શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા CM? દીદીના ખાસ નેતાએ જ 6 જ વર્ષમાં ભાજપને અપાવી સત્તા | west bengal election results 2026 bjp win suvendu adhikari next chief minister news

![]()
Who is Suvendu Adhikari: પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીએ મમતા બેનર્જીના અભેધ્ય કિલ્લાને ધ્વસ્ત કરીને સત્તા સુધી પહોંચવામાં સફળતા મેળવી છે, અને આ ઐતિહાસિક જીતનો શ્રેય મોટાભાગે શુભેન્દુ અધિકારીને ફાળે જાય છે. બંગાળમાં ભાજપે પ્રથમવાર બહુમતીનો આંકડો પાર કર્યો છે અને રાજ્યમાં પહેલીવાર ભાજપની સરકાર બનવા જઈ રહી છે. આ ભવ્ય વિજય બાદ, આક્રમક તેવર ધરાવતા શુભેન્દુ અધિકારી હવે મુખ્યમંત્રી પદના સૌથી પ્રબળ દાવેદાર તરીકે ઉભરી આવ્યા છે.
મમતાના નંબર 2 થી ભાજપના નંબર 1 સુધીની સફર
શુભેન્દુ અધિકારી વર્ષ 2020 સુધી મમતા બેનર્જીની સરકાર અને પાર્ટીમાં બીજા નંબરના સૌથી શક્તિશાળી નેતા ગણાતા હતા. જોકે, પાર્ટીમાં અભિષેક બેનર્જીનો પ્રભાવ વધતા તેઓ હાંસિયામાં ધકેલાયા હતા, જેના કારણે તેમણે ડિસેમ્બર 2020માં ભાજપનો હાથ પકડ્યો હતો.
શુભેન્દુની કાર્યદક્ષતા
2021ની પાયાની લડાઈમાં ભાજપમાં જોડાયાના માત્ર ચાર મહિનામાં જ તેમણે પક્ષને 3 સીટો પરથી 77 સીટો સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. નંદીગ્રામના જાયન્ટ કિલર તરીકે ઉભર્યા હતા. 2021માં તેમણે નંદીગ્રામ બેઠક પર સીધા મુખ્યમંત્રી મમતા બેનર્જીને હરાવીને પોતાની તાકાત સાબિત કરી હતી. ગ્રાઉન્ડ લેવલની ખુબ જ મહેનત કરી હતી. લ્લા પાંચ વર્ષથી વિરોધ પક્ષના નેતા તરીકે તેમણે તૃણમૂલના ગઢ ગણાતા વિસ્તારોમાં ભાજપના પાયા મજબૂત કર્યા છે.
અંગ-બંગ-કલિંગનું સપનું સાકાર
ભાજપનું વર્ષો જૂનું સપનું અંગ (બિહાર), કલિંગ (ઓડિશા) અને બંગ (બંગાળ) પર શાસન કરવાનું હતું. બિહાર અને ઓડિશા બાદ હવે બંગાળમાં પણ ભગવો લહેરાતા આ સપનું પૂર્ણ થયું છે. આ સપનાને સાકાર કરવામાં પીએમ મોદી અને અમિત શાહની સાથે જમીની સ્તરે શુભેન્દુની રણનીતિ નિર્ણાયક રહી છે.
આ પણ વાંચો: કયા કોંગ્રેસ નેતાને મળશે કેરલમનો તાજ? થરૂર અને કે.સી. વેણુગોપાલના નામ રેસમાં આગળ
શુભેન્દુ અધિકારીનું રાજકીય કદ
2007માં નંદીગ્રામમાં જમીન સંપાદન વિરોધી આંદોલનને સફળ બનાવવામાં શુભેન્દુની ભૂમિકા સૌથી મોટી હતી, જેના કારણે જ 2011માં મમતા બેનર્જી સત્તા પર આવ્યા હતા. તેમણે જંગલમહલ (મેદિનીપુર, પુરુલિયા, બાંકુડા) જેવા વિસ્તારોમાં ટીએમસીનો પાયો નાખ્યો હતો, અને હવે આ જ વિસ્તારોમાં ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું છે. પૂર્વ મેદિનીપુર જિલ્લો અધિકારી પરિવારનો ગઢ માનવામાં આવે છે, જ્યાં તેમના પિતા અને ભાઈ પણ રાજકીય રીતે સક્રિય રહ્યા છે.
પડકારો અને વિવાદો
શુભેન્દુની કાર્યશૈલી અને ભાજપના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા તેમને મળતી પ્રાધાન્યતાને કારણે પક્ષના કેટલાક જૂના નેતાઓમાં નારાજગી પણ જોવા મળી છે. વિરોધીઓ એવો પણ આક્ષેપ કરે છે કે ભ્રષ્ટાચારના કેસોમાં તપાસ એજન્સીઓથી બચવા માટે તેઓ ભાજપમાં જોડાયા હતા. છ વર્ષ પહેલા મમતા સરકારમાં પરિવહન મંત્રી તરીકે નંબર 2 ગણાતા શુભેન્દુ અધિકારી શું હવે ભાજપ શાસિત બંગાળના નંબર 1 એટલે કે મુખ્યમંત્રી બનશે? આ સવાલનો જવાબ તો સમય જ આપશે.



