બાબુઓએ પાંચ કરોડમાં જમીન ખરીદી હાઇવે મંજૂર થયો, હવે ભાવ 60 કરોડ | Babu bought land for five crores highway approved now price is 60 crores

![]()
– 50થી વધુ આઇએએસ-આઇપીએસની સરકારી સાંઠગાંઠનો આક્ષેપ
– અધિકારીઓની જમીન પાસેથી રોડ પસાર કરવા પ્રોજેક્ટમાં ત્રણ વખત ફેરફાર, હવે રદ કરવા માગ ??
ભોપાલ: શેરબજારની ભાષામાં જેને ઇનસાઇડર ટ્રેડિંગ કહેવાય તેવું રાજકારણમાં પણ ચાલતું હોય છે, પણ બજારમાં રેગ્યુલેટરી ઓથોરિટી છે. જ્યારે અહીં તો રેગ્યુલેટરી પોતે જ શંકાના ઘેરામાં છે. મ.પ્ર.ના ભોપાલમાં ૫૦ આઇએએસ અને આઇપીએસે ૨૦૨૨માં એક જ નાણાકીય વ્યવહારથી ૨.૦૨૩ એકર જમીન ૫.૫ કરોડમાં ખરીદી હતી. ફક્ત ૨૪ મહિનામાં તેનું મૂલ્ય ૬૦ કરોડથી વધુ થઈ ગઈ હતું. જેની પાછળનું કારણ આ જમીન આસપાસનો સરકારી પ્રોજેક્ટ હતો. જમીન ખરીદ્યાના થોડા જ મહિનાઓમાં અહીંથી હાઇવે પસાર કરવાને મંજૂરી મળી ગઇ હતી.
અધિકારીઓએ ખેડૂતો પાસેથી જમીન ખરીદ્યાના થોડા જ મહિનામાં મધ્ય પ્રદેશ સરકારે પ્રોજેક્ટને મંજૂરી આપી
મધ્યપ્રદેશના ભોપાલ કોલાર વિસ્તારમાં લગભગ ૫૦ આઇએએસ અને આઇપીએસ ઓફિસરોએ ગુરાડી ઘાટ ગામ નજીક એપ્રિલ ૨૦૨૨માં એક જ સોદામાં બે એકરથી વધુ જમીન ખરીદી હતી. આ ખરીદીમાં દિલ્હીમાં પોસ્ટિંગ ધરાવતા આઇએએસ અને આઇપીએસ ઓફિસરો, મહારાષ્ટ્ર, તેલંગણા અને હરિયાણા કેડરના ઓફિસર પણ હતા.જમીનના આ સોદાના થોડા મહિના પછી મ.પ્ર.ના મંત્રીમંડળે ૩,૨૦૦ કરોડ રૂપિયાના હાઇવે પ્રોજેક્ટ માટે મંજૂરી આપી હતી. આ હાઇવે અધિકારીઓએ ખરીદેલી જમીન પાસેથી જ પસાર થવાનો હતો.
તેના પગલે જે જમીનનો પ્રતિ ચોરસ ફૂટ ભાવ તેમણે ખરીદી ત્યારે ૮૧ રૂપિયા જેટલો હતો જે વધીને પ્રતિ ચોરસ ફૂટ ૨,૪૦૦થી ૩,૦૦૦ રૂપિયા થઈ ગયો. હવે વિચારો કે તેઆએ ફક્ત તેનું પ્લોટિંગ કરીને જ કેટલો જંગી નફો રળ્યો હશે. આમ વર્તમાન બજારભાવે જમીનનું મૂલ્ય રૂ. ૫૫ કરોડથી ૬૫ કરોડ થાય. અંદરખાને સાંઠગાંઠથી પાંચ કરોડમાં ૬૫ કરોડ રૂપિયાનો સોદો થયો હોવાની અટકળો છે. રિપોર્ટ મુજબ આ જમીન ભોપાલના કોલાર વિસ્તારના ગુરાડી ગામના ખેડૂતો પાસેથી ૫.૫ કરોડમાં ખરીદવામાં આવી હતી.
તે સમયે તેની માર્કેટ વેલ્યૂ ૭.૭૮ કરોડ હતી. જમીનની ખરીદીના ૧૬ મહિના પછી ૩૧ ઓગસ્ટ ૨૦૨૩ના ૩૫ કિમી લાંબા વેસ્ટર્ન બાયપાસ પ્રોજેક્ટને મંજૂરી મળી હતી. ખેતીની આ જમીનને બાદમાં રહેણાંકી વિસ્તાર માટેની જમીનમાં ફેરવી નાખવામાં આવી, નજીકથી મોટો રોડ પસાર થઇ રહ્યો હોવાથી જમીનનું મૂલ્ય વધ્યું અને પાંચ કરોડની જમીન ૬૦ કરોડની થઇ ગઇ. આશ્ચર્યની વાત એ છે કે પ્રોજેક્ટમાં ત્રણ વખત ફેરફાર કરાયો અને તેને એ જ જગ્યાએથી પસાર કરવાની મંજૂરી અપાઇ જ્યાં આ અધિકારીઓ જમીન ખરીદીને બેઠા હતા. આ સમગ્ર મામલે એક સંગઠન દ્વારા મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહનલાલ યાદવને ફરિયાદ કરી છે.



