ગુજરાત, ગોવા, મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશ માટે સૌથી મોટો ખતરો સાબિત થશે અલ નીનો! | el nino brings possible drought in gujarat goa maharashtra andhra pradesh

![]()
El Nino: યુરોપિયન યુનિયનની હવામાન એજન્સી ‘કોપરનિકસ ક્લાઈમેટ ચેન્જ સર્વિસ’ (C3S)ના તાજેતરના આંતરરાષ્ટ્રીય પૂર્વાનુમાને ભારતના આગામી ચોમાસાની સિઝન (જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર) ને લઈને એક મોટી ચિંતા ઊભી કરી છે. ગ્લોબલ વેધર મોડલ્સના વિશ્લેષણ દર્શાવે છે કે આ વર્ષે ભારતના મોટાભાગના વિસ્તારોમાં સરેરાશ કરતાં ખૂબ જ ઓછો વરસાદ પડવાની આશંકા છે. આ રિપોર્ટમાં એ વાતના સ્પષ્ટ સંકેતો આપવામાં આવ્યા છે કે પ્રશાંત મહાસાગરમાં આકાર લઈ રહેલું ખતરનાક ‘ગોડઝિલા અલ નીનો’ ભારતના પશ્ચિમ અને મધ્ય રાજ્યોના ચોમાસાને ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત કરી શકે છે.
જો આ આગાહી સાચી સાબિત થશે તો દેશના કરોડો ખેડૂતો, ગ્રામીણ અર્થતંત્ર અને શહેરી જળ પુરવઠા પર તેની સીધી અને અત્યંત ગંભીર અસર પડશે. વૈશ્વિક હવામાન કેન્દ્રો દ્વારા તૈયાર કરવામાં આવેલા મલ્ટી-મોડલ વેધર મેપ્સ પ્રમાણે આ વર્ષે દેશના પશ્ચિમ-મધ્ય ભાગોમાં સામાન્ય કરતાં ખૂબ ઓછો વરસાદ પડવાની સંભાવના સૌથી વધુ છે.
આ દુષ્કાળનો ભોગ બનનારા રાજ્યોની યાદીમાં સૌથી પહેલું નામ ગુજરાતનું છે, જ્યાં વરસાદમાં મોટો ઘટાડો નોંધાઈ શકે છે. આ ઉપરાંત હવામાનના આ બદલાયેલા મિજાજની સૌથી મોટી અને ખતરનાક અસર કોંકણ અને ગોવાના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી શકે છે.
આ વિસ્તારોમાં સરેરાશ વરસાદની તુલનામાં 100થી 200 મિલીમીટર કે તેથી પણ વધુનો મોટો ઘટાડો આવી શકે છે, જે મહારાષ્ટ્ર, મુંબઈ અને તેની આસપાસના પ્રમુખ કૃષિ અને શહેરી વિસ્તારો માટે એક મોટી ચેતવણી છે. આ સ્થિતિ આંધ્રપ્રદેશના કેટલાક ભાગોને પણ ખૂબ ખરાબ રીતે પ્રભાવિત કરી શકે છે.
આખરે શું છે ‘ગોડઝિલા અલ નીનો’?
હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે જ્યારે પણ ભારતમાં ચોમાસું નબળું પડે છે અથવા દુષ્કાળ પડે છે, ત્યારે તેનો સીધો સંબંધ અલ નીનો સાથે હોય છે. અલ નીનો એ એક એવી કુદરતી હવામાન ઘટના છે જેમાં પ્રશાંત મહાસાગરના મધ્ય અને પૂર્વીય ભાગની દરિયાઈ સપાટીનું તાપમાન અસામાન્ય રીતે વધી જાય છે. જ્યારે આ તાપમાન ખૂબ જ ઝડપથી અને ઘણું વધારે વધી જાય છે, ત્યારે વૈજ્ઞાનિકો તેને ‘ગોડઝિલા અલ નીનો’ નામ આપે છે.
