મમતા બેનરજીને વધુ એક નેતાએ આપ્યો ઝટકો, પાર્ટી પ્રવક્તા પદેથી આપ્યું રાજીનામું | TMC Crisis: Shantanu Sen And Kakoli Ghosh Resign From Party Posts Amid RG Kar Controversy

![]()
TMC Crisis : તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ ડૉ. શાંતનુ સેને ગુરુવારે પાર્ટીના સત્તાવાર પ્રવક્તા પદેથી પોતાનું રાજીનામું આપી દીધું છે. તેમણે તાજેતરમાં બનેલી આરજી કર હૉસ્પિટલની ઘટના અને પાર્ટી વિરુદ્ધ સતત લાગી રહેલા ભ્રષ્ટાચારના મોટા આરોપોથી દુઃખી થઈને આ પગલું ઉઠાવ્યું છે.
શાંતનુ સેને રાજીનામું આપવાનું કારણ પણ જણાવ્યું
ડૉ. શાંતનુ સેને (Shantanu Sen) રાજીનામું આપતાં જણાવ્યું કે, આરજી કર હૉસ્પિટલના મામલા અને પાર્ટી વિરુદ્ધ લાગી રહેલા ભ્રષ્ટાચારના ગંભીર આરોપોના વર્તમાન સંદર્ભમાં, તેઓ હવે પાર્ટીના સત્તાવાર પ્રવક્તા તરીકે પોતાની ભૂમિકા ભજવવાની સ્થિતિમાં નથી. રાજીનામાનું બીજું સૌથી મોટું કારણ જણાવતાં પૂર્વ સાંસદે કહ્યું કે, આ સમયે તૃણમૂલ કોંગ્રેસ સામે ભ્રષ્ટાચારના તમામ પ્રકારના આરોપો લાગી રહ્યા છે. આ સંજોગોમાં તેઓ એવું માને છે કે, હવે આગળ પાર્ટીના સત્તાવાર પ્રવક્તા તરીકે કામ ચાલુ રાખવામાં તેઓ સંપૂર્ણપણે અસમર્થ છે.
આ પણ વાંચો : 20 વર્ષ સુધી તમને વઢ્યો, દિલ પર ન લેતા! છેલ્લી કેબિનેટ મીટિંગમાં ભાવુક થયા સિદ્ધારમૈયા
કાકોલી ઘોષે પણ આપ્યું રાજીનામું
શાંતનુ સેન પહેલા તૃણમૂલ સાંસદ કાકોલી ઘોષે (Kakoli Ghosh) બુધવારે પાર્ટીના તમામ પદો પરથી પોતાનું રાજીનામું આપી દીધું હતું. તેમણે પોતાનું રાજીનામું પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સુબ્રત બક્ષીને મોકલી આપ્યું હતું. કાકોલી ઘોષે સુબ્રત બક્ષીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે તેઓ પાર્ટી સંગઠનના તમામ હોદ્દા છોડી રહ્યા છે. જો કે, કાકોલી ઘોષે તૃણમૂલના સભ્યપદેથી રાજીનામું આપ્યું નથી અને તેઓ તૃણમૂલ તરફથી લોકસભાના સભ્ય તરીકે યથાવત્ છે. કાકોલી ઘોષ છેલ્લા કેટલાક દિવસોથી તૃણમૂલથી નારાજ ચાલી રહ્યા હતા. પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં તૃણમૂલની હારના થોડા જ દિવસો બાદ મમતા બેનરજીએ કાકોલી ઘોષ દસ્તીદારને લોકસભામાં ચીફ વ્હીપના પદ પરથી હટાવી દીધા હતા. મમતા બેનરજીએ ચીફ વ્હીપની જવાબદારી કાકોલી ઘોષ પાસેથી પાછી લઈને કલ્યાણ બેનરજીને સોંપી દીધી હતી.



