राष्ट्रीय

સંસદમાં બે-તૃત્યાંશ બહુમતી માટે કેમ તલપાપડ થઈ રહી છે NDA? TMC બાદ હવે ઠાકરે સેનામાં ખળભળાટ | Will TMC’s Internal Rebellion Help BJP Achieve a Two Thirds Majority



BJP Eyes Two-Thirds Majority: સંસદમાં સીમાંકન અને ‘વન નેશન, વન ઈલેક્શન’ જેવા દૂરોગામી ફેરફારો લાગુ કરવા માટે સરકારને બંધારણીય સુધારાની જરૂર છે. એપ્રિલ 2026માં 131મું બંધારણીય સુધારો બિલ લોકસભામાં પસાર ન થઈ શક્યા બાદ ભાજપના નેતૃત્વ હેઠળની NDA કોઈપણ ભોગે બે-તૃતીયાંશ બહુમતી મેળવવાની રણનીતિ પર કામ કરી રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, સીમાંકન દ્વારા મોદી સરકારનો પ્લાન લોકસભાની બેઠકો 543થી વધારીને 850 કરવાનો છે.

સંસદમાં બે-તૃત્યાંશ બહુમતી માટે કેમ તલપાપડ થઈ રહી છે NDA?

બંધારણીય સુધારા માટે સંસદના બંને ગૃહોમાં હાજર રહીને મતદાન કરનારા સભ્યોની ઓછામાં ઓછી બે-તૃતીયાંશ બહુમતી અને ગૃહની કુલ સભ્ય સંખ્યાની પૂર્ણ બહુમતી હોવી અનિવાર્ય હોય છે. આ ગણતરી મુજબ 543 બેઠકો ધરાવતી લોકસભામાં આ જાદુઈ આંકડો 362નો છે. એપ્રિલ 2026માં સીમાંકન બિલની તરફેણમાં માત્ર 298 વોટ જ પડ્યા હતા. તમને જણાવી દઈએ કે, હાલમાં લોકસભામાં 540 સાંસદો હાજર છે અને ત્રણ બેઠકો ખાલી છે. ભાજપની આગેવાની હેઠળની NDA હવે કોઈપણ ભોગે ગૃહમાં બે-તૃતીયાંશ એટલે કે 360 સાંસદોનો જાદુઈ આંકડો મેળવવાની રણનીતિ ઘડી રહ્યું છે.

બીજી તરફ, 245 બેઠકો ધરાવતા ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભામાં આ બહુમતીનો આંકડો 164 સભ્યોનો છે. જ્યાં સુધી સરકાર આ જરૂરી આંકડા સુધી નહીં પહોંચે, ત્યાં સુધી સીમાંકન, મહિલા અનામતનો અસરકારક અમલ અને ચૂંટણી સુધારા જેવા સરકારના સૌથી મોટા એજન્ડા અધ્ધરતાલ જ રહેશે.

TMCમાં મોટો બળવો: શું તેનાથી બદલાઈ રહ્યો છે ખેલ?

તાજેતરમાં જ પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ની અંદર એક અભૂતપૂર્વ રાજકીય ભૂકંપ આવ્યો છે. કાકોલી ઘોષ દસ્તીદાર અને શતાબ્દી રૉયના નેતૃત્વમાં TMCના 29માંથી 20 લોકસભા સાંસદોએ પાર્ટી સાથે છેડો ફાડીને એક સ્વતંત્ર જૂથ બનાવી લીધું છે. યુસુફ પઠાન, સાયોની ઘોષ અને અભિષેક બેનરજીના નજીકના ગણાતા અનેક નેતાઓએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને NDAને સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે. આ તમામ નેતાઓ સોમવારે લોકસભા સ્પીકરને મળીને અલગ જૂથની માન્યતા માટે દાવો રજૂ કરશે. TMCના આ બળવાખોર જૂથે પહેલાથી જ NDAને ટેકો જાહેર કરી દીધો છે. પક્ષપલટા વિરોધી કાયદા (એન્ટી ડિફેક્શન લો) ની જોગવાઈઓથી બચવા માટે પક્ષના કુલ સાંસદોના બે-તૃતીયાંશ (એટલે કે 19 સાંસદો) ટૂટવું જરૂરી છે અને બળવાખોર જૂથનો દાવો છે કે તેમની પાસે 20 સાંસદોનો આંકડો છે.

