राष्ट्रीय

‘જરૂર પડે તો હડકાયા કૂતરાઓને દયા મૃત્યુ આપો…’ સુપ્રીમ કોર્ટે ડોગ લવર્સની અરજીઓ ફગાવી | supreme court order stray dogs removal stands public safety



Supreme Court Refuses To Modify Stray Dog Removal Order: દેશભરમાં કૂતરા કરડવાના બનાવો અને માસૂમ બાળકો તેમજ વૃદ્ધો પર થઈ રહેલા જીવલેણ હુમલા અંગે સુપ્રીમ કોર્ટે આજે એક અત્યંત કડક અને મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે નવેમ્બર 2025ના જૂના આદેશમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે, જેમાં સ્કૂલ-કોલેજ, હોસ્પિટલ, બસ-રેલવે સ્ટેશન સહિતના જાહેર સ્થળો પરથી રખડતા કૂતરા હટાવીને શેલ્ટર હોમમાં મોકલવાનો આદેશ અપાયો હતો.

અમે આંખો બંધ ના કરી શકીએ: સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્ય કાંતની બેન્ચે આકરું વલણ અપનાવતા કહ્યું કે, કોર્ટ દેશની આવી ગંભીર અને કડવી વાસ્તવિકતા સામે આંખો બંધ રાખી શકે નહીં. રખડતા કૂતરાના હુમલા હવે દેશમાં એક ગંભીર પબ્લિક સેફ્ટીનો મુદ્દો બની ગયા છે. દેશભરમાંથી એવા અહેવાલો આવી રહ્યા છે જ્યાં નાના બાળકોને કૂતરાઓએ ફાડી ખાધા હોય, વૃદ્ધો પર જીવલેણ હુમલા થયા હોય અને ભારત ફરવા આવેલા વિદેશી પ્રવાસીઓ પણ આનો ભોગ બન્યા હોય. ગ્રાઉન્ડ લેવલ પર સ્થિતિ એટલી ખરાબ છે કે રખડતા કૂતરાઓનો ત્રાસ હવે એરપોર્ટ અને હાઈપ્રોફાઈલ રેસિડેન્શિયલ એરિયા સુધી પહોંચી ગયો છે.

સરકાર કેમ તમાશો જોઈ રહી છે, જંગલરાજ હોય તેવું લાગે છે: સુપ્રીમ કોર્ટ

કોર્ટે સરકાર અને તંત્રની નબળી કામગીરી પર ભારે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે ટિપ્પણી કરી કે જમીન પર જાણે જંગલરાજ ચાલી રહ્યો હોય તેવું લાગે છે, જ્યાં સમાજના નબળા અને માસૂમ લોકોને રખડતા શ્વાનની સામે પોતાનો જીવ બચાવવા એકલા છોડી દેવામાં આવ્યા છે. કાયદાકીય તંત્ર હોવા છતાં સરકારો માત્ર તમાશો જોઈ શકે નહીં.

દેશના દરેક નાગરિકને કૂતરાના ભય વિના હરવા ફરવાનો અધિકાર: સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે આ ચુકાદામાં ભારતીય બંધારણના આર્ટીકલ 21ની નવી અને મજબૂત વ્યાખ્યા આપી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે, દેશના દરેક નાગરિકને જાહેર જગ્યાઓ પર કોઈ પણ પ્રકારના શારીરિક હુમલા અથવા કૂતરા કરડવાના ભય વિના મુક્તપણે હરવા-ફરવાનો સંપૂર્ણ અધિકાર છે, અને આ અધિકાર આર્ટિકલ 21 હેઠળ જીવન જીવવાના મૂળભૂત અધિકારનો જ એક ભાગ છે.

ડોગ લવર્સ અને વિવિધ સંગઠનોની અરજીઓ ફગાવાઈ

શ્વાન પ્રેમીઓ કે સંગઠનો દ્વારા આ આદેશમાં રાહત આપવાની માગણીને કોર્ટે સખત શબ્દોમાં નકારી કાઢી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે સાર્વજનિક સ્થળો પરથી રખડતા કૂતરા હટાવીને તાત્કાલિક એનિમલ શેલ્ટર હોમ્સમાં શિફ્ટ કરવાનો અગાઉનો આદેશ યથાવત્ રહેશે અને તેમાં કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં.

