ભાજપમાં જોડાવા તૈયાર…’ દિગ્ગજ નેતાનો દાવો, સપાનો વળતો પ્રહાર | SP Split Rumors UP Minister OP Rajbhar Claims Major Crack in Samajwadi Party

![]()
SP Split Rumors: દેશના અલગ-અલગ રાજ્યોમાં ચાલી રહેલી પક્ષપલટાની મોસમ વચ્ચે હવે ઉત્તર પ્રદેશના રાજકીય ગલિયારા પણ ધમધમી ઉઠ્યા છે. યોગી સરકારના કેબિનેટ મંત્રી અને સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (સુભાષપા)ના અધ્યક્ષ ઓમ પ્રકાશ રાજભરે દાવો કર્યો છે કે આગામી સમયમાં અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીને બહુ મોટો ઝટકો લાગવાનો છે. રાજભરે જણાવ્યું કે, ‘પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રની ચર્ચા છોડી દો, યુપીમાં તો આખી શિવસેનાની જેમ સપાના કેટલાય દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાવા માટે લાઈન લગાવીને બેઠા છે.’ આ નિવેદન બાદ 2027ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલાં જ રાજકીય ગરમાવો વધી ગયો છે.
તપાસ એજન્સીઓનો સકંજો કસાતા જ નેતાઓ બેચેન: રાજભર
ઓમ પ્રકાશ રાજભરે સપા નેતૃત્વ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું કે, જેમ-જેમ વિવિધ કૌભાંડોમાં કેન્દ્રીય તપાસ એજન્સીઓનો સકંજો કસાઈ રહ્યો છે, તેમ-તેમ સપાના નેતાઓની ઊંઘ હરામ થઈ ગઈ છે. તેમણે ખનન કૌભાંડ અને ગોમતી રિવર ફ્રન્ટ પ્રોજેક્ટના કેસોનો ઉલ્લેખ કરીને કહ્યું કે, આખા ઉત્તર પ્રદેશને ખબર છે કે આ મામલાઓમાં કોણ કેન્દ્ર સ્થાને રહ્યું છે. જ્યારે પણ આ તપાસ આગળ વધે છે, ત્યારે સપા નેતાઓની પરેશાની આપોઆપ વધી જાય છે. આ ઉપરાંત તેમણે દાવો કર્યો કે સપાના વરિષ્ઠ નેતા રામગોપાલ યાદવે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને પત્ર પણ લખ્યો છે.
સપાનો પલટવાર: ‘ભાજપ અને તેના સાથીઓ બૌખલાઈ ગયા છે’
બીજી તરફ, સમાજવાદી પાર્ટીના પ્રવક્તા સુનિલ સાજને રાજભરના આ નિવેદન પર આકરો પલટવાર કર્યો છે. તેમણે કહ્યું કે, ઓ.પી. રાજભરની આદત માત્ર બકવાસ કરવાની જ છે અને તેઓ પોતાની રાજકીય દુકાન ચલાવવા માટે આવા પાયાવિહોણા નિવેદનો આપી રહ્યા છે. સપા પ્રવક્તાએ દાવો કર્યો કે, 2024ની લોકસભા ચૂંટણીમાં સપાએ ભાજપને અડધી કરી દીધી હતી અને 2027ની વિધાનસભા ચૂંટણીમાં તેમને યુપીમાંથી સાફ કરી દેશે. તેમણે વધુમાં સણસણતો ટોણો મારતાં કહ્યું કે, આ વખતે રાજભરની પાર્ટીમાંથી એક પણ વિધાયક જીતવાનો નથી.
આ પણ વાંચો: BSFના બે જવાનને 42 વર્ષની જેલની સજા, આદિવાસી મહિલા સાથે ગેંગ રેપ અને એસિડ એટેકમાં દોષિત
અખિલેશના લંડન-પેરિસ પ્રવાસ પર પણ રાજભરનો કટાક્ષ
આ પહેલીવાર નથી જ્યારે રાજભરે અખિલેશ યાદવને નિશાન બનાવ્યા હોય. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક લાંબી પોસ્ટ લખીને રાજભરે અખિલેશ યાદવના વિદેશ પ્રવાસ પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કટાક્ષ કર્યો હતો કે, જો અખિલેશ યાદવને ફરવા જ જવું હતું તો લંડન અને પેરિસ જવાના બદલે કાશી, અયોધ્યા, મથુરા કે મા વિંધ્યવાસિની ધામ ગયા હોત, તો ત્યાંના સ્થાનિક નાના વેપારીઓ, ફૂલવાળા અને હોટલવાળાઓને કમાણી થાત. રાજભરે સલાહ આપી હતી કે અખિલેશને લંડન-પેરિસ વધુ ગમવા માંડ્યા છે, પરંતુ તેમણે બદલાતા નૂતન ભારત અને નવા ઉત્તર પ્રદેશની સાંસ્કૃતિક ધરોહરને જોવી જોઈએ.



