राष्ट्रीय

કોંગ્રેસ પાસે 4 વધુ, ભાજપ પાસે 10 ઓછા, છતાં MPમાં રાજ્યસભાની ચૂંટણીમાં જામશે ખરાખરીનો જંગ? | MP Rajya Sabha Polls 2026: BJP’s 3rd Candidate Sparks Cross Voting Fear in Congress Over Natarajan



MP Rajya Sabha Election 2026 : મધ્ય પ્રદેશમાં ભાજપ (BJP) દ્વારા ત્રીજા ઉમેદવારની જાહેરાત બાદ રાજ્યસભા ચૂંટણીનો મુકાબલો અત્યંત રસપ્રદ વળાંક પર પહોંચી ગયો છે. ભાજપ પાસે જીત માટે 10 મતોની અછત છે, તેમ છતાં કોંગ્રેસમાં ક્રોસ વોટિંગની આશંકા સેવાઈ રહી છે, જેણે દેશના સૌથી જૂના પક્ષને ભારે ચિંતામાં મૂકી દીધો છે. ભારતીય જનતા પાર્ટીએ ત્રીજા ઉમેદવાર તરીકે મત્સ્ય કલ્યાણ બોર્ડના અધ્યક્ષ મહેશ કેવટના નામની જાહેરાત કરીને કોંગ્રેસ માટે નવી પરીક્ષા ઊભી કરી દીધી છે. મહેશ કેવટની એન્ટ્રીથી કોંગ્રેસના ઉમેદવાર જયંત નટરાજન (મીનાક્ષી નટરાજન) માટે મુકાબલો ઘણો કપરો (ટાઇટ-ફાઇટ) બની ગયો છે. જો કે આંકડાકીય દૃષ્ટિએ કોંગ્રેસનું પલ્લું ભારે છે, પરંતુ નટરાજનના નામ સામે પક્ષના આંતરિક અસંતોષની ચર્ચાઓએ ક્રોસ વોટિંગનો ડર પેદા કર્યો છે.

આ પહેલાં, શનિવારે ભાજપના સત્તાવાર ઉમેદવાર તરુણ ચુગ અને રજનીશ અગ્રવાલે રાજ્યસભા ચૂંટણી માટે નામાંકન પત્ર ભર્યા હતા. વર્તમાન આંકડા મુજબ આ બંને ઉમેદવારોની જીત પાકી માનવામાં આવી રહી છે, જ્યારે ત્રીજી બેઠક પર સસ્પેન્સ વધી ગયું છે. કોંગ્રેસના મીનાક્ષી નટરાજને પણ સોમવારે જ ફોર્મ ભર્યું છે. દિગ્વિજય સિંહનો કાર્યકાળ પૂરો થતાં કોંગ્રેસે નટરાજનને મેદાનમાં ઉતાર્યા છે.

શું છે રાજ્યસભા ચૂંટણીનું ગણિત?

મધ્ય પ્રદેશની કુલ 230 સભ્યોની વિધાનસભામાં હાલમાં પ્રભાવી મતોની સંખ્યા 228 છે. જેમાં ભાજપ પાસે 164 અને કોંગ્રેસ પાસે 64 ધારાસભ્યો છે. જો કે, બીનાથી કોંગ્રેસના ધારાસભ્ય નિર્મલા સપ્રેનું વલણ ભાજપ તરફી હોવાના કારણે અને વિજયપુરના ધારાસભ્ય મુકેશ મલ્હોત્રાના મતદાન પર લાગેલી રોક જેવા ટેકનિકલ કારણોસર કોંગ્રેસનો વાસ્તવિક આંકડો 62 પર આવી ગયો છે.

રાજ્યસભાની પ્રત્યેક બેઠક જીતવા માટે ઉમેદવારને 58 મતોની જરૂર પડે છે. આ હિસાબે કોંગ્રેસ (62 મતો સાથે) પાસે જરૂરી આંકડા કરતાં 4 મતો વધુ છે. જો ભાજપે ત્રીજો ઉમેદવાર ન ઉતાર્યો હોત, તો નટરાજન બિનહરીફ અથવા સરળતાથી જીતી ગયા હોત.

ભાજપ પાસે 10 મતો ઓછા

ભાજપને પોતાના પ્રથમ બે ઉમેદવારો(તરુણ ચુગ અને રજનીશ અગ્રવાલ)ને જીતાડવા માટે 116 મતોની જરૂર પડશે. પોતાના કુલ 164 મતોમાંથી 116 મતો વાપર્યા બાદ ભાજપ પાસે 48 મતો વધશે. ત્રીજી બેઠક જીતવા માટે 58 મતોની જરૂર હોવાથી ભાજપને હજુ પણ 10 વધારાના મતોની જરૂર પડશે.

ભાજપની રણનીતિ શું છે?

તાજેતરના સમયમાં ભાજપે હિમાચલ પ્રદેશ (ફેબ્રુઆરી 2024) સહિત અન્ય રાજ્યોની રાજ્યસભા ચૂંટણીમાં જે રીતે વિપક્ષી મતોમાં ગાબડું પાડ્યું છે, તેનાથી કોંગ્રેસ સારી રીતે વાકેફ છે. ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમનો મુખ્ય હેતુ માત્ર જીત મેળવવાનો નથી, પરંતુ કોંગ્રેસનો આંતરિક કંકાસ જાહેરમાં લાવવાનો છે.

રાહુલ ગાંધી જૂથના ગણાતા મીનાક્ષી નટરાજનને પક્ષમાં સર્વસંમતિથી સ્વીકારવામાં આવ્યા નથી. આવી સ્થિતિમાં જો કોંગ્રેસના કેટલાક નારાજ ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું, તો નટરાજનની મુશ્કેલીઓ વધી શકે છે. ભાજપના નેતાઓનું કહેવું છે કે જો તેઓ ત્રીજી બેઠક નહીં પણ જીતે, તો પણ કોંગ્રેસની ફૂટ જગજાહેર કરવામાં ચોક્કસ સફળ રહેશે.



Source link

Related Articles

Back to top button