લોકસભાનું નવું ગણિત

– વર્તમાનમાં NDAની બેઠકો: 292

– TMCના બળવાખોર જૂથનું સમર્થન: 20

– કુલ NDA સમર્થન: 312

ઉદ્ધવ સેના (SS-UBT)નું સંકટ અને ઓપરેશન ટાઈગર

પશ્ચિમ બંગાળ બાદ હવે મહારાષ્ટ્રમાં ‘ઓપરેશન ટાઈગર’ની ચર્ચાએ જોર પકડ્યું છે. અહેવાલો છે કે ઉદ્ધવ ઠાકરે જૂથના 9માંથી 7 લોકસભા સાંસદો દિલ્હીમાં એકનાથ શિંદે અને ભાજપના શીર્ષ નેતૃત્વના સંપર્કમાં છે. જોકે, પાર્ટી પ્રવક્તા સંજય રાઉતે પાર્ટીમાં કોઈ પણ પ્રકારના ભંગાણનું ખંડન કર્યું છે, પરંતુ તેમણે સ્વીકાર્યું કે 3 સાંસદોની ગતિવિધિઓ પર પાર્ટી નજર રાખી રહી છે. આ સાંસદો ભવસાહેબ વાકચૌરે, સંજય જાધવ અને નાગેશ પાટીલ આષ્ટીકર હોવાનું કહેવાય છે. જો SS-UBTના 7 સાંસદો પણ પાર્ટી સાથે છેડો ફાડીને NDAને સમર્થન આપે, તો ગણિત કંઈક આ પ્રકારનું રહેશે:

કુલ NDA સમર્થન: 312 (વર્તમાન) + 7 (સંભવિત) = 319

શું આ બે બળવાથી કામ બની જશે?

તો આનો સીધો જવાબ છે – ના. TMCના 20 અને ઉદ્ધવ જૂથના સંભવિત 7 સાંસદો જોડાયા બાદ પણ લોકસભામાં NDA માત્ર જાદુઈ આંકડા સુધી જ પહોંચતી દેખાઈ રહી છે. બે-તૃતીયાંશ બહુમતી (360) ના જાદુઈ આંકડાને સ્પર્શવા માટે તેમને હજી પણ વધુ 41 સાંસદોના સમર્થનની જરૂર પડશે.

રાજ્યસભાની પેચ સમજો

રાજ્યસભામાં પણ 2026ની દ્વિવાર્ષિક ચૂંટણીઓ બાદ NDAનું સંખ્યાબળ 149 સુધી પહોંચી ગયું છે, પરંતુ આ આંકડો હજી પણ લક્ષ્યથી પાછળ છે.

વર્તમાન NDA સાંસદ: 149

જરૂરી આંકડો: 164

જરૂર: 15 સાંસદ

તમને જણાવી દઈએ કે, TMCના ત્રણ રાજ્યસભા સાંસદોએ રાજીનામાં આપી દીધા છે. આવી સ્થિતિમાં જો બંગાળમાં પેટાચૂંટણી યોજાય, તો આ ત્રણેય બેઠકો સત્તારુઢ ભાજપના ખાતામાં જશે. એટલે કે રાજ્યસભામાં NDAની ત્રણ બેઠકો વધી શકે છે.

TMC અને ઉદ્ધવ જૂથમાં ગાબડું પાડવામાં સફળતા મળતાં જ નિશ્ચિતપણે NDAને એક મનોવૈજ્ઞાનિક સરસાઈ મળી છે અને વિપક્ષ (INDIA ગઠબંધન)ને નબળુ પાડ્યું છે, પરંતુ 131મા બંધારણીય સુધારા જેવા મોટા બિલ પસાર કરાવવા માટે માત્ર આટલાથી જ કામ નહીં ચાલશે. સરકારને સંસદમાં બે-તૃતીયાંશ બહુમતી સાબિત કરવા માટે હજી પણ બીજુ જનતા દળ (BJD), YSR કોંગ્રેસ (YSRCP) કે અન્ય અપક્ષ અને પ્રાદેશિક પક્ષોના સાંસદોને પોતાના પક્ષમાં કરવા અથવા તો મતદાન દરમિયાન વૉકઆઉટ જેવી રણનીતિઓ પર નિર્ભર રહેવું પડશે.

