આતંકના નેટવર્કને નેસ્તનાબૂદ કરવા અમે અડગ: ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠ પર PM મોદીનું નિવેદન | PM Modi Salutes Brave Soldiers on Anniversary of Extraordinary Victory in Operation Sindoor

Operation Sindoor Victory: પીએમ મોદીએ ‘ઓપરેશન સિંદૂર’ની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે ભારતીય સેનાના અદ્ભુત પરાક્રમ અને દેશભક્તિને નમન કર્યા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને જણાવ્યું કે, એક વર્ષ બાદ પણ આતંકવાદ અને તેને પોષનારા સમગ્ર તંત્રને ખતમ કરવા માટે ભારત પોતાના સંકલ્પ પર અડગ છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, ગત વર્ષે આ ઓપરેશન દરમિયાન આપણી સેનાએ જે સાહસ અને ચોકસાઈ બતાવી હતી, તેણે દુનિયાને ભારતની સુરક્ષા શક્તિનો પરચો આપ્યો હતો.
પહલગામ હુમલાનો સેનાએ આપ્યો હતો જડબાતોડ જવાબ
નોંધનીય છે કે, 22 એપ્રિલ, 2025ના રોજ પહલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા. આ કાયરતાપૂર્ણ હુમલાના જવાબમાં ભારતીય સેનાએ 6 અને 7 મે દરમિયાન સરહદ પાર છુપાયેલા આતંકવાદીઓ વિરુદ્ધ ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું હતું. આ સૈન્ય કાર્યવાહીમાં સેનાએ પાકિસ્તાનની અંદર છુપાયેલા અનેક આતંકીઓને ઠાર માર્યા હતા. પીએમ મોદીએ આ વિજયને સેનાની વ્યવસાયિક ક્ષમતા અને સંરક્ષણ ક્ષેત્રે ભારતની આત્મનિર્ભરતાનું પ્રતીક ગણાવ્યું છે.
આ પણ વાંચો: તમિલનાડુમાં કોંગ્રેસ બરાબરની ફસાઈ! વિજયને ટેકો જાહેર કરતાં જ સ્ટાલિને કર્યો મોટો ખેલ?
સંસ્કૃત સુભાષિત દ્વારા સૈનિકોના મનોબળને બિરદાવ્યું
આ ખાસ પ્રસંગે પીએમ મોદીએ એક સંસ્કૃત સુભાષિત પણ શેર કર્યું હતું, ‘ઉદીર્ણમનસો યોધા વાહનાનિ ચ ભારત. યસ્યાં ભવન્તિ સેનાયાં ધ્રુવં તસ્યાં જયં વદેત્॥’ જેનો અર્થ થાય છે કે જે સેનામાં યોદ્ધાઓ ઉત્સાહી અને ઉચ્ચ મનોબળ ધરાવતા હોય તથા જેની પાસે યુદ્ધના શ્રેષ્ઠ સાધનો હોય, વિજય ચોક્કસપણે તેમનો જ થાય છે. વડાપ્રધાને સ્પષ્ટ કર્યું કે આતંકવાદ વિરુદ્ધ ભારતની પ્રતિક્રિયા હંમેશા મક્કમ રહેશે અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં.




