राष्ट्रीय

Explainer: કર્ણાટકમાં સિદ્ધારમૈયાના પદ ત્યાગ પાછળના કારણો… હાઇ કમાન્ડનો વાયદો, અસંતોષ અને પુત્રનું ભવિષ્ય | Karnataka Politics: Siddaramaiah Resigns As CM DK Shivakumar Set To Take Over



Siddaramaiah Steps Back for the Rise of Shivakumar : કર્ણાટકના રાજકારણમાં આવેલો મોટો ભૂકંપ હાલ આખા દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. રાજ્યના સૌથી શક્તિશાળી અને લોકપ્રિય નેતાઓમાંથી એક એવા સિદ્ધારમૈયાએ અચાનક મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા છે. દલિતો, પછાત વર્ગો અને લઘુમતીઓમાં મજબૂત પકડ ધરાવતા આ દિગ્ગજ નેતાએ આટલી સરળતાથી હાઇ કમાન્ડ સામે હથિયાર હેઠા કેમ મૂકી દીધા? સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેની ત્રિપુટીએ તેમને કઈ રીતે મનાવ્યા? 

ચાલો સમજીએ, સિદ્ધારમૈયાએ કયા કારણોસર શરણાગતિ સ્વીકારી લીધી. 

વધતી ઉંમર અને જનતાનો અસંતોષ નડી ગયા 

સિદ્ધારમૈયા કર્ણાટકના ઇતિહાસમાં સૌથી લાંબો સમય મુખ્યમંત્રી રહેનારા નેતાઓમાં સામેલ છે. તેમણે લગભગ 8 વર્ષ સુધી રાજ્યનું સુકાન સંભાળ્યું છે. તાજેતરમાં જ તેમના બીજા કાર્યકાળના 3 વર્ષ પૂરા થયા હતા. જો કે, પડદા પાછળની સ્થિતિ અલગ હતી.

કોંગ્રેસ નેતૃત્વને સતત એવા અહેવાલો મળી રહ્યા હતા કે સરકાર સામે જનતામાં અસંતોષ વધી રહ્યો છે. 78 વર્ષની ઉંમરે પહોંચેલા સિદ્ધારમૈયા વહીવટી રીતે પહેલા જેવા અસરકારક રહ્યા નહોતા. આગામી વિધાનસભા ચૂંટણી સુધીમાં તેઓ 80 વર્ષના થઈ ગયા હોત. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને રાહુલ ગાંધીએ યોગ્ય સમયે મોટો ફેરફાર કરવાનો નિર્ણય લીધો.

આ પણ વાંચો : ડી.કે.શિવકુમાર : 23ની ઉંમરે PM સામે ચૂંટણી લડ્યા, 36 વર્ષથી એકપણ ચૂંટણી ન હાર્યા, હવે મળશે કર્ણાટકની કમાન !

દિલ્હીનું તેડું આવ્યું, રાહુલ ગાંધીએ કરી સ્પષ્ટતા  

કેરળ અને તમિલનાડુ સહિત 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ પૂરી થઈ અને રાજ્યસભાની ચૂંટણીની જાહેરાત થઈ એટલે કોંગ્રેસ હાઇ કમાન્ડ એક્શન મોડમાં આવી ગયું. સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારને તાત્કાલિક દિલ્હી બોલાવવામાં આવ્યા. કોંગ્રેસ મુખ્યાલય ખાતે રાહુલ ગાંધીએ સિદ્ધારમૈયા સાથે કોઈ પણ ખચકાટ વિના સીધી વાત કરી.

રાહુલ ગાંધીએ તેમને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, ભવિષ્યની ચૂંટણીઓને જોતાં હવે નવી પેઢીને તક આપવાનો સમય આવી ગયો છે. હાઇ કમાન્ડે સિદ્ધારમૈયા માટે સન્માનજનક રસ્તો પણ તૈયાર રાખ્યો હતો. તેમને રાજ્યસભા દ્વારા દિલ્હી આવીને કેન્દ્રીય રાજકારણમાં પક્ષને મજબૂત કરવા વિનંતી કરવામાં આવી. સાથે જ આશ્વાસન અપાયું કે નવી સરકારમાં તેમના સમર્થકોને પૂરતું સ્થાન મળશે.

સોનિયા-પ્રિયંકા અને ખડગેનું પણ સમર્થન મળ્યું

સિદ્ધારમૈયાએ શરૂઆતમાં પોતાની સરકારની કામગીરીના વખાણ કરીને પદ પર ટકી રહેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટૂંક સમયમાં જ તેમને સમજાઈ ગયું કે હાઇ કમાન્ડ નિર્ણય લઈ ચૂક્યું છે. માત્ર રાહુલ ગાંધી જ નહીં, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તનના પક્ષમાં હતા. ખુદ કર્ણાટકના વતની અને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ પણ આ નિર્ણયને સમર્થન આપ્યું હતું.