જૂન 2026ના શરૂઆતના ડેટા દર્શાવે છે કે આ સિસ્ટમ ઝડપથી મજબૂત થઈ રહી છે. તેની અસરથી વૈશ્વિક પવનોની દિશા બદલાઈ જાય છે, જેના કારણે ભારત તરફ આવતા ચોમાસાના પવનો નબળા પડી જાય છે અને વાદળો બંધાવાનું ઓછું થઈ જાય છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ પણ પહેલાથી જ સમગ્ર જૂનથી સપ્ટેમ્બર સિઝન માટે લાંબા ગાળાની સરેરાશના માત્ર 90% થી 92% વરસાદ થવાનું અનુમાન લગાવ્યું છે, જે ‘બિલો-નોર્મલ’ છે.
કૃષિ, અર્થવ્યવસ્થા અને સામાન્ય જનતા પર થનારી જમીની અસર
ચોમાસું આ રીતે નબળું પડવાની સૌથી પહેલી અને ઘાતક અસર દેશની કૃષિ પર પડશે. ભારતમાં ખરીફ સિઝનના મુખ્ય પાકો જેવા કે ડાંગર, કઠોળ, કપાસ અને તેલીબિયાં સંપૂર્ણપણે ચોમાસાના વરસાદ પર નિર્ભર છે. વરસાદની અછતને કારણે પાકનું ઉત્પાદન ઘટી શકે છે, જેના લીધે બજારમાં ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ વધશે અને મોંઘવારીનો ગ્રાફ ઊંચો જઈ શકે છે.
આ ઉપરાંત દેશના કેટલાક ભાગોમાં જળાશયો અને ડેમોનું જળસ્તર પહેલાથી જ ઘણું નીચે જતુ રહ્યું છે કારણ કે વરસાદ ન પડવાને લીધે તેઓ ફરી ભરાઈ શક્યા નથી. આવી સ્થિતિમાં આગામી દિવસોમાં માત્ર ગ્રામીણ વિસ્તારોમાં જ સિંચાઈનું સંકટ ઊભું નહીં થાય, પરંતુ મુંબઈ અને દિલ્હી જેવા મોટા શહેરોમાં પણ પીવાના પાણીની ભારે તંગી જોવા મળી શકે છે.
શું છે રાહતની એક આશા?
ભલે આ વૈશ્વિક આગાહી અત્યંત ડરામણી છે, પરંતુ હવામાન વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આમાં હજુ પણ રાહતની એક આશા બાકી છે. આ આગાહી સિઝન શરૂ થવાના કેટલાક અઠવાડિયા પહેલા જારી કરવામાં આવી હોવાથી, આગામી સમયમાં આ મોડલ્સમાં કેટલાક ફેરફાર પણ આવી શકે છે.
આ ઉપરાંત સમગ્ર ભારતમાં એકસરખી સ્થિતિ નથી રહેવાની નથી. દેશના કેટલાક પૂર્વીય અને ઉત્તરીય ભાગોમાં હવામાનનું પ્રદર્શન વધુ સારું રહેવાની આશા છે, જેનાથી ત્યાં નુકસાન ઓછું થશે. જો કે, સતત મળી રહેલા આ વૈજ્ઞાનિક સંકેતોને જોતા સરકારો અને ખેડૂતોએ અત્યારથી જ પાણીના યોગ્ય સંગ્રહ, ઓછા પાણીથી થતા પાકની પસંદગી અને વૈકલ્પિક સિંચાઈ વ્યવસ્થા પર કામ શરૂ કરી દેવું જોઈએ.
અલ નીનો એટલે શું અને તે કેવી રીતે સમુદ્રને ગરમ કરે છે?
અલ નીનો એ એક કુદરતી હવામાન પ્રક્રિયા છે, જે વિષુવવૃત્તીય પેસિફિક મહાસાગરમાં દરિયાની સપાટીનું પાણી અસામાન્ય રીતે ગરમ થવાને કારણે સર્જાય છે. સામાન્ય પરિસ્થિતિમાં પૂર્વથી પશ્ચિમ તરફ ફૂંકાતા પવનો ગરમ પાણીને એશિયા અને ઓસ્ટ્રેલિયા તરફ ધકેલે છે, જેના કારણે ભારતમાં સારો વરસાદ પડે છે. પરંતુ અલ નીનો દરમિયાન આ પવનો ખૂબ નબળા પડી જાય છે અથવા ઉલટી દિશામાં વહેવા લાગે છે. પરિણામે, દક્ષિણ અમેરિકામાં મુખ્યત્વે પેરુના દરિયાકાંઠા નજીકનું ઠંડુ પાણી ગાયબ થઈ જાય છે અને ત્યાં ગરમ પાણીનો વિશાળ જથ્થો જમા થાય છે. જ્યારે સમુદ્રનો આટલો મોટો ભાગ આટલી હદે ગરમ થઈ જાય છે ત્યારે તે સમગ્ર વિશ્વના વાયુમંડળના ચક્રને ખોરવી નાખે છે.
