मनोरंजन

‘હું આજે દિલીપ સાહેબના કારણે જીવતો છું…’, સુપરસ્ટારની સલાહ પર ગોવિંદાએ એકસાથે 25 ફિલ્મો છોડી હતી! | Govinda says he is alive because of Dilip Kumar know why



Govinda on Dilip Kumar: અભિનેતા ગોવિંદા 1990ના દાયકામાં બોલિવૂડના સૌથી વ્યસ્ત અને લોકપ્રિય સુપરસ્ટાર્સમાંના એક હતા. તે સમયે તેમની લોકપ્રિયતા એટલી વધુ હતી કે તેઓ એકસાથે અસંખ્ય ફિલ્મોનું શૂટિંગ કરતા હતા. જોકે, આ ભારે વર્કલોડના કારણે એક સમયે તેમની જિંદગી જોખમમાં આવી પડી હતી. ‘ધ કપિલ શર્મા શો’ના એક ખાસ એપિસોડમાં ગોવિંદા તેની પત્ની સુનીતા આહુજા સાથે મહેમાન તરીકે જોવા મળ્યો હતો. આ શોમાં તેણે પોતે આ વાતનો ચોંકાવનારો ખુલાસો કર્યો હતો અને જણાવ્યું હતું કે કઈ રીતે સદીના મહાનાયક દિલીપ કુમારે યોગ્ય સમયે વચ્ચે આવી તેનો જીવ બચાવ્યો હતો.

એકસાથે 70 ફિલ્મો સાઇન કરી હતી, ઊંઘના અભાવે કથળી તબિયત

ગોવિંદાએ ભૂતકાળના એ દિવસોને યાદ કરતા શોમાં જણાવ્યું હતું કે, કરિયરના સુવર્ણકાળ દરમિયાન તેણે એકસાથે 70 ફિલ્મો સાઇન કરી લીધી હતી! તે દિવસ-રાત જોયા વગર ચોવીસે કલાક ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત રહેતો હતો. સતત દોડધામ, કામનું અતિશય દબાણ અને પૂરતી ઊંઘ ન મળવાને કારણે તેની શારીરિક અને માનસિક તબિયત ગંભીર રીતે લથડવા લાગી હતી. ગોવિંદાની આ ચિંતાજનક હાલત દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારના ધ્યાને આવી હતી. તેઓ તુરંત જ પરિસ્થિતિ પામી ગયા અને ગોવિંદાને કામનો બોજ ઘટાડવા માટે ભારપૂર્વક સમજાવ્યું હતું. આ વિશે ગોવિંદાએ એ ક્ષણને યાદ કરતા કહ્યું કે, “દિલીપ સાહેબે મારી સામે જોઈને મને પ્રેમથી ટોક્યો હતો અને કહ્યું હતું કે, ‘જો તું આ જ રીતે સતત અને અવિરત કામ કરતો રહેશે, તો તું તારી જિંદગી અને તારી જાતને બરબાદ કરી દેશે.’ તેમણે મને તાત્કાલિક ધોરણે તેમાંથી 25 ફિલ્મો છોડી દેવાની કડક સલાહ આપી હતી.”

અભિનેતાએ વધુમાં ભાવુક થતા ઉમેર્યું કે, “હું આજે જો સહીસલામત જીવિત છું, તો તેની પાછળનું એકમાત્ર કારણ દિલીપ સાહેબ છે. જો મેં એ સમયે તેમની વાત ન માની હોત અને ફિલ્મોમાંથી વોક-આઉટ ન કર્યું હોત, તો કદાચ આજે હું તમારી વચ્ચે બચ્યો ન હોત.”

પ્રોડ્યુસર્સના પૈસા ચૂકવવા ગોવિંદાએ પોતાના ખિસ્સામાંથી ₹2 કરોડ આપ્યા

ગોવિંદાએ એ વાતનો પણ સ્વીકાર કર્યો હતો કે એ સમયે સફળતાના શિખરે હોવા છતાં આટલી મોટી સંખ્યામાં ફિલ્મો છોડવી એ બહુ મોટું આર્થિક અને કરિયરનું જોખમ હતું. દિલીપ કુમારના કહેવા પર તેણે 25 ફિલ્મો પડતી મૂકવાનો નિર્ણય તો લીધો, પરંતુ તે સમયે ઘણી ફિલ્મોના પ્રોડ્યુસર્સ એડવાન્સ રકમ વાપરી ચૂક્યા હતા અથવા આયોજન કરી ચૂક્યા હતા. આ પરિસ્થિતિમાં ગોવિંદાએ ઉદારતા અને નૈતિકતા દાખવીને પોતાના ખિસ્સામાંથી આશરે ₹2 કરોડ જેટલી મોટી રકમ ચૂકવીને નિર્માતાઓનું નુકસાન ભરપાઈ કર્યું હતું અને તમામ પ્રોજેક્ટ્સમાંથી સન્માનપૂર્વક બહાર નીકળી ગયા હતા. 90ના દાયકાના સમયગાળા પ્રમાણે 2 કરોડ રૂપિયા એ ખૂબ જ મોટી રકમ ગણાતી હતી.

‘ઇજ્જતદાર’ ફિલ્મના સેટ પર બંધાયો હતો પિતા-પુત્ર જેવો સંબંધ

દિલીપ કુમાર અને ગોવિંદાએ વર્ષ 1990માં આવેલી એકશન-ડ્રામા ફિલ્મ ‘ઇજ્જતદાર’માં સાથે સ્ક્રીન શેર કરી હતી. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન જ બંને કલાકારો વચ્ચે એક ખાસ અને અતૂટ સંબંધ બંધાયો હતો. દિલીપ કુમાર ગોવિંદાની અદાકારી, ડાન્સ અને તેમના નમ્ર સ્વભાવના ખૂબ મોટા ચાહક હતા, તેથી જ તેઓ એક વડીલ અને પિતા સમાન માર્ગદર્શક બનીને ગોવિંદાને હંમેશા સાચો રસ્તો બતાવતા હતા.

આ પણ વાંચો: ‘દરેક માતા-પિતાને વરુણ જેવો દીકરો મળે…’, લાઈવ ઇવેન્ટમાં દીકરાની આ વાત પર રડી પડ્યા ડેવિડ ધવન

ગોવિંદા દ્વારા વર્ષો જૂનો આ કિસ્સો ફરી શેર કરાતા જ સોશિયલ મીડિયા પર ફેન્સ ખૂબ ભાવુક થઈ ગયા છે અને દિલીપ કુમારની આ અદભુત કાળજી તેમજ ગોવિંદાના નિર્ણયની ભારે પ્રશંસા કરી રહ્યા છે.



Source link

Related Articles

Back to top button