મધ્ય પ્રદેશમાં સરકારી નોકરીમાં બે બાળકોની મર્યાદા ખતમ, ભાજપ સરકારનો મહત્ત્વનો નિર્ણય | madhya pradesh cm mohan yadav order scrapping of 2 child rule for government job

![]()
Madhya Pradesh: મધ્ય પ્રદેશમાં સરકારી કર્મચારીઓ અને તેના માટે લાયક ઉમેદવારો માટે મોટા ગૂડ ન્યૂઝ છે. હવે તેમણે બે બાળકોના નિયમનું પાલન નહીં કરવું પડશે. મુખ્યમંત્રી મોહન યાદવે ગુરુવારે આ નવા પ્રસ્તાવને પાછો ખેંચવાના આદેશ સાથે જૂના નિયમોને પણ ખતમ કરવા માટે કહ્યું છે.
મુખ્યમંત્રી યાદવે સૂચિત સિવિલ સર્વિસીસ રૂલ્સના ડ્રાફ્ટમાંથી એ નિયમ હટાવવાનો આદેશ આપ્યો છે, જે અંતર્ગત સરકારી નોકરીઓ માટે મહત્તમ બે બાળકોની મર્યાદા નક્કી કરવાની જોગવાઈ કરવામાં આવી હતી.
આ નિયમ રાજ્યમાં ઘણો જૂનો છે
મુખ્યમંત્રી મોહન યાદવે સત્તાવાર પોર્ટલ પરથી આ ડ્રાફ્ટને તાત્કાલિક હટાવવા માટે કહ્યું છે. જોકે, આ નિયમ રાજ્યમાં ઘણો જૂનો છે. વર્ષ 2001માં સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ જોગવાઈ લાગુ કરવામાં આવી હતી. જે અંતર્ગત, બે કરતાં વધુ જીવિત બાળકો ધરાવતાં ઉમેદવારોને સીધી ભરતી કે સરકારી વિભાગોમાં નિમણૂક માટે અયોગ્ય જાહેર કરવામાં આવતા હતા.
મુખ્યમંત્રીએ નવો ડ્રાફ્ટ તૈયાર કરવા આદેશ આપ્યો
મધ્ય પ્રદેશમાં વર્ષ 2001માં લાગુ કરવામાં આવેલા નિયમ પ્રમાણે 26 જાન્યુઆરી 2001 પછી બે કરતાં વધુ જીવિત બાળકો ધરાવતા લોકો સરકારી નોકરી માટે પાત્ર ગણાતા નહોતા. આ ઉપરાંત એમપી સિવિલ સર્વિસીસ (કન્ડક્ટ) રૂલ્સ 1965 હેઠળ બે કરતાં વધુ બાળકો હોવા એ સરકારી કર્મચારીઓ માટે કદાચાર માનવામાં આવતું હતું.
આ પણ વાંચો: ભરૂચના વ્હોરવાડમાં લોહિયાળ ખેલ: એક જ પરિવારના 3 સભ્યો પર ચપ્પુથી ઘાતકી હુમલો, 2ના મોત
મુખ્યમંત્રી મોહન યાદવે આ મુદ્દા પર અત્યાર સુધીના તમામ નિયમોને હટાવવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ તેમણે આ અંગેનો એક નવો ડ્રાફ્ટ તૈયાર કરવા આદેશ આપ્યો છે.
નવા ડ્રાફ્ટ બાદ સીએમની કાર્યવાહી
વાસ્તવમાં મધ્ય પ્રદેશમાં સેવાની સામાન્ય શરતોના નિયમો 2026નો એક ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો હતો અને તેના પર સામાન્ય જનતા પાસેથી 15 જૂન સુધી સૂચનો માગવામાં આવ્યા હતા. આ ડ્રાફ્ટમાં લાવવામાં આવેલા કેટલાક નવા નિયમોની સાથે બાળકોની મર્યાદાવાળા જૂના નિયમને પણ સામેલ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે મોહન યાદવ સરકારે તેને ખતમ કરવાનો આદેશ આપી દીધો છે.



