राष्ट्रीय

મમતા બેનર્જીને વધુ એક ઝટકો: 6 વાર MLA અને પૂર્વ મંત્રી રહી ચુકેલા માનસ ભુઈયાએ છોડી TMC | Manas Bhunia Resigns: Big Blow To Mamata Banerjee As Former Minister Leaves TMC



Manas Bhunia Resigns : પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ને એક પછી એક મોટા ઝટકા લાગી રહ્યા છે. મમતા બેનર્જીના ખાસ ગણાતા માનસ ભુઈયાએ પાર્ટીને અલવિદા કહી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું સીધું મમતા બેનર્જીને મોકલી આપ્યું છે ,અને આરોપ લગાવ્યો છે કે પાર્ટી પોતાના રાજકીય સિદ્ધાંતોથી ભટકી ગઈ છે. પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં હાર બાદ સતત મુશ્કેલીઓમાં ઘેરાયેલા મમતા બેનર્જી માટે આ મોટો ફટકો છે. 6 વાર ધારાસભ્ય અને પૂર્વ મંત્રી માનસ ભુઈયાએ TMCના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. જો કે, અન્ય નેતાઓની જેમ તેમણે મમતા બેનર્જી કે અભિષેક બેનર્જી પર વ્યક્તિગત કોઈ આરોપો લગાવ્યા નથી.

મીડિયા સાથેની વાતચીતમાં તેમણે સ્પષ્ટ કર્યું કે, તેઓ રાજનીતિમાંથી નિવૃત્તિ નથી લઈ રહ્યા, પરંતુ આગળનું પગલું શું હશે તે અંગે કોઈ ખુલાસો કર્યો નથી. આથી તે પોતાની જૂની પાર્ટી કોંગ્રેસમાં પાછા ફરશે કે અન્ય કોઈ પક્ષમાં જોડાશે તે અંગે અટકળો તેજ થઈ ગઈ છે.

સબાંગ વિધાનસભા બેઠક પરથી મળી છે હાર

માનસ ભુઈયા છેલ્લા એક દાયકાથી મમતા બેનર્જી સાથે હતા, પરંતુ આ વખતે તેમણે સબાંગ વિધાનસભા બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો છે. અવિભાજિત મિદનાપુર જિલ્લાના સૌથી પ્રભાવશાળી નેતાઓમાંથી એક માનસ ભુઈયા લાંબા સમય સુધી કોંગ્રેસમાં રહ્યા હતા, જ્યાં તેઓ પાર્ટી અધ્યક્ષ અને વિધાનસભામાં વિપક્ષના નેતા પણ રહી ચૂક્યા છે. ત્યારબાદ 2016માં ભુઈયા TMC માં જોડાયા હતા અને રાજ્ય કેબિનેટ મંત્રી તરીકે પણ સેવા આપી હતી.

TMCમાં ચાલી રહી છે મોટી આંતરિક કટોકટી

માનસ ભુઈયાનું આ રાજીનામું એવા સમયે આવ્યું છે, જ્યારે ચૂંટણી હાર્યા બાદ તૃણમૂલ કોંગ્રેસ પર અસ્તિત્વનું સંકટ મંડરાઈ રહ્યું છે. પાર્ટીના 28 લોકસભા સાંસદોમાંથી 20 સાંસદો બળવાખોર બન્યા છે. મમતા બેનર્જીના સમર્થનમાં હવે માત્ર 8 સાંસદો જ બચ્યા છે. 4 રાજ્યસભા સાંસદોએ પણ પોતાની સદસ્યતા છોડી દીધી છે.

વિધાનસભાના વિપક્ષના નેતા પદ સ્વીકારનારા ઋતબ્રત બેનર્જીએ સ્પષ્ટ કર્યું છે કે, ‘તે મમતા બેનર્જીને નેતા માને છે, પરંતુ પાર્ટીમાં અભિષેક બેનર્જી માટે કોઈ જગ્યા નથી.’ ઋતબ્રતને અંદાજે 60 TMC ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કરાયો છે.



Source link

Related Articles

Back to top button