ઉત્તરપ્રદેશના લખીમપુરમાં પૂરપાટ વેન ટ્રકમાં ઘૂસી જતાં 10નાં મોત | 10 killed as floods van rams into truck in Uttar Pradesh Lakhimpur

![]()
– મેજિક વેનમાં 8 થી 12 શ્રમજીવીઓ બેઠા હતા
– ભયાનક ટક્કરમાં વેનના ફૂરચા ઉડયા : પ્રવાસીઓની બૂમાબૂમથી લોકો દોડી આવ્યા
લખીમપુર(ઉત્તરપ્રદેશ) : ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં સોમવારે સવારે એક ભયાનક માર્ગ દુર્ઘટના થઇ. અહીંના બહરાઇચ રોડ પર ઉંચ ગામની પાસે પૂરઝડપે જઇ રહેલી પ્રવાસીઓથી ભરેલી એક મેજિક વેન ટ્રકમાં ઘૂસી જતાં વેનમાં બેઠેલા ૧૦ લોકોના મોત થયા, જ્યારે અન્ય ત્રણ ઘાયલ થયા, જેમને સારવાર માટે સાર્વજનિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં દાખલ કરાયા છે.
મેજિક વેનમાં ૮ થી ૧૨ લોકો બેઠા હતા. બે વાહનોની ટક્કર એટલી જોરદાર હતી કે આઠ જણનાં ઘટના સ્થળે મોત થયા, જ્યારે અન્ય ચાર વેન-પ્રવાસીઓ ગંભીરપણે ઘાયલ થયા. આમાંથી એક જણનું ઇલાજ દરમિયાન મોત થયું. આમ કુલ નવ લોકોના મોત થયા. મેજિક વેનમાં ૮ પુરૂષ, જ્યારે ચાર મહિલાસહ ૧૨ લોકો બેઠા હતા. બધા શ્રમજીવીઓ હતા, જેઓ મજૂરી-કામ માટે લખીમપુર ખીરી જઇ રહ્યા હતા. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને હોસ્પિટલમાં પહોંચાડયા. મૃતકોના શબને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલાવાઇ રહ્યા છે.
આ માર્ગ-દુર્ઘટના એટલી ભયાનક હતી કે મેજિક વેનના ફૂરચા નીકળી ગયા. અકસ્માત થતાં જ વેનના પ્રવાસીઓમાં બૂમાબૂમ મચી ગઇ. આ જોઇ-સાંભળીને ભારે ભીડ જમા થઇ ગઇ. લોકોએ યેનકેન પ્રકારેણ મેજિક વેનમાં ફસાયેલા પ્રવાસીઓને બહાર કાઢ્યા, જે પૈકીના જખ્મીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા.
પોલીસ ટીમે ક્રેનની મદદથી મેજિક વેન તથા ટ્રકને હાઇવે પરથી ખસેડીને વાહનવ્યવહાર પુન: ચાલુ કરાવવાના પ્રયાસો પણ હાથ ધર્યા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુર્ઘટના બાબત દુ:ખ વ્યક્ત કરીને સંબંધિત અધિકારીઓને ફોન પર ઘાયલોને યોગ્ય સારવાર પૂરી પાડવાની સૂચના આપી. દુર્ઘટનામાં ઘાયલ ત્રણ જણની સ્થિતિ ગંભીર છે. એમને વધુ સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાયા છે.