આ પણ વાંચો: વૈશ્વિક હવામાન વિભાગે ભારત અંગે ચેતવ્યાં, અલ નીનોના ખતરનાક દોરથી ચોમાસા પર સંકટ
ભારતીય ચોમાસા અને કૃષિ પર ગંભીર અસરો પડશે
ભારત જેવા કૃષિપ્રધાન દેશ માટે આ સમાચાર ચિંતાજનક છે કારણ કે દેશનું સમગ્ર અર્થતંત્ર દક્ષિણ-પશ્ચિમ ચોમાસા પર નિર્ભર છે. ઇતિહાસ કહે છે કે જ્યારે પણ પેસિફિક મહાસાગર ગરમ થયો છે, ત્યારે ભારતમાં ચોમાસું નબળું પડ્યું છે. આ સુપર અલ નીનોની ભારત પર મુખ્ય 3 અસરો પડી શકે છે.
– ચોમાસાના ઉત્તરાર્ધમાં ગંભીર દુષ્કાળ: સામાન્ય રીતે અલ નીનોની અસર ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વધુ તીવ્ર બને છે. તેનાથી મધ્ય, પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ ભારત (ખાસ કરીને ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ)માં વરસાદમાં ઘટાડો થઈ શકે છે અને દુષ્કાળની સ્થિતિ સર્જાઈ શકે છે.
– પાક નિષ્ફળતા અને મોંઘવારી: ભારતના મુખ્ય ખરીફ પાકો જેવા કે ડાંગર, મકાઈ, સોયાબીન અને કપાસ સંપૂર્ણપણે વરસાદ પર આધારિત છે. વરસાદની ખેંચને કારણે પાક નિષ્ફળ જવાનું જોખમ વધશે, જેનાથી અનાજનું ઉત્પાદન ઘટશે અને બજારમાં ખાદ્ય ફુગાવો (મોંઘવારી) અનિયંત્રિત બની શકે છે.
– અસહ્ય ગરમી અને શિયાળા પર અસર: અલ નીનો વૈશ્વિક તાપમાન વધારે છે, જેના કારણે ભારતમાં શિયાળો અસામાન્ય રીતે ગરમ રહી શકે છે. વર્ષ 2027ના શરૂઆતના મહિનાઓમાં દેશ અત્યાર સુધીના સૌથી ઘાતક હીટવેવ (લૂ) નો સામનો કરી શકે છે. હીટવેવના કારણે દેશના જળાશયો અને ડેમોમાં પાણીનું સ્તર ચિંતાજનક રીતે ઘટી શકે છે.
વૈશ્વિક વિનાશ અને આર્થિક સંકટ
આ આબોહવા પરિવર્તનની અસર માત્ર ભારત પૂરતી મર્યાદિત નહીં રહે. પેસિફિક અને એટલાન્ટિક મહાસાગર વચ્ચેના તાપમાનના આ મોટા તફાવતને કારણે વાતાવરણમાં અત્યંત તીવ્ર વાવાઝોડા ફૂંકાશે.
– ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા અને દક્ષિણ એશિયાના દેશો પાણીની તીવ્ર અછત અને જંગલોની આગ (દાવાનળ) નો સામનો કરશે.
– દક્ષિણ અમેરિકાના દેશો (પેરુ, બ્રાઝિલ, ઈક્વાડોર) અને અમેરિકાના દક્ષિણ રાજ્યોમાં મૂશળધાર વરસાદ અને પૂર તબાહી મચાવશે.
– આ વિપરીત હવામાનને કારણે વૈશ્વિક સ્તરે કોફી, ખાંડ, કોકો અને પામ ઓઈલ જેવી મહત્ત્વની ચીજોની સપ્લાય ચેઈન સંપૂર્ણપણે ખોરવાઈ જશે, જેનાથી વૈશ્વિક આર્થિક સંકટ આવી શકે છે.



