શેફાલી જરીવાલાના નિધન બાદ પતિ પરાગ ત્યાગી સ્મશાન ઘાટ પહોંચ્યો: કેમેરા સામે આત્માઓ સાથે વાત કરવાનો કર્યો ચોંકાવનારો દાવો! | parag tyagi visits cremation ground claims experiencing spirits after shefali jariwala death

![]()
Parag Tyagi on Shefali Jariwala: ટીવી ઇન્ડસ્ટ્રીના જાણીતો અભિનેતા પરાગ ત્યાગી પોતાની પત્ની અને દિવંગત એક્ટ્રેસ શેફાલી જરીવાલાના નિધનના આઘાતમાંથી હજુ પણ બહાર આવી શક્યો નથી. વર્ષ 2025માં શેફાલીના અચાનક થયેલા અવસાન બાદ પરાગ ભારે આઘાતમાં સરી પડ્યો હતો. તાજેતરમાં પરાગ ત્યાગી ઉત્તર પ્રદેશના મોદીનગર સ્થિત એક સ્મશાન ઘાટ પર પહોંચ્યો હતો, જ્યાંનો એક વીડિયો તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વ્લોગમાં પરાગે સ્મશાન ઘાટ પર કેટલીક ઉર્જાનો અનુભવ કરવા અને અદ્રશ્ય શક્તિઓ સાથે વાતચીત કરવાનો દાવો કરીને ચર્ચા જગાવી છે.
સ્મશાન ઘાટ પર વિચિત્ર પ્રવૃત્તિઓ અનુભવ્યાનો દાવો
શેફાલી જરીવાલાના અવસાન બાદ પરાગે એક યુટ્યુબ ચેનલ શરૂ કરી છે, જેમાં તે પોતાની પત્ની સાથે જોડાયેલી યાદો અને અંગત જીવનના અનુભવો શેર કરતો રહે છે. તાજેતરના વ્લોગમાં પરાગ સ્મશાન ઘાટની આસપાસનો માહોલ કેમેરામાં કેદ કરતો જોવા મળે છે. વીડિયોમાં તે કહી રહ્યો છે કે, “મને અહીં આવ્યા બાદ એક ખાસ પ્રકારની ઉર્જાનો અનુભવ થઈ રહ્યો છે અને આસપાસથી વિચિત્ર અવાજો આવી રહ્યા છે.” તેણે પીપળાના ઝાડ તરફ ઈશારો કરીને ત્યાં એક અસામાન્ય સફેદ ચહેરો જોયો હોવાનો અને આત્માઓ સાથે સંવાદ સાધવાનો પણ પ્રયાસ કર્યો હોવાનું જણાવ્યું હતું.
આત્માઓને શાંતિથી રહેવા કરી વિનંતી
પરાગ ત્યાગીએ કેમેરા સામે વાત કરતા અદ્રશ્ય શક્તિઓને ઉદ્દેશીને કહ્યું હતું કે, “હું અહીં તમને પરેશાન કરવા નથી આવ્યો. તમે જ્યાં પણ હોવ, ખુશ અને શાંતિથી રહો.” ત્યારબાદ તેણે સ્મશાન ઘાટમાં ભગવાન કૃષ્ણ દ્વારા અર્જુનને આપવામાં આવેલા ગીતાના ઉપદેશનું ચિત્ર બતાવતા ભાવુક થઈને ઉમેર્યું કે, “હરિ આપણી સાથે છે અને પરી (શેફાલી) પણ આપણી સાથે છે, તો પછી ડર કઈ વાતનો?”
જૂન 2025માં થયું હતું શેફાલીનું અવસાન
ઉલ્લેખનીય છે કે, ટીવી ઇન્ડસ્ટ્રીની લોકપ્રિય જોડીઓમાંથી એક એવા પરાગ અને શેફાલીનો સાથ 27 જૂન 2025ના રોજ હંમેશા માટે છૂટી ગયો હતો. માત્ર 42 વર્ષની વયે શેફાલીનું અવસાન થયું હતું. પ્રાપ્ત અહેવાલો અનુસાર, નિધનના દિવસે શેફાલીએ ઘરે સત્યનારાયણની પૂજા રાખી હોવાથી વ્રત કર્યું હતું. ત્યારબાદ તેણે કેટલીક એન્ટી-એજિંગ દવાઓ, ગ્લુટાથિઓન ઇન્જેક્શન અને વિટામિન-સી ડ્રિપ લીધી હતી. તેના થોડા કલાકો બાદ તબિયત લથડતાં પરાગ તેને અંધેરીની હોસ્પિટલમાં લઈ ગયો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. પત્નીના આ અણધાર્યા વિદાયના આઘાતને કારણે પરાગ હજુ પણ માનસિક રીતે ભાંગી પડેલી સ્થિતિમાં જોવા મળી રહ્યો છે.



