‘કન્ફર્મ કરો કે તમે ક્યાંય નથી જઈ રહ્યા!’ ગાયબ સાંસદોને ઉદ્ધવ ઠાકરેનો મેસેજ, બંગાળ જેવા ‘ખેલા’નો ડર | uddhav thackeray on missing shivsena ubt mps to confirm loyalty

![]()
Uddhav Thackeray On Missing Shivsena UBT MPs: પોતાની પાર્ટીને લઈને ચિંતા વ્યક્ત કરતા શિવસેના યુબીટી ચીફ ઉદ્ધવ ઠાકરેનું નિવેદન સામે આવ્યું છે. જેમાં ગાયબ સાંસદોને ઉદ્ધવ ઠાકરેએ મેસેજ આપ્યો છે કે, ‘કન્ફર્મ કરો કે તમે ક્યાંય નથી જઈ રહ્યા!’ પોતાની પાર્ટીના 5 સાંસદોને ઉદ્ધવે તાત્કાલિક હાજર થવાનો નિર્દેશ કર્યો છે અને કહ્યું કે, ‘પોતાની વફાદારી સાબિત કરો…’ આમ, બંગાળ જેવા ‘ખેલા’નો ડર જોવા મળી રહ્યો છે.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, ‘જ્યારે પણ હું ફોન કરું, ત્યારે કૃપા કરીને ખાતરી કરો કે તમે બોલવા માટે ઉપલબ્ધ છો. હું સમજું છું કે આજે તમારી ગેરહાજરી માટે તમે જે વ્યક્તિગત કારણો આપ્યા છે તે માન્ય છે. જોકે, અમારા પાંચ સાંસદોની રૂબરૂ ગેરહાજરી નકારાત્મક છાપ ઉભી કરે છે. તેથી, તમે જ્યાં પણ હોવ કૃપા કરીને પ્રેસને ઔપચારિક નિવેદન આપો.’
શિવસેના યુબીટીના 5 સાંસદો ક્યાં છે? શું આ સાંસદો ઉદ્ધવ સાથે છે કે પછી બંગાળની જેમ અહીંની રાજનીતિમાં પણ કંઈક થશે? તેવામાં પાર્ટીનું ચિત્ર સ્પષ્ટ કરવા ઉદ્ધવ ઠાકરેએ મોરચો સંભાળ્યો છે. જેમાં ઉદ્ધવે પાર્ટીની મિટિંગ માંથી ગાયબ 5 સાંસદોને કહ્યું કે, ‘તેઓ તાત્કાલિક પોતાની સ્થિતિ સ્પષ્ટ કરે.’
ઉદ્ધવ ઠાકરેની બેઠક, પાંચ સાંસદો ગાયબ
થોડા દિવસો પહેલા જ ઉદ્ધવ ઠાકરેએ પાર્ટીની બેઠક બોલાવી હતી. ઉદ્ધવ ઠાકરેની પાર્ટીમાં નવ સાંસદો છે, પરંતુ માત્ર ચાર લોકસભા સાંસદો હાજર રહ્યા હતા. બંગાળના રાજકીય વાતાવરણને જોતાં આ પાંચ સાંસદો ક્યાં છે તે અંગે અટકળો શરૂ થઈ ગઈ.
એ નોંધનીય છે કે, પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પછી ટીએમસી સાંસદોએ મમતા બેનર્જીની બેઠકમાં હાજરી આપી ન હતી. આનાથી ટીએમસીમાં વિભાજનની શરૂઆત થઈ.
બેઠકમાં હાજર ન રહેનારા શિવસેના યુબીટીના પાંચ સાંસદો
– ઓમપ્રકાશ રાજે નિમ્બાલકર
– ભાઈસાહેબ વાકચૌરે
– નાગેશ પાટીલ અષ્ટિકર
– સંજય દેશમુખ
– સંજય જાધવ
ગાયબ સાંસદોને લઈને ઉદ્ધવે કહ્યું કે, ‘કૃપા કરીને તમારી ગેરહાજરીનું કારણ સમજાવો, સ્પષ્ટપણે જણાવો કે તમે મારી સાથે દ્રઢતાથી છો અને ખાતરી કરો કે તમે ક્યાંય જવાના નથી. અમે કોઈ શંકા કે મૂંઝવણ વધારવા નથી ઇચ્છતા. કારણ કે આનાથી પાર્ટી કાર્યકરો અને મીડિયામાં વિવિધ અફવાઓ ફેલાય છે. આગામી બે થી ત્રણ દિવસમાં આપ સૌ સાંસદોએ માતોશ્રી ખાતે રૂબરૂ મળો, જેથી આપણે બેસીને વાત કરી શકીએ. ખાતરી કરો કે બધા આજે રાત્રે ઝૂમ કોલમાં જોડાય.’
આપણો વાઘ જીવતો છે: રાઉત
આ દરમિયાન શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે, ‘શિંદે જૂથ અને ભાજપ ખૂબ ડરી ગયા છે તેથી તેઓ હતાશામાં ખોટા સમાચાર ફેલાવી રહ્યા છે. અમારા બધા સાંસદો શિવસેના સાથે ઉભા છીએ અને તેમનું કહેવાતું ‘ઓપરેશન’ ફ્લોપ અને નિષ્ફળ રહ્યું છે. હવે સાવધાન રહો કારણ કે અમે ‘ઓપરેશન વુલ્ફ’ શરૂ કરી રહ્યા છીએ. શું તમને લાગે છે કે તમે વાઘને પાંજરામાં પૂરી શકો છો? વાઘને આંખમાં જોવા માટે પણ તમારે માઇલો દૂરથી ટ્રેક્વીલાઇઝરનો ઉપયોગ કરવો પડશે. આપણો વાઘ જીવતો છે, સંપૂર્ણપણે સક્રિય છે અને ખુલ્લા જંગલમાં મુક્તપણે ફરે છે.’



