ઉત્તરપ્રદેશમાં આંધી અને વાવાઝોડાથી ભારે તારાજી : 47નાં મોત નીપજ્યા | Heavy rain and storm wreak havoc in Uttar Pradesh: 47 dead

![]()
લખનૌ: ઉત્તરપ્રદેશમાં બુધવારે આવેલી જબરદસ્ત આંધી, વાવાઝોડા અને વરસાદથી જબરદસ્ત તારાજી થઈ છે. આના કારણે અત્યાર સુધીમાં ૪૭ના મોત નીપજ્યા છે અને અનેક ઘાયલ થયા છે. પ્રદેશના દક્ષિણી હિસ્સામાં સર્જાયેલા વાવાઝોડા અને દક્ષિણી રાજસ્થાનથી આવતા ભારે પવનોના લીધે કેટલાય જિલ્લાઓમાં પ્રતિ કલાક ૧૦૦ કિ.મી.ને ઝડપે આંધી ફૂંકાઈ હતી. વાવાઝોડા અને આંધી સાથેના વરસાદના લીધે ઉત્તરપ્રદેશના અલગ-અલગ જિલ્લામાં વૃક્ષ, દીવાલ અને વીજળી પડતાં અત્યાર સુધીમાં કુલ ૪૭ના માત નીપજ્યા છે અને અનેક લોકો ઇજાગ્રસ્ત છે તે જોતા આ આંકડો વધી જાય તો પણ નવાઈ નહીં લાગે.
આંધીના લીધે રેલ્વે અને વીજ વ્યવસ્થા પર વિપરીત અસર પડી હતી. સૌથી વધારે અસર પ્રયાગરાજ વિસ્તારમાં જોવા મળી હતી. પ્રયાગરાજમાં ૧૬, પ્રતાપગઢમાં ચાર અને કૌશાંબીમાં એકનું મોત થયું હતું. પ્રયાગરાજના હંડિયા વિસ્તારમાં સૌથી વધુ ૧૦ લોકોએ જીવ ગુમાવ્યા હતા. પ્રયાગરાજ-લખનઉ વંદે ભારત એક્સપ્રેસ લગભગ સવા કલાક રોકાયેલી રહી હતી. કાનપુર અને આસપાસના જિલ્લામાં આંધી, વરસા અને કરાના વરસાદના લીધે ૧૨ લોકોના મોત થયા હતા. કાનપુર ગ્રામીણમાં યુવતી અને એક બાળકી મોતને ભેટી હતી. આ સિવાય ૩૩ બકરીઓ મૃત્યુ પામી હતી. બીજી બાજુ કેરળના મલપ્પુરમ જિલ્લામાં મનકડા ખાતે વીજળી પડતા ચાર યુવાનોના મૃત્યુ થયા હતા. દરમિયાનમાં રાજસ્થાનમાં જબરદસ્ત હીટવેવ પ્રવર્તે છે. રાજસ્થાનમાં ફાલોદી વિસ્તાર ૪૬.૮ ડિગ્રી સાથે સાથે દેશનો સૌથી ગરમ વિસ્તાર હતો.જ્યારે જૈસલમેરમાં ૪૬.૧ ડિગ્રી અને ચિતોડગઢમાં ૪૫.૮ ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. બારમેર અને બિકાનેરમાં ૪૫.૨ ડિગ્રી તાપમાન કોટામાં ૪૪.૮ ડિગ્રી અને જોધપુરમાં ૪૪.૭ ડિગ્રી અને શ્રીગંગાનગરમાં ૪૪.૪ ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.