NDA માટે દાવ પર છે આ ત્રણ મોટા બિલ

લોકસભામાં બદલાઈ રહેલું આ અંકગણિત આગામી ચોમાસુ સત્ર પર ઊંડી અસર છોડશે. 17 એપ્રિલ 2026ના રોજ 131મું બંધારણીય સુધારો બિલ જરૂરી બે-તૃતીયાંશ બહુમતી ન હોવાને કારણે પસાર નહોતું થઈ શક્યું . આ મોટા ઝટકા બાદ હવે સરકાર સામે મોટો પડકાર છે. ત્રણ મોટા મહત્વકાંક્ષી બિલોનો રસ્તો સાફ કરવા માટે હવે બે-તૃતીયાંશ બહુમતી મેળવવી સૌથી જરૂરી છે.

આ પણ વાંચો: બિલ પાસ કરાવવા માટે TMCના 20 સાંસદોને ભાજપમાં લાવશે સરકાર! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ

સીમાંકન બિલ

વર્ષ 2026 પછીની વસ્તીગણતરીના આધારે લોકસભા બેઠકોનું નવેસરથી સીમાંકન થવાનું છે, જેના કારણે નીચલા ગૃહમાં બેઠકોની સંખ્યા વધીને 850 સુધી પહોંચી શકે છે. દક્ષિણ ભારતના રાજ્યો આ બાબતનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે કારણ કે તેમને સંસદમાં પોતાનું પ્રતિનિધિત્વ ઘટવાનો ડર છે. આવી સ્થિતિમાં આ ફેરફારને લાગુ કરવા માટે NDA સરકારને સુપર-મેજોરિટી (બે-તૃતીયાંશ બહુમતી) ની સખત જરૂર છે.

વન નેશન, વન ઈલેક્શન

લોકસભા અને રાજ્ય વિધાનસભા ચૂંટણીઓ એકસાથે (વન નેશન, વન ઇલેક્શન) યોજવા માટે બંધારણના અનુચ્છેદ 83, 85, 172 અને 174માં મોટા ફેરફારો કરવાની જરૂર પડશે. તેને સામાન્ય ધ્વનિ મત દ્વારા પસાર ન કરી શકાય, તેના માટે કડક બંધારણીય સુધારાની જરૂર છે.

મહિલા અનામત બિલ

‘નારી શક્તિ વંદન અધિનિયમ’ તો સંસદમાંથી પાસ થઈ ચૂક્યું છે, પરંતુ તેનો વાસ્તવિક અમલ સીધી રીતે નવી વસ્તીગણતરી અને સીમાંકનની પ્રક્રિયા પૂર્ણ થવા પર જ ટકેલો છે.

અમિત શાહ વિપક્ષમાં ભંગાણ પાડી રહ્યા છે: કોંગ્રેસ

વિપક્ષ સાંસદોની સંખ્યાબળ વધારવાના આ તેજ પ્રયાસોને ભારે શંકાની નજરે જોઈ રહ્યો છે. મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસે શુક્રવારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પર આકરા પ્રહારો કર્યા હતા. પાર્ટીએ આરોપ લગાવ્યો કે, અમિત શાહ લોકસભામાં ભારતીય જનતા પાર્ટી (BJP) માટે બે-તૃતીયાંશ બહુમતીનો ‘જુગાડ’ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોંગ્રેસનું કહેવું છે કે તેઓ વિપક્ષી દળોમાં ભંગાણ પાડીને લોકશાહીની ‘મજાક’ ઉડાવી રહ્યા છે, પરંતુ તેમના આ મનસૂબા ક્યારેય સફળ નહીં થાય. 



Source link

Related Articles

Back to top button