રખડતા કૂતરાઓ અંગે સુપ્રીમ કોર્ટના દિશા-નિર્દેશ: 

1. જરૂર પડ્યે ઈન્જેક્શન આપી ‘દયા મૃત્યુ’ (Euthanasia) આપો

રેબિઝથી સંક્રમિત અથવા અત્યંત હિંસક અને ખૂંખાર બની ગયેલા કૂતરાઓના કિસ્સામાં, કાયદા હેઠળ જો જરૂર જણાય તો તેમને યુથેનેશિયા (દયા મૃત્યુ) એટલે કે ઈન્જેક્શન આપીને મારી નાખવા જેવા કડક પગલાં પર વિચાર કરો. 

2. નિયમોનું કડકાઈથી અમલીકરણ

દેશની તમામ રાજ્ય સરકારોએ પશુ કલ્યાણ બોર્ડના નિયમોને કાગળ પર રાખવાને બદલે જમીન સ્તર પર મજબૂત કરવા પડશે અને તેનો સાચો અમલ કરાવવો પડશે.

3. દરેક જિલ્લામાં ‘ABC સેન્ટર’ ફરજિયાત

દેશના પ્રત્યેક જિલ્લામાં ઓછામાં ઓછું 1 સંપૂર્ણ સુવિધાથી સજ્જ અને કાર્યરત એબીસી સેન્ટર (Animal Birth Control Center) બનાવવું અનિવાર્ય રહેશે.

4. વધુ વસ્તી વાળા વિસ્તારોમાં વધારાના સેન્ટર્સ

જે શહેરો કે વિસ્તારોમાં માણસો અને કૂતરાઓની વસ્તી વધારે છે, ત્યાં સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને એબીસી સેન્ટરોની સંખ્યા તાત્કાલિક ધોરણે વધારવી પડશે.

5. કોર્ટના આદેશોનું અક્ષરશઃ પાલન

અગાઉ કોર્ટે સ્કૂલ-કોલેજ અને હોસ્પિટલો માટે જે આદેશો આપ્યા છે અને પશુ કલ્યાણના જે પણ કાયદા છે, તેનું સંપૂર્ણ પાલન એજન્સીઓએ કરવું જ પડશે.

6. જાહેર સ્થળો માટે સમયમર્યાદા નક્કી કરો

જનતાની સુરક્ષા સર્વોપરી હોવાથી, અન્ય તમામ મહત્ત્વના જાહેર સ્થળો પર પણ આ નિયમો કેવી રીતે લાગુ કરવા તેનો નિર્ણય લઈ તેને એક ચોક્કસ ટાઈમલાઈનમાં પૂરો કરવો પડશે.

7. હોસ્પિટલોમાં એન્ટી-રેબિઝ દવાઓનો સ્ટોક

દેશની તમામ હોસ્પિટલો અને સ્વાસ્થ્ય કેન્દ્રો પર કૂતરા કરડવાની સારવાર માટે વપરાતી એન્ટી-રેબીઝ (Anti-Rabies) દવાઓ અને રસીઓ પૂરતા જથ્થામાં હાજર રહે તે સુનિશ્ચિત કરવું પડશે.

8. નેશનલ હાઈવે પરથી રખડતા પશુઓ હટાવો

NHAIને આદેશ અપાયો છે કે રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર અકસ્માત સર્જતા રખડતા પશુઓની સમસ્યા પતાવવા જૂના ટ્રાન્સપોર્ટ વાહનોનો ઉપયોગ કરી તેમને હાઈવે પરથી હટાવે અને આ માટે મોનિટરિંગ સિસ્ટમ ગોઠવે.

9. કામ કરનારા અધિકારીઓને મળશે કાનૂની રક્ષણ

જે નગર પાલિકા, મહા નગરપાલિકા કે સરકારી અધિકારીઓ સુપ્રીમ કોર્ટના આ કડક આદેશોનું પાલન કરાવવા માટે ગ્રાઉન્ડ પર કામ કરશે, તેમને સંપૂર્ણ કાયદાકીય સુરક્ષા અપાશે. સામાન્ય સંજોગોમાં તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવી નહીં. 





Source link

Related Articles

Back to top button