NEET પેપર લીક મામલે મોટો ખુલાસો, 2 ભાઈઓએ 30 લાખમાં ડૉક્ટર પાસેથી પેપર ખરીદ્યાનો દાવો | NEET 2026 Paper Leak 700 Students Involved Probe Hits Coaching Hub Sikar and Gurgaon Doctor

![]()
NEET 2026 Paper Leak: NEET 2026ની પરીક્ષાના પેપર લીક થવાના મામલે તપાસ એજન્સીઓએ એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે હરિયાણાના ગુરુગ્રામમાં રહેતા એક ડૉક્ટર પાસેથી આ પેપર આશરે 30 લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યું હતું. જમવારામગઢના બે ભાઈઓ, માંગીલાલ બિવાલ અને દિનેશ બિવાલે ગત 26 અને 27 એપ્રિલના રોજ આ પેપર મેળવ્યું હતું. ત્યારબાદ, દિનેશ બિવાલે આ પ્રશ્નપત્ર તેના પુત્રને આપ્યું હતું, જે સીકર ખાતે રહીને મેડિકલ પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. આ ખુલાસા બાદ હવે તપાસનો ધમધમાટ તેજ થયો છે.
700 જેટલા વિદ્યાર્થીઓ સુધી પેપર પહોંચાડ્યાનો આરોપ
દહેરાદૂનથી પકડાયેલા આરોપી રાકેશ કુમાર મંડવારિયા વિશે તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, રાકેશે આશરે 700 જેટલા વિદ્યાર્થીઓ સુધી પરીક્ષાનું પેપર પહોંચાડ્યું હતું. આ કૌભાંડમાં પેપર પહેલા ડિજિટલ માધ્યમથી મોકલવામાં આવતું અને ત્યારબાદ તેની પ્રિન્ટ કાઢીને લાખો રૂપિયામાં વેચવામાં આવતું હતું. આ સાથે જ, હરિયાણાથી યશ યાદવ નામના અન્ય એક આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે, જેના પર વિદ્યાર્થીઓને પેપર વેચવાનો આરોપ છે.
સીકરના કોચિંગ સેન્ટરો અને સોશિયલ મીડિયા ગ્રૂપ્સ રડાર પર
મેડિકલ કોચિંગના હબ તરીકે જાણીતું રાજસ્થાનનું સીકર હવે તપાસ એજન્સીઓના નિશાના પર છે. તપાસમાં સામે આવ્યું છે કે કેટલાક વિદ્યાર્થીઓ અને કોચિંગ સંચાલકોએ વોટ્સએપ અને ટેલિગ્રામ પર ગ્રૂપ્સ બનાવીને પ્રશ્નપત્રો અને તેના જવાબો વહેંચ્યા હતા. આ પેપર લીક ક્યાંથી અને કેવી રીતે થયું તેના મૂળ સુધી પહોંચવા માટે એજન્સીઓ હવે આ ગ્રૂપ્સના સંચાલકો (એડમિન) અને તેમાં જોડાયેલા સભ્યોની ડિજિટલ વિગતોની ઊંડી તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: સોનિયા ગાંધીની તબીયત લથડી, ગુરુગ્રામની હોસ્પિટલમાં દાખલ, રાહુલ-પ્રિયંકા પણ હાજર
આરોપીના પરિવારના 4 બાળકો અગાઉ NEETમાં પાસ થયા હતા
તપાસ દરમિયાન એક મોટી વિગત એ સામે આવી છે કે મુખ્ય આરોપી દિનેશ બિવાલના પરિવારના ચાર બાળકોએ ગયા વર્ષે જ NEETની પરીક્ષા પાસ કરી હતી. આરોપીઓએ કબૂલાત કરી છે કે તેમને એક મહિના પહેલા જ પેપર લીક થવાની જાણ થઈ ગઈ હતી, જેના આધારે તેઓએ પહેલેથી જ ગોઠવણ કરી રાખી હતી.
બીજી તરફ, પેપર લીકની ઘટનાને પગલે દેશભરના વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અનેક વિદ્યાર્થી સંગઠનોએ પરીક્ષાની પારદર્શિતા પર સવાલ ઉઠાવ્યા છે અને જવાબદારો સામે કડક પગલાં લેવાની માંગ કરી છે. હાલમાં તપાસ એજન્સીઓ આ આખા કૌભાંડને ખુલ્લું પાડવા માટે સતત દરોડા પાડી રહી છે.



