राष्ट्रीय

યુએપીએના 90 ટકાથી વધુ મામલામાં આરોપીઓ નિર્દોષ છૂટે છે : સુપ્રીમ | Accused are acquitted in over 90% of UAPA cases: Supreme Court



– યુએપીએમાં પણ જામીન એ નિયમ અને જેલ અપવાદ છે : સુપ્રીમની સ્પષ્ટતા

– ટ્રાયલ વગર જ યુએપીએ હેઠળ પાંચ વર્ષથી કેદ ઉમર ખાલિદને જામીન નહીં આપવાના પોતાના જ ચુકાદા સાથે સુપ્રીમ અસંમત

નવી દિલ્હી : યુએપીએ કાયદા હેઠળ ધરપકડ કરાયેલા આરોપીઓના જામીન અંગે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ અવલોકન કર્યું છે. સુપ્રીમે કહ્યું છે કે જામીન એ નિયમ છે જ્યારે જેલ અપવાદ છે. આ પહેલા યુએપીએ હેઠળ ધરપકડ કરાયેલા અને પાંચ વર્ષથી કેદ ઉમર ખાલિદને અગાઉ સુપ્રીમ કોર્ટે જામીન આપવાની ના પાડી તે ચુકાદાની વર્તમાન બેંચે ટિકા કરી હતી અને આ સ્પષ્ટતા કરી હતી. આ સાથે જ યુએપીએ હેઠળ થતી ધરપકડો અને દોષિત ઠેરવવાના દર વચ્ચેના અંતર અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. 

સોમવારે એક યુએપીએના આરોપીના જામીન મંજૂર કરતી વખતે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બીવી નાગરત્ના અને ઉજ્જલ ભુયાનની બેંચે કહ્યું હતું કે યુએપીએ હેઠળ કેસ હોય તો પણ જામીન એ નિયમ અને જેલ અપવાદનો સિદ્ધાંત લાગુ પડે. સુપ્રીમે કહ્યું હતું કે યુએપીએની કલમ ૪૩ડી(૫)નો અર્થ અનિશ્ચિત સમય સુધી કેદ એવો નથી થતો, તેમાં પણ બંધારણના આર્ટિકલ ૨૧ અને ૨૨નું ધ્યાન રાખવું જ પડે. આ સાથે જ દિલ્હી હિંસા કેસમાં અગાઉ સુપ્રીમની બે ન્યાયાધીશોની બેંચ દ્વારા જામીન નામંજૂર કરતો જે ચુકાદો અપાયો તેની સાથે વર્તમાન બેંચે અસંમતિ વ્યક્ત કરી હતી. નોંધનીય છે કે આ મામલામાં ઉમર ખાલિદ, શરજીલ ઇમામ સહિત નવ જેટલા આરોપીઓ છે, જેમાંથી મોટાભાગના પાંચ વર્ષથી ટ્રાયલ વગર જ કેદ છે. 

સુપ્રીમ કોર્ટે જમ્મુ કાશ્મીરના કુપવાડાના હંદવારાના રહેવાસી સૈયદ ઇફ્તિકારના જામીન અંગે ચુકાદો આપ્યો હતો તે સમયે આ સ્પષ્ટતા કરી હતી, ઇફ્તિકાર સામે નાર્કો-ટેરર કેસ ચાલી રહ્યો છે. જેની તપાસ એનઆઇએ દ્વારા કરવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટે સૈયદ ઇફ્તિકારના જામીન મંજૂર કર્યા હતા સાથે જ પોતાનો પાસપોર્ટ જમા કરાવવા અને દર ૧૫ દિવસે પોલીસ સ્ટેશનમાં હાજરી ભરવા કહ્યું હતું. આ સાથે જ સુપ્રીમ કોર્ટે યુએપીએ કાયદા હેઠળ થતી ધરપકડો અને દોષિત ઠેરવવા વચ્ચેના અંતર અંગે ચિંતા વ્યક્ત કરી હતી. અને કહ્યુ હતું કે યુએપીએ હેઠળના ૯૦ ટકા મામલામાં આરોપીઓ નિર્દોષ છૂટી રહ્યા છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના ડેટાનો સુપ્રીમે ઉલ્લેખ કર્યો હતો, યુએપીએ હેઠળ ધરપકડના ૨૦૧૯-૨૩ સુધીના મામલામાં દોષિત ઠેરવવાનો દર માત્ર બેથી છ ટકા વચ્ચેનો જ છે. એટલે કે ૯૪થી ૯૮ ટકા મામલામાં આરોપીઓ નિર્દોષ સાબિત થયા છે. વાર્ષિક દર માત્ર એક જ ટકા રહ્યો છે. તેનો અર્થ એમ થયો કે ટ્રાયલના અંતે ૯૯ ટકા મામલામાં આરોપીઓ છૂટી જતા હોય છે. આ આંકડા અમારી સામે જોઇ રહ્યા છે, શું આરોપો ગંભીર છે માટે જામીન માગવા આવેલા આરોપીઓની અટકાયત શરૂ રાખવી જોઇએ? તેવો ગંભીર સવાલ પણ સુપ્રીમે કર્યો હતો.  



Source link

Related Articles

Back to top button