મુસાફરોને કન્ફર્મ સીટ છતાં ઉભા-ઉભા કરવી પડી સફર! કન્ઝ્યુમર કોર્ટે રેલવે વિભાગને જવાબદાર ઠેરવ્યું, આપ્યો કડક આદેશ | Consumer Court compensation to railway passengers standing journey

![]()
Consumer Court Orders On Railway: એક કન્ઝ્યુમર કોર્ટે મુસાફરોને અનામત બર્થ(બુક કરેલી સીટ) આપવામાં નિષ્ફળ રહેવા બદલ ભારતીય રેલવેને જવાબદાર ઠેરવી છે. ભોજપુર ગ્રાહક તકરાર નિવારણ આયોગે સીટ બુક કરી હોવા છતાં ટ્રેનમાં ઊભા રહીને મુસાફરી પૂર્ણ કરનારા ચાર મુસાફરોને રૂ.20,000 નું વળતર ચૂકવવાનો રેલવેને નિર્દેશ કર્યો છે. બાર એન્ડ બેન્ચના અહેવાલ મુજબ, ફરિયાદ ત્યારે થઈ જ્યારે વિંધ્યાચલ (મિર્ઝાપુર, ઉત્તર પ્રદેશ)થી આરા(ભોજપુર, બિહાર) જઈ રહેલા ચાર મુસાફરો LTT-પટણા એક્સપ્રેસમાં ચઢ્યા અને તેમને ખબર પડી કે રેલવે કર્મચારીઓ તેમની અનામત બર્થ પર કબજો કરી બેઠા છે. ફરિયાદમાં જણાવાયું છે કે, મુસાફરોએ કર્મચારીઓને તેમની અનામત બર્થ ખાલી કરવા વિનંતી કરી હતી, પરંતુ તેઓને તેમની સીટ ફાળવવામાં આવી ન હતી.
કન્ઝ્યુમર કોર્ટનો કડક નિર્દેશ
કોર્ટે અવલોકન કર્યું કે, રેલવેના કારણે મુસાફરોને માનસિક, શારીરિક અને નાણાકીય હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. આયોગે ઉત્તર મધ્ય રેલવે અને રેલવે મંત્રાલયને રૂ.1,876.80 ની બુકિંગ રકમ, 8% વાર્ષિક વ્યાજ સાથે પરત કરવા અને રૂ.20,000 વળતર તરીકે અને રૂ.15,000 મુકદ્દમાના ખર્ચ તરીકે 60 દિવસની અંદર ચૂકવવાનો નિર્દેશ કર્યો છે. જો નિર્ધારિત સમયમર્યાદામાં ચુકવણી કરવામાં ન આવે, તો ફરિયાદી કાનૂની ઉપાય દ્વારા વાર્ષિક 10% વ્યાજ સહિત રકમ વસૂલવા માટે હકદાર રહેશે.
મુસાફરોના આરોપો
ફરિયાદ મુજબ, મુસાફરોએ શરૂઆતમાં રેલવે હેલ્પલાઇન તેમજ ‘રેલવે સેવા’ અને રેલવે મંત્રાલય સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા તેમની ફરિયાદો નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, SMS દ્વારા ફરિયાદ સંદર્ભ નંબર મળવા છતાં મુસાફરોએ આરોપ લગાવ્યો હતો કે મુસાફરી દરમિયાન કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હતી. જ્યારે એક TTE બક્સર સ્ટેશન પર દેખાયા ત્યારે મુસાફરોએ ફરી એકવાર સમસ્યા બાબતે જણાવ્યું હતું. જોકે, ટ્રેનમાં ભારે ભીડને કારણે તેઓને પરિસ્થિતિને “મેનેજ” કરવા કહેવામાં આવ્યું હતું.
રેલવેએ કરી દલીલો
આયોગ સમક્ષ, રેલવેએ દલીલ કરી હતી કે કાયદો અને વ્યવસ્થા સંબંધિત વિવાદો રેલવે વહીવટીતંત્ર કરતાં સરકારી રેલવે પોલીસ(GRP)ના અધિકારક્ષેત્રમાં આવે છે. અહેવાલો અનુસાર, રેલવેએ સેવામાં કોઈપણ ખામી હોવાનો ઇનકાર કર્યો હતો અને દાવો કર્યો હતો કે ફરિયાદ અંગે યોગ્ય કાર્યવાહી પહેલાથી જ કરવામાં આવી છે.
જ્યારે મુસાફરો દ્વારા સબમિટ કરાયેલી ટિકિટો, ફરિયાદ રેકોર્ડ, ટેક્સ્ટ મેસેજ અને ફોટોગ્રાફ્સની સમીક્ષા કર્યા પછી, કમિશને તારણ કાઢ્યું હતું કે રેલવે અધિકારીઓ દ્વારા વચન આપેલી સેવા પૂરી પાડવામાં નિષ્ફળતાને કારણે મુસાફરોને તેમની સીટ મળી ન હતી અને હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો.



