राष्ट्रीय

પંજાબમાં ઇડીના દરોડા, મની લોન્ડરિંગ કેસમાં આપના મંત્રી અરોડાની ધરપકડ | ED raids in Punjab AAP minister Arora arrested in money laundering case



– અરોડાએ જમીનનો દુરુપયોગ, મની લોન્ડરિંગ કાયદો અને ફેમાનો ભંગ કર્યો

– અરોડાએ ખોટા જીએસટી બિલ બનાવ્યા, રૂ.157 કરોડની હેરાફેરી કરી હોવાનો આરોપ, ધરપકડથી રાજકારણ ગરમાયું

– અશોક મિત્તલ આપમાં હતા ત્યારે ઇડીએ તેમની સામે કાર્યવાહી કરી, હવે ભાજપમાં છે ત્યારે એજન્સી મૌન : માન

– મોદી, અમિત શાહને સ્પષ્ટ શબ્દોમાં કહેવા માગું છું કે અમે ધમકીઓથી નહીં ડરીએ : મુખ્યમંત્રી    

ચંડીગઢ : કેન્દ્રીય તપાસ એજન્સી ઇડીએ મની લોન્ડરિંગના કેસમાં પંજાબના મંત્રી સંજીવ અરોડાની ધરપકડ કરતા રાજકારણ ગરમાયું છે. ચંડીગઢમાં મંત્રીના ઘરે ઇડીની ટીમ ત્રાટકી હતી અને દરોડા પાડયા હતા. જે બાદ ૬૨ વર્ષના સંજીવ અરોડાની ધરપકડ કરવામાં આવી હતી. એજન્સીના અધિકારીઓનો દાવો છે કે અરોડા તપાસમાં સહયોગ ના કરતા હોવાથી ધરપકડ કરાઇ છે. હવે તેમને દિલ્હી લઇ જવામાં આવશે. 

ઇડીએ ઓપરેશનના ભાગરૂપે ઉત્તર ભારતમાં પાંચ સ્થળોએ દરોડા પાડયા હતા, જેમાં બે સ્થળો દિલ્હીના જ્યારે ગુરુગ્રામની હેમ્પટન સ્કાય અને રીયાલિટી લિ.નો પણ સમાવેશ થાય છે. ઇડીએ મની લોન્ડરિંગના કાયદા હેઠળ કેસ દાખલ કર્યા બાદ આ કાર્યવાહી કરી હતી. આ પહેલા પણ ૧૭ એપ્રીલના રોજ ઇડીએ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમા) હેઠળ અરોડા અને તેની સાથે સંકળાયેલા સ્થળોએ દરોડા પાડયા હતા. ૧૫૭ કરોડ રૂપિયાના બોગસ સેલ્સ અને એક્સપોર્ટ્સ કરીને ફેમા કાયદાનો ભંગ કરવાનો આરોપ લગાવાયો છે. 

સંજીવ અરોડા લુધિયાણાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને પંજાબ સરકારમાં મંત્રી છે. તેમની ધરપકડને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને વખોડી કાઢી હતી. 

માને કહ્યું હતું કે રાજકીય હેતુઓ પાર પાડવા માટે કેન્દ્ર સરકાર ઇડી, સીબીઆઇનો હથિયાર તરીકે ઉપયોગ કરી રહી છે. 

જ્યારે ઇડીએ કહ્યું હતું કે દિલ્હીમાં અસ્તિત્વમાં જ ના હોય તેવી કંપની પાસેથી ફેક જીએસટી ખરીદી બિલો તૈયાર કરાવડાવ્યા જેથી ઇનપુટ ટેક્સ ક્રેડિટ આઇટીસીનો દાવો કરી શકાય. ૨૦૨૪માં પણ ઇડીએ અરોડાને ત્યાં તપાસ કરી હતી. તે સમયે અરોડા અને તેના સાથીઓ દ્વારા અદ્યોગિક જમીનનો રહેણાંકી વિસ્તારના વિકાસમાં ઉપયોગ કરાયો હતો, તે સમયે અરોડા રાજ્યસભાના સાંસદ હતા. 

જ્યારે ભગવંત માને સવાલ કર્યો હતો કે ઇડીએ અગાઉ રાજ્યસભાના સાંસદ અશોક મિત્તલને ત્યાં પણ દરોડા પાડયા હતા, હવે જ્યારે મિત્તલ આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાઇ ગયા છે ત્યારે ઇડી તેમની સામેના આરોપો મુદ્દે મૌન કેમ છે? હું ભાજપ, મોદી, અમિત શાહને સ્પષ્ટ શબ્દોમાં કહેવા માગુ છું કે આ પંજાબ છે, આ પ્રકારની ધમકીઓથી અમે નહીં ડરીએ, મોદીએ કૃષિ કાયદાઓ મુદ્દે યુ-ટર્ન લેવો પડયો હતો અને માફી માગવી પડી હતી. મોદીની અંદર હજુ પણ તે દર્દ હોય તેવુ લાગે છે.  



Source link

Related Articles

Back to top button