राष्ट्रीय

SIRમાં કપાયા નામ, હવે 63 લાખ લોકોના રદ થશે રેશનકાર્ડ, એક્શનમાં શુભેન્દુ સરકાર | Suvendu Adhikari Govt To Cancel 63 Lakh Ration Cards In Bengal



West Bengal Ration Card Cancellation : પશ્ચિમ બંગાળની શુભેન્દુ અધિકારી સરકારે રાજ્યની તિજોરી પર વધી રહેલા વધારાના નાણાકીય બોજને ઓછો કરવા અને સરકારી યોજનાઓમાં થઈ રહેલી ગેરરીતિઓને રોકવા માટે એક મોટું અભિયાન શરૂ કર્યું છે. સરકારે ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગની ‘ખાદ્ય સાથી’ યોજના હેઠળ મફત અને સસ્તા અનાજનો લાભ લઈ રહેલા અપાત્ર અને નકલી લાભાર્થીઓને બહાર કાઢવાનો નિર્ણય કર્યો છે. ગુરૂવારે ખાદ્ય અને પુરવઠા વિભાગ દ્વારા જાહેર કરાયેલા એક સત્તાવાર આદેશ મુજબ, વિશેષ સઘન સમીક્ષા 2026 (SIR) ના પરિણામોના આધારે તે તમામ રેશનકાર્ડને ચિહ્નિત કરીને ડિલીટ કરવામાં આવશે જે નિયમો હેઠળ અયોગ્ય સાબિત થયા છે.

આદેશમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, એસઆઈઆર (SIR) દરમિયાન મતદાર યાદીમાંથી જે 63 લાખ લોકોના નામ હટાવવામાં આવ્યા છે, તેમની ઓળખ કરવામાં આવશે અને તેમના રેશનકાર્ડ તાત્કાલિક રદ કરવામાં આવશે. જો કે, સરકારે આમાં એક માનવીય અને કાનૂની પાસાને પણ સામેલ કર્યો છે. આદેશમાં જણાવાયું છે કે, ‘જે લોકોના નામ વોટર લિસ્ટમાંથી કપાયા છે, પરંતુ તેમણે નાગરિકતા સુધારા કાયદા (CAA) હેઠળ નાગરિકતા માટે અરજી કરી છે, અથવા ટ્રિબ્યુનલ સમક્ષ અપીલ કરી છે, તેમના રેશનકાર્ડ ત્યાં સુધી એક્ટિવ રહેશે જ્યાં સુધી તેમની અરજીઓ પર અંતિમ નિર્ણય ન આવી જાય.’

મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી દ્વારા થોડા દિવસો પહેલા શરૂ કરવામાં આવેલી ‘અન્નપૂર્ણા યોજના’ માટે સરકારે એક નવું અરજી ફોર્મ પણ બહાર પાડ્યું છે. સરકારને શંકા છે કે અગાઉની સરકારની ‘લક્ષ્મી ભંડાર યોજના’ હેઠળ આશરે ૩૦ લાખથી વધુ અપાત્ર મહિલાઓ નાણાકીય સહાય લઈ રહી હતી. નવી અન્નપૂર્ણા યોજના હેઠળ રાજ્ય સરકાર અંદાજે બે કરોડ મહિલાઓને પ્રતિ માસ ૩,૦૦૦ રૂપિયાની આર્થિક સહાય આપશે. આ યોજના પાછળ રાજ્ય સરકારને દર વર્ષે આશરે 72,000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

આનાથી વિપરિત, અગાઉની તૃણમૂલ કોંગ્રેસ (TMC) ની સરકાર લક્ષ્મી ભંડાર યોજના ચલાવવા માટે વાર્ષિક અંદાજે ૩૦,૦૦૦ કરોડ રૂપિયા ખર્ચતી હતી. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ‘રાજ્યની તિજોરી હાલમાં અત્યંત મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે, અને આવક (રેવન્યુ) ને તાત્કાલિક વધારવી શક્ય નથી. આ વધારાના નાણાકીય બોજને સંભાળવા માટે ફંડનો દુરુપયોગ અને લીકેજ રોકવું ખૂબ જ જરૂરી છે.’

15,000 કરોડનું લીકેજ રોકવાની તૈયારી

અધિકારીઓના જણાવ્યા અનુસાર, ખાદ્ય સાથી યોજના હેઠળ વાર્ષિક આશરે 15,000 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે, જેના દ્વારા લગભગ બે કરોડ લોકોને મફત અનાજ આપવામાં આવે છે, અને ખેડૂતો પાસેથી સીધી ડાંગરની ખરીદી કરવામાં આવે છે. સરકારને આશંકા છે કે ટીએમસી (TMC) શાસન દરમિયાન આ યોજનાઓમાં મોટા પાયે નાણાંનો દુરુપયોગ થયો છે, તેથી તમામ રેશનકાર્ડ ધારકોની ભૌતિક ચકાસણી (Physical Verification) ફરજિયાત કરવામાં આવી છે.

કેવી રીતે થશે ચકાસણી?

પશ્ચિમ બંગાળના તમામ SDO અને BDO પોતપોતાના વિસ્તારોમાંથી હટાવવામાં આવેલા મતદારોની યાદી ખાદ્ય વિભાગના સ્થાનિક નિરીક્ષકો (ઇન્સ્પેક્ટર્સ) ને સોંપશે. ખાદ્ય વિભાગના અધિકારીઓ તે તમામ લોકોના ઘરે જઈને તપાસ કરશે, જેમના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. ચકાસણી પૂર્ણ થયા બાદ અપાત્ર લોકોના રેશનકાર્ડ બંધ કરી દેવામાં આવશે. સરકારના ટોચના નેતૃત્વએ આ સમગ્ર પ્રક્રિયાને 15 જૂન 2026 સુધીમાં પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો છે.

ટીએમસી રાજમાં થયેલા ડાંગર કૌભાંડની પણ થશે તપાસ

ભાજપ સરકાર માત્ર રેશનકાર્ડની જ તપાસ નહીં કરે, પરંતુ ટીએમસી શાસન દરમિયાન થયેલી ડાંગર ખરીદી પ્રક્રિયાની પણ ઊંડાણપૂર્વક તપાસ કરશે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ‘કાગળો પર રાજ્યે છેલ્લા કેટલાક વર્ષોમાં સરેરાશ 55 લાખ ટનથી વધુ ડાંગરની ખરીદી દર્શાવી છે. પરંતુ પ્રાથમિક તપાસ સંકેત આપે છે કે ડાંગરમાંથી ચોખા કાઢવા માટે રાઇસ મિલોમાં મોકલવામાં આવેલો એક મોટો હિસ્સો ક્યારેય રાજ્ય પાસે પાછો આવ્યો જ નથી. હવે તેની તપાસ કરવામાં આવશે કે શું કાગળો પર દર્શાવવામાં આવેલી ડાંગર વાસ્તવમાં ખરીદવામાં આવી પણ હતી કે પછી આ માત્ર એક કાગળ પરનું જ કૌભાંડ હતું.’

વર્તમાનમાં કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ બંગાળમાં 6.01 કરોડ લોકોને સસ્તું અનાજ આપે છે. આ સિવાય રાજ્ય સરકાર પોતાના તરફથી વધારાના બે કરોડ લોકોને મફત અનાજ આપે છે. નવી સરકાર હવે એ શોધવામાં લાગી છે કે, આ બે કરોડ વધારાના લાભાર્થીઓમાંથી કેટલા વાસ્તવમાં સાચા અને જરૂરિયાતમંદ છે. ડાંગર ખરીદી કૌભાંડની સત્તાવાર તપાસ પણ ટૂંક સમયમાં શરૂ થવાની આશા છે.



Source link

Related Articles

Back to top button