राष्ट्रीय

ફુગાવો વધીને 3.94 ટકા મોંઘવારીના મહાચક્રમાં પીસાતી પ્રજા | Inflation rises to 3 94 percent people are suffering in the cycle of inflation



– ખાડી યુદ્ધ અને અલ નીનો આગામી સમયમાં અર્થતંત્ર પર વધુ વિપરીત અસર પાડશે

– પેટ્રોલ-ડીઝલ અને એલપીજીના ભાવવધારાના કારણે અનાજ, ફળો, ખાદ્યતેલ, શાકભાજીથી માંડીને શેમ્પુ સુધીની ચીજો પણ મોંઘી થઈ

– રિઝર્વ બેન્કે નાણાકીય વર્ષ માટે ફુગાવાનો અંદાજ 4.6 ટકાથી વધારીને 5.1 ટકા કર્યો

નવી દિલ્હી : દેશમાં કાળઝાળ ગરમીની સાથે-સાથે હવે મોંઘવારી પણ માઝા મૂકી રહી છે. ભારતમાં મે મહિનાનો ફુગાવો વધીને ૩.૯૪ ટકા થયો છે. એપ્રિલમાં ફુગાવો ૩.૪૮ ટકા હતો. ખાડીયુદ્ધના લીધે ઈંધણ અને ગેસના ભાવમાં થેયેલા વધારાના કારણે અનાજ, ફળોથી માંડીને ખાદ્યતેલ, શાકભાજીથી લઈને શેમ્પૂ,   પ્લાસ્ટિકના ઉત્પાદનો, સાફસફાઈના સાધનો બધાના ભાવમાં વધારો કર્યો છે. આમ કોઈ વસ્તુ એવી બાકી નથી જેનો ભાવ વધ્યો ન હોય. 

મેમાં મોંઘવારીમાં વધારો થવાનું મુખ્ય કારણ ઇંધણના ભાવવધારાની સાથે-સાથે ખાદ્યપદાર્થોના ભાવમાં વધારો રહ્યો હતો.ખાદ્યપદાર્થોના મોંઘવારી દરમાં અવિરત વધારો જારી છે. તે એપ્રિલના ૪.૨૦થી વધીને મેમાં ૪.૭૮ થઈ ગયો. તેના પરથી સમજાય છે કે ખાદ્યપદાર્થોની કિંમત છેલ્લા એક મહિનામાં ઝડપથી વૃદ્ધિ પામી રહી છે. સરકોરી ઓઈલ કંપનીઓએ મેમાં ઇંધણના ભાવમાં ચાર વખત વધારો કર્યો, તેના લીધે મેમાં પરિવહન મોંઘવારી દર ૧.૭૫ ટકા વધ્યો હતો, જેમાં અગાઉના મહિને ૦.૧૦ ટકાનો ઘટાડો થયો હતો રિઝર્વ બેન્કે પણ વર્તમાન નાણાકીય વર્ષ માટે મોંઘવારીનો અંદાજ ૪.૬ ટકાથી વધારીને ૫.૧ ટકા કરી દીધો છે. 

મેમાં જ ટામેટાના ભાવ જોઈએ તો તે ગયા વર્ષની તુલનાએ ૪૮ ટકા વધુ હતા. જ્યારે આદુનો ભાવ ૩૨ ટકા વધારે હતો. એપ્રિલમાં આ આંકડો ૩૫ અને ૧૪ ટકા હતો. આ ઉપરાંત આ વર્ષે અલ નીનોના કારણે વરસાદ ૧૦ ટકા ઓછો પડવાની પણ આગાહી છે. તેની સાથે કંપનીઓએ ભાવમાં થયેલો વધારો ગ્રાહક પર પસાર કરતાં દરેક પ્રોડક્ટ્સના ભાવ વધ્યા છે. 

રિઝર્વ બેન્કના અંદાજ મુજબ એપ્રિલથી જુનમાં સરેરાશ ફુગાવો ૪.૨ ટકા, જુલાઈથી સપ્ટેમ્બરમાં ૫.૧ ટકા અને ઓક્ટોબરથી ડિસેમ્બરમાં ૫.૯ ટકા અને જાન્યુઆરીથી માર્ચ ૨૦૨૭માં ૫.૪ ટકા રહેવાનો અંદાજ છે. 

આમ ગ્રાહકો માટે જાયે તો જાયે કહાં તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ગ્રાહક સવારે દિવસ ઉગે ત્યારથી ચા-દૂધ પીવે, બિસ્કિટ કે નૂડલ્સનો નાસ્તો કરે, બાળકોના સ્કૂલના નાસ્તામાં નૂડલ્સ કે સેન્ડવીચ બનાવવામાં આવે,  તેમા ગેસનો ઉપયોગ કરે, ઘરની સાફસફાઈ કરવામાં આવે, વોશિંગ મશીનમાં કપડા ધોવાઈ, ન્હાવા માટે સાબુ-શેમ્પૂનો ઉપયોગ કરે, પ્લાસ્ટિકની ડોલમાં કચરો ભરે, પછી વાહનને ઓફિસે જવા કિક મારે અને પહેલા સીધો પેટ્રોલ પંપે જઈ પેટ્રોલ પુરાવે અને ઓફિસે જાય, બપોર સુધીમાં ઓફિસમાં લંચ લે તો તેમા પણ તેને લંચ કરતી વખતે શાકભાજી, અનાજ, તેલ, ફળના ભાવ જ મગજમાં દોડતા હોય.

તેના  પછી સામાન્ય માનવી છેક સાંજે ઘરે આવે અને રાત્રે ઊંઘે ત્યાં સુધીના દરેક તબક્કામાં મોંઘવારીની એવી વ્યવસ્થા કરી રાખી છે કે લાઇટ બંધ કર્યા પછી પણ તેને હજી પણ મોંઘવારી નહીં વધેને તે ડરે ઊંઘ આવતી નથી. 

આમ સરકારે ચાની ચૂસકીથી લઈને બપોરના ભોજનથી ઘરની સાફસફાઈ તથા પેટ્રોલથી લઈને ગેસના બાટલા અને પીએનજી દરેક સ્તરે કરેલો ભાવવધારો ગ્રાહકના મગજમાં મંડરાયા જ કરે તેની પૂરેપૂરી કાળજી લીધી છે. સરકારને ડર છે  કે લોકોની યાદશક્તિ ઘણી મર્યાદિત છે, લોકો ભૂલી જાય છે.

 તેથી તે વારંવાર લોકોને મોંઘવારીના આંચકા અપાવે છે, જેથી લોકોના મગજમાંથી મોંઘવારી ન જાય. આ મોંઘવારીના ડરથી લોકો રાત્રે લાઇટ ચાલુ કરતાં પણ ડરવા લાગે તો આશ્ચર્ય નહી થાય, લોકોને ડર લાગશે કે લાઇટ ચાલુ રહેવાના કારણે સરકાર તેમને ક્યાંક સુખીસંપન્ન સમજીને મોંઘવારીના વધુ ડામ ન દે. લોકો સતત વિચારતા જ રહે છે કે હવે જીવન જરૂરિયાતની એવી કઈ વસ્તુ છે જેના ભાવ સરકાર વધારી દે. બસ સામાન્ય લોકોએ જીવનમરણના ચક્રની જેમ મોંઘવારીના આ મહાચક્રમાં અટવાયેલા રહેવાનું છે. બહાર આવવાનું જ નથી, જેથી કંઈ બીજું વિચારવાની ટેવ ન પડે.



Source link

Related Articles

Back to top button