વારાણસીમાં અડધી રાતે બુલડોઝર એક્શન, હનુમાન મંદિર- મસ્જિદ અને કબ્રસ્તાનના ગેરકાયદે બાંધકામ ધ્વસ્ત | varanasi big bulldozer action hanuman temple ajgaib shaheed mosque demolished

![]()
Varanasi Bulldozer Action: વારાણસીમાં અડધી રાતે વહીવટીતંત્ર અને રેલવેની સંયુક્ત કાર્યવાહી દરમિયાન કાશી રેલવે સ્ટેશનની આસપાસના અનેક ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી કાશી રેલવે સ્ટેશનને મલ્ટી-મોડલ ટર્મિનલ સ્ટેશન તરીકે વિકસાવવાના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટના ભાગ રૂપે કરવામાં આવી. પ્રાપ્ત માહિતી પ્રમાણે આદમપુર વિસ્તારમાં રાજઘાટ પોલીસ ચોકી પાસે સૌથી પહેલા રેલવેની જમીન પર બનેલું હનુમાન મંદિર ધ્વસ્ત કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ અજગૈબ શહીદ મસ્જિદ અને કબ્રસ્તાન સાથે સંકળાયેલા બાંધકામો પર પણ બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું હતું. લગભગ એક કલાકની અંદર રેલવેની જમીન પર બનેલા તમામ ચિન્હિત બાંધકામોને ધ્વસ્ત કરી દેવામાં આવ્યા.
કાર્યવાહી દરમિયાન છાવણીમાં ફેરવાઈ ગયો વિસ્તાર
કાર્યવાહી દરમિયાન આખા વિસ્તારને સુરક્ષા છાવણીમાં ફેરવી દેવમાં આવ્યો હતો. પોલીસ, પીએસી અને આરપીએફના જવાનો મોટી સંખ્યામાં તહેનાત રહ્યા. લગભગ એક કિલોમીટરના દાયરામાં સુરક્ષા ઘેરો ગોઠવવામાં આવ્યો હતો અને મીડિયા કર્મચારીઓને પણ ડિમોલિશન સ્થળ પર પહોંચવાની મંજૂરી આપવામાં નહોતી આવી. અધિકારીઓએ કાર્યવાહી અંગે તાત્કાલિક કોઈ સત્તાવાર નિવેદન ન આપ્યું. પ્રાપ્ત માહિતી માટે પ્રસ્તાવિત પ્રોજેક્ટ માટે લગભગ 47.26 એકર જમીન પર વિકાસ કાર્ય થવાનું છે. આ વિસ્તારમાં ગુડ્સ શેડ, ભદઉ, ભદઉ ચુંગી રેલવે ડાટ બ્રિજ, અજગૈબ શહીદ મસ્જિદ અને પલંગ શહીદ મસ્જિદની આસપાસની જમીન અંગે પણ રેલવે અને સ્થાનિક પક્ષો વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો.
વારાણસી રેલવે સ્ટેશનને બનાવવામાં આવશે મલ્ટી-મોડલ ઈન્ટર મોડલ
તમને જણાવી દઈએ કે, કાશી રેલવે સ્ટેશનને લગભગ 336 કરોડના ખર્ચે એક આધુનિક મલ્ટી-મોડલ ઇન્ટર મોડલ સ્ટેશનમાં વિકસાવવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય રેલ, બસ અને જળ પરિવહનને એકીકૃત કરીને યાત્રીઓને એક જ જગ્યાએ જરૂરી બધી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો છે. આ પ્રોજેક્ટ હેઠળ સ્ટેશનને ઍરપૉર્ટની જેમ વિકસાવવામાં આવશે.
નમો ઘાટ અને અન્ય ઘાટ સાથે જાડાશે રેલવે સ્ટેશન
યાત્રીઓને આધુનિક ટિકિટ કાઉન્ટર, ફૂડ પ્લાઝા, રિટાયરિંગ રૂમ, અંડર-ગ્રાઉન્ડ સુવિધાઓ અને ઉત્તમ યાત્રી સેવાઓની સુવિધા મળશે. ગંગા નદીના પૂર્વ કિનારે સ્થિત હોવાને કારણે આ સ્ટેશનને નમો ઘાટ અને અન્ય ઘાટો સાથે જળ પરિવહનના માધ્યમથી જોડવામાં આવશે. અધિકારીઓનું માનવું છે કે આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ શહેરમાં ટ્રાફિકનું દબાણ ઓછું થશે અને દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓને આધુનિક અને સુવિધાજનક પરિવહન વ્યવસ્થાનો લાભ મળશે.