આ પણ વાંચો : VIDEO : મથુરામાં પરિક્રમા માર્ગ પર ધડાધડ ફાયરિંગ, 4ને ગોળી વાગી, શ્રદ્ધાળુઓમાં નાસભાગ

ડીકે શિવકુમારના ‘અઢી વર્ષ’ના વાયદાની પૂર્તિ

આ સમગ્ર ઘટનાક્રમનું બીજું મહત્ત્વનું પાસું વર્ષ 2023ની વિધાનસભા ચૂંટણી સાથે જોડાયેલું છે. ત્યારે 224 બેઠકોમાંથી કોંગ્રેસે 136 બેઠકો જીતીને પ્રચંડ બહુમતી મેળવી હતી. એ સમયે પ્રદેશ પ્રમુખ તરીકે ડીકે શિવકુમારે મુખ્યમંત્રી પદ પર દાવો કર્યો હતો, પરંતુ 100 જેટલા ધારાસભ્યોનું સમર્થન હોવાથી હાઇ કમાન્ડે સિદ્ધારમૈયાને સીએમ બનાવ્યા અને ડીકે શિવકુમારને ડેપ્યુટી સીએમ પદથી સંતોષ માનવો પડ્યો.

ત્યારથી જ ડીકે શિવકુમારના જૂથનો દાવો હતો કે હાઇ કમાન્ડે અઢી વર્ષ પછી તેમને મુખ્યમંત્રી બનાવવાનું વચન આપ્યું હતું. ગયા વર્ષે નવેમ્બરમાં અઢી વર્ષનો ગાળો પૂરો થતાં જ ડીકે શિવકુમારે દિલ્હીમાં દબાણ વધાર્યું હતું. અંતે કોંગ્રેસના જનરલ સેક્રેટરી કેસી વેણુગોપાલની મધ્યસ્થી અને રાહુલ ગાંધીના નિર્દેશ બાદ ડીકે શિવકુમારની ધીરજનું ફળ મળ્યું છે અને તેઓ હવે આગામી મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.

સિદ્ધારમૈયાએ કેમ સરળતાથી શરણાગતિ સ્વીકારી?

સૌથી મોટો પ્રશ્ન એ છે કે 100થી વધુ ધારાસભ્યોનું સમર્થન હોવા છતાં સિદ્ધારમૈયાએ બળવો ન કર્યો અને તેના મુખ્ય ચાર કારણ છે. 

1. ધારાસભ્યોના વિરોધનો ડર: સિદ્ધારમૈયા સમજી ગયા હતા કે જો તેઓ હાઇ કમાન્ડના આદેશનો અનાદર કરશે, તો ધારાસભ્યો પક્ષની સાથે રહેશે અને તેઓ એકલા પડી જશે.

2. વહીવટ પર નબળી પકડ: વધતી ઉંમરના કારણે વહીવટ અને સંગઠન પર તેમની પકડ ઢીલી થઈ રહી હતી અને ધારાસભ્યો જનતાના આક્રોશનો સામનો કરી રહ્યા હતા.

3. નૈતિક ઋણ અને સન્માન: સોનિયા ગાંધીએ ભૂતકાળમાં (બીજા પક્ષમાંથી આવ્યા હોવા છતાં) તેમને મુખ્યમંત્રી બનાવ્યા હતા, જેથી તેમના પ્રત્યે આદર હોવો સ્વાભાવિક હતો.

4. પુત્રનું ભવિષ્ય: આ રાજીનામાના સોદા અંતર્ગત તેમના પુત્ર યતીન્દ્રને નવી ડીકે શિવકુમાર સરકારમાં મોટી અને મહત્ત્વની ભૂમિકા સોંપવાનું નક્કી કરાયું છે.

આ ફેરફારથી કોંગ્રેસને ફાયદો કે નુકસાન?

ભલે સિદ્ધારમૈયાએ મુખ્યમંત્રી પદ ગુમાવ્યું હોય, પરંતુ આ ગરિમાપૂર્ણ વિદાયથી રાજકીય ક્ષેત્રે તેમનું કદ અને જનતામાં સહાનુભૂતિ બંને વધ્યા છે. જો કે, આ મોટા ફેરફારથી કોંગ્રેસને આગામી ચૂંટણીઓમાં ફાયદો થશે કે નુકસાન, તે તો આવનારો સમય જ કહેશે. 

આ પણ વાંચો : 20 વર્ષ સુધી તમને વઢ્યો, દિલ પર ન લેતા! છેલ્લી કેબિનેટ મીટિંગમાં ભાવુક થયા સિદ્ધારમૈયા



Source link

Related Articles

Back to